વલસાડ જિલ્લાના ઉપરવાસના કપરાડા અને ધરમપુર તાલુકામાં બારે મેઘ ખાંગા થતા જિલ્લાના તમામ નદી-નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. કપરાડાના ઉપરવાસમાં આભ ફાટવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક ભારે અને 5 દિવસ વરસાદનું સંકટ યથાવત છે.
જિલ્લાના મધુબન ડેમના ઉપરવાસમાં મુશળધાર વરસાદને કારણે ડેમમાં ત્રણ લાખ 30હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેને કારણે ડેમમાં પાણીની સપાટી સતત વધી રહી છે. આથી સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા ડેમના 10 દરવાજા 5 મીટર ખોલી ડેમમાંથી 2 લાખ 20 હજાર ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરી છે. જેના કારણે દમણગંગા નદીમાં પૂર ની પરિસ્થિતિ સર્જાઈ છે અને નદીના પાણી કિનારો વટાવી રહ્યા છે.
દમણ ગંગા નદી કિનારાના વલસાડ જિલ્લા ઉપરાંત પડોશી સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના ગામોને પણ એલર્ટ કરાયા છે. ત્યારે દમણ ગંગા વિયર પર મોટી સંખ્યામાં પોલીસ ગોઠવી દેવામાં આવ્યા છે. આ કિનારા પર અનેક વાર મુલાકાતીઓ જોખમી સેલ્ફી પણ લેતા જોવા મળ્યા હતા. જેથી આ વખતે નદી કિનારેથી થોડે દૂર દોરડા બાંધી લોકોને દૂર ખસેડવામાં આવી રહ્યા છે.
તો આગામી 5 દિવસ વરસાદનું સંકટ યથાવત છે. આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યના અલગ-અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વલસાડ અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે ભાવનગર, અમરેલી, ગીર, સોમનાથ, બોટાદમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જેને લઇ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.