શહેરના અમદાવાદના બોડકદેવ,વસ્ત્રાપુર, એસ.જી હાઇવે,ઘાટલોડિયા,મેમનગર,નારણપુરા,થલતેજ સહિત વસ્ત્રાલ, ઓઢવ, નરોડા, રબારી કોલોની, નારોલ, નિકોલ, CTM સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે, લાંબા સમય બાદ કડાકા અને ભડાકા સાથે વરસાદ શરૂ થતાં નગરજનોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.
સુરતમાં 3 ફુટ સુધી પાણી ભરાયા
સુરતમાં છેલ્લા 2 કલાક ધોધમાર વરસાદ પડ્યા બાદ વિરામ લીધો છે. જો કે, ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખાસ કરીને વરાછા ઘરનાળામાં 3 ફૂટ સુધી પાણી ભરાયા. ઠેર-ઠેર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. તો ક્યાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
ગાજવીજ સાથે પોરબંદરમાં ધોધમાર વરસાદ
પોરબંદર જિલ્લામાં 4 દિવસના વિરામ બાદ ફરી વરસાદ પડ્યો હતો. અચાનક મેઘરાજએ મોહોલ બનાવતા સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો કેટલાક નગરજનોએ વરસાદની મજા માણી હતી.
હવામાન વિભાગે કરી છે આગહી
ગુજરાતમાં આજથી 5 દિવસ સારા વરસાદની આગાહી કરાઇ છે. કચ્છ પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેને લઇ આજે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. જ્યારે આવતીકાલે પણ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શકયતા છે. 9 સપ્ટેમ્બરે વલસાડ, દમણ સહિતમાં વરસાદની શક્યતા છે. જ્યારે 10 સપ્ટેબરે ખેડા, વડોદરા, આણંદમાં વરસાદ પડી શકે છે. 11 સપ્ટેમ્બરે ગાંધીનગર, ખેડા, આણંદ સહિતમાં વરસાદની શક્યતા છે. એટલે કે ભાદરવા મહિનામાં સારો વરસાદ પડી શકે છે. અને આ મહિનામાં વરસાદથી ગુજરાતમાં વરસાદની ઘટ પૂરી થાય તેવું અનુમાન છે. સૌરાષ્ટ્ર કચ્છમાં આજથી ભારે વરસાદની આગાહી છે. અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદમાં 8 અને 9 તારીખે ભારે વરસાદની આગાહી કરાઇ છે. અને સાથે જ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.
સૌરાષ્ટ્રનાં 141 જળાશયો 60 ટકા જેટલા ખાલીખમ
ચોમાસાની સિઝનનાં હવે બે મહિના બાકી છે. ત્યારે સૌરાષ્ટ્રનાં જળાશયોની સ્થિતિ ચિંતાનજનક જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રનાં કુલ 141 મોટા જળાશયોની હાલની સ્થિતિએ 60 ટકા જેટલા ખાલી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર પંથકની સ્થિતિ સૌથી વધુ સંકટ છે. કેટલાક ડેમોનાં હજુ તળીયા સુધી પણ આવ્યું નથી. સૌરાષ્ટ્રનાં અનેક જળાશયોમાં આખુ વર્ષ ચાલે તેટલો પાણીનો જથ્થો આવ્યો નથી તે મોટો ચિંતાનો વિષય છે. જો આગામી બે મહિનામાં સારો વરસાદ ન થાય તો સૌરાષ્ટ્રમાં જળસંકટ તોળાય તેવી શક્યતા છે. રાજકોટ જિલ્લાનાં 25 ડેમોમાં 32 ટકા જેટલું જ પાણી છે. બીજી તરફ સૌરાષ્ટ્રનાં બીજા નંબરનો સૌથી મોટો ડેમ ભાદર હજુ 50 ટકા જ ભરાયો છે. જ્યારે આજી-1માં પણ 50 ટકા જ પાણીનો જથ્થો આવ્યો છે. રાજકોટને પાણી પૂરુ પાડતા ડેમોમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. પરંતુ અન્ય ડેમોમાં જયાં નર્મદાની લાઈન નથી તેવા ગામોમાં આગામી દિવસોમાં જળસંકટ ઘેરું બનશે તેવુ જણાય રહ્યું છે. જયારે અમરેલી 65 ટકા અને સૌથી ઓછો પોરબંદરમાં 19 ટકા પાણીનો જથ્થો છે.