ગુજરાતમાં હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા નદીઓમાં ઘોડાપુરના દ્રશ્યો સર્જાયા છે.
ગુજરાતના 12 તાલુકામાં સિઝનનો 20 ઈંચથી 40 ઈંચ વરસાદ ખાબક્યો
ગીર-સોમનાથમાં નદીમાં પૂર આવતા માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ
દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા 5 ગાયો ધસમસતા પ્રવાહમાં તણાઇ
હવામાન વિભાગે હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. એવામાં રાજ્યના 12 તાલુકામાં સિઝનનો 20 ઈંચથી 40 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે 41 તાલુકામાં સિઝનનો 10 ઈંચથી 20 ઈંચ વરસાદ વરસ્યો છે. તો 70 તાલુકામાં સિઝનનો 5 ઈંચથી 10 ઈંચ વરસાદ નોંધાયો છે. 96 તાલુકામાં સિઝનનો 2 ઈંચથી 5 ઈંચ વરસાદ અને 32 તાલુકામાં સિઝનનો 2 ઈંચ વરસાદ વરસ્યો છે.
મહત્વનું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 175 તાલુકામાં વરસાદ થયો છે, ત્યારે તાલુકા પ્રમાણે વરસાદના આંકડા સામે આવ્યા છે. અત્યાર સુધી રાજ્યના 12 તાલુકામાં સિઝનનો 20 ઈંચથી 40 ઈંચ વરસાદ થયો છે, જ્યારે 41 તાલુકામાં સિઝનનો 10 ઈંચથી 20 ઈંચ અને 70 તાલુકામાં સિઝનનો 5 ઈંચથી 10 ઈંચ વરસાદ થયો છે. સાથે જ 96 તાલુકામાં સિઝનનો 2થી 5 ઈંચ અને 32 તાલુકામાં સિઝનનો 2 ઈંચ વરસાદ થયો છે.
ગીર-સોમનાથ જિલ્લામાં પ્રસિદ્ધ માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ
ગુજરાતમાં છેલ્લાં 2-3 દિવસથી મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં ધડબડાટી બોલાવી દીધી છે. ત્યારે ગીર-સોમનાથ જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ વરસતા પ્રાચીતીર્થનું પ્રસિદ્ધ માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું છે. સરસ્વતી નદીમાં નવા નીર આવતા પૂજારીએ નવા નીરના વધામણા કર્યા છે. સરસ્વતી નદીમાં સિઝનનું પહેલું પૂર આવતા ગ્રામજનો નદીનો નજારો જોવા ઉમટી પડ્યા.
દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા 5 ગાયો ધસમસતા પ્રવાહમાં તણાઇ
એ સિવાય સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસતા પાણીના ધસમસતા પ્રવાહમાં ગાયો તણાઇ ગઇ છે. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં પૂરના પાણીમાં 5 ગાયો તણાતી જોવા મળે છે. ઉગમણાબારા ગામથી વચલા બારાના રસ્તા પર કોઝવે પર ધસમસતા પાણીના પ્રવાહમાં ગાયો પાણીમાં તણાતી જોવા મળી રહી છે.
રાજકોટ-જૂનાગઢ હાઇવે પર ધોધમાર વરસાદ
રાજકોટમાં આજે શહેરના સેન્ટ્રલ ઝોનમાં ધીમી ગતિએ મેઘરાજાનું આગમન થયું છે. એકાએક વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી રાહત મળી છે. શહેરના હોસ્પિટલ ચોક, જામનગર રોડ, રેલનગર, શાસ્ત્રી મેદાન અને યાજ્ઞિક રોડ ઉપર વરસાદ મન મૂકીને વરસ્યો. રાજકોટ-જૂનાગઢ હાઇવે પર ભારે વરસાદ વરસતા વાહનચાલકોએ ભારે પરેશાન થવાનો વારો આવ્યો છે. ગોંડલથી છેક જૂનાગઢ જવાના હાઈવે પર વરસાદે રમઝટ બોલાવતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ગોંડલથી જેતપુર સુધી અવિરત વરસાદ વરસી રહ્યો છે. નોંધનીય છે કે, સૌરાષ્ટ્રમાં હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
જેતપુરના ગ્રામ્ય પંથકમાં સતત 6 દિવસથી અવિરત વરસાદ
બીજી બાજુ જેતપુરના ધોરાજી અને ઉપલેટા તાલુકા સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદે રમઝટ બોલાવી. સતત 6 દિવસથી અવિરત વરસાદ વરસતા રોડ પરથી પાણી વહેતા થઇ ગયા છે.
ખેડૂતો તેમજ લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી ભારે વરસાદ
ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી ભારે વરસાદ વરસતા ધોકડવા, ગીર ગઢડા સહિત તમામ વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. તો બીજી બાજુ ગીર સોમનાથના વેરાવળની દેવકા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. આંબલિયાળાથી તાતીવેલાને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થઇ ગયો છે. મુખ્યમાર્ગ ઉપર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે પોલીસ તંત્ર એલર્ટ
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે પોલીસ તંત્ર એલર્ટ થઇ ગયું છે. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ નિવેદન આપતા જણાવ્યું કે, 'ગીર સોમનાથ દરિયાઇ વિસ્તારમાં પોલીસ સતર્ક કરી દેવાઇ છે. પોલીસ હોમગાર્ડ અને GRD જવાનોને પણ ખડેપગે તૈનાત કરાશે. પોલીસે સ્થાનિક તરવૈયાને પણ તૈયાર રાખ્યા છે. સરપંચ અને સ્થાનિક આગેવાનો સાથે પોલીસ અધિકારીઓ સતત સંપર્કમાં છે. સોમનાથ કોડીનાર વચ્ચે એક ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યું છે. દરિયો ખેડવા ગયેલા માછીમારો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. દરિયો ન ખેડવા માટે કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. માછીમાર આગેવાન સાથે પણ પોલીસ સતત સંપર્કમાં છે. જરૂર પડ્યે માછીમાર તરવૈયા ટીમ પણ તૈયાર રખાઇ છે.'
જૂનાગઢના માળીયા હાટીનામાં છેલ્લા ચાર દિવસથી વરસાદ
જૂનાગઢના માળીયા હાટીનામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી માળીયા હાટીનામાં સતત વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શાકમાર્કેટ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે.