સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ભારે વરસાદને પગલે મધુબન ડેમના 7 દરવાજા ખોલવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા લોકોને નદી પર ન જવા અપીલ કરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણે ટ્વીટ કરીને લોકોને દમણગંગા નદીના કાંઠે અને નીચાણવાળા વિસ્તારમા ન જવા માટે અપીલ કરી છે. હાલમાં નદીમાં 1 લાખ 51 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે નદીમાંથી 1 લાખ 6 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.
વાપીમાં સતત વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. છેલ્લા 24 કલાકમાં સતત ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન પર અસર પડી છે. ભારે વરસાદ પડતા વાપીમાં રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે. છરવાડા રોડ પર પાણી ભરાતા વાહનવ્યવહારને અસર પડી છે.