કોઝવે પાણીમાં ગરકાવ થતાં લોકોને હાલાકી સહન કરવાની આવી નોબત
હવામાન વિભાગની આગાહીને લઈને આજે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મેઘ મહેર થઇ હતી. સુરત, તાપી, વલસાડ સહીતના જિલ્લાઑમાં આજે મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. મેઘરાજાની તોફાની બેટિંગને લઇને સુરત જિલ્લામાં અમુક ગામોના સંપર્ક તુટ્યા હતા. તો તાપી જિલ્લાના તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે રસ્તા બંધ થયા હતા અને કોઝવે પાણીમાં ગરકાવ થતાં લોકોને હાલાકી સહન કરવાની નોબત આવી હતી.
સુરત જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે ગામોના સંપર્ક તુટ્યા
સુરત જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે અમુક ગામો બેટમાં ફેરવાયા હતા જેને લઇને ગામોના સંપર્ક તુટ્યા હતા. ઉમરપાડા તાલુકાના માંડણપાડાથી સામપુરા ગામ ભારે વરસાદને લઈને સંપર્ક વિહોણું બન્યું હતું. વધુમાં વરેહ નદીના જળસ્તરમાં વધારો થતાં માર્ગ બંધ થયો હતો. તથા શરદા,બલાલકુવા, ઉમરઝર, આમલીદાબડાને જોડતો માર્ગ પણ પાણીમા ગરકાવ થતાં લોકો વાહનવ્યવહાર ઠપ્પ થયો હતો. વધુ વરસાદને લઈને સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા માર્ગ બંધ કરાયા હતા. બીજી બાજુ ભારે વરસાદને કારણે મોસાલીથી કોસાડી વચ્ચેનો કોઝ-વે પાણીમાં ગરકાવ થયો હતો. કોઝ-વે પર પાણી ફરી વળતાં વાહનચાલકોને હાલાકી થઇ હતી.એટલુ જ નહિ લોકો જીવના જોખમે કોઝ-વે પરથી પસાર થવા મજબૂર બન્યા હતા.
સુરતના ઉમરપાડાના જંગલ વિસ્તારમાં ભારે વરસાદ થયો છે. જેને કારણે માંડવીના આમલી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. જેથી આમલી ડેમના 6 દરવાજા ખોલીને 4 હજાર 688 ક્યૂસેક પાણી છોડાયું છે. સાથે નીચાણવાળા 20 ગામને એલર્ટ કરાયા છે. ઉપરાંત વરેહ નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. જેને કારણે ઉમરપાડા તાલુકાના ચાર માર્ગ બંધ કરવામાં આવ્યા છે. શરદા, બલાલકુવા, ઉમરઝર અને આમલીદાબડાને જોડતા માર્ગ બંધ કરાયા છે. સાથે ભારે વરસાદને પગલે બલાલકુવા અને પીટરકોઈ ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા 20 ગામોને એલર્ટ કરાયા હતા.
વ્યારા તાલુકાના 5, ડોલવણ તાલુકાના 2 રસ્તાઓ બંધ
વધૂમાં તાપી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તાપીના વ્યારા અને ડોલવણના વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને ચારે બાજુ પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા.વધુમાં ભારે વરસાદને લઈને તાપી જિલ્લાના તાલુકાના અનેક વિસ્તારોના રસ્તાઑ બંધ થયા હતા . વ્યારા અને ડોલવણના 7 જેટલા રસ્તાઓ બંધ કરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. વધુમાં વ્યારા તાલુકાના 5, ડોલવણ તાલુકાના 2 રસ્તાઓ બંધ કરાયા હતા. મેઘ મલહારને પગલે રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર થવા પામી હતી. વધુમાં વ્યારાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદને લીધે નદીઓમાં પાણીની ભારે આવક થઇ હતી અને લખાલી ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો તથા ઝાંખરી નદી પરનો લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો હતો. વધુમાં વલસાડ અને નવસારી શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. નવસારીના ગણદેવી, જલાલપોર, ચીખલી, ખેરગામ તાલુકાઓમાં સચરાચર મેઘમહેરને લઈને ખેડૂતોના હૈયા હરખાયા હતા.
ઉકાઈ ડેમમાંથી 1.27 લાખ ક્યૂસેક પાણી છોડાયું
તાપી જિલ્લામાં વરસાદને લઈને ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો હતો. ઉપરવાસમાં વરસાદ થવાથી પાણીની આવકને પગલે ડેમના 12 દરવાજા ખોલી પાણી છોડાયું હતું. ડેમમાંથી 1.27 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યુ હતું. આથી તાપી નદી કિનારાના ગામોને એલર્ટ કરાયું હતું. નદીના પટમાં ન જવા ગ્રામલોકોને સૂચના આપવામાં આવી હતી. હાલ ઉકાઈ ડેમની સપાટી 335.48 ફૂટે પહોંચી છે.