મેઘરાજ રીઝે તો લાખનો ને ખીઝે તો કોઈ ય નહીં. વડોદરાવાસીઓ માટે આ કહેવત સાચી ઠરી છે. માત્ર 14 કલાકમાં જ 20 ઈંચથી વધુ પડેલાં વરસાદે સમગ્ર વડોદરાને ઘમરોળી નાખ્યું છે. ત્રણ દિવસ સુધી પાણીમાં ડૂબેલું વડોદરા આજે પુનઃ જીવિત થયું છે.
વડોદરામાં પડેલાં ભારે વરસાદને કારણે 3 દિવસમાં 14 લોકોના એન કેન પ્રકારે મોત થયાં છે. જ્યારે કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. જોકે આજે શહેરના મોટાભાગના વિસ્તારોમાંથી પૂરના પાણી ઓસર્યા છે. પણ હવે ગંદકીને કારણે વડોદરાવાસીઓમાં રોગચાળાનો ભય છે.
ત્રણ દિવસ સુધી પાણીમાં ડૂબેલા અનેક વિસ્તારોમાં અનાજ સહિત અનેક ખાણી-પીણીની ચીજવસ્તુઓ પલળી જવાથી ખાવા યોગ્ય રહી નથી. આથી લોકોએ અનાજ સહિતની વસ્તુઓ રસ્તાઓ પર ફેંકી દીધી છે. પૂર વખતે આપેલાં ફૂડ પેકેટ પણ હવે નકામાં નીવડ્યાં છે. જોકે રસ્તાઓ પર ફેંકાયેલાં આ કચરાથી લોકોમાં રોગચાળાનો ભય છે. જો કે નિશ્ચિત સમયમાં કચરો સાફ નહીં થાય તો ભયંકર રોગચાળો ફેલાવાની દહેશત છે.
3 દિવસ રહેલી પૂરની સ્થિતિમાં 14 લોકોના મોત થયા છે. જેમાં 6 લોકોના પાણીમાં ડૂબી જવાથી જ્યારે 6 લોકોના દિવાલ ઘસી પડવાથી જ્યારે અન્ય 2 લોકોના વીજળીનો કરંટ લાગવાથી મોત થયા છે. જો કે આ સાથે અનેક લોકો બિમાર પણ પડ્યાં છે. શહેરની તમામ હોસ્પિટલોમાં દર્દીઓનો જમાવડો છે. લગભગ 180થી વધુ સગર્ભા મહિલાઓને સરકારે પ્લાન કરી યોગ્ય ટ્રીટમેન્ટમાં આપી રહી છે.