ગુજરાતમાં હાલમાં છેલ્લા 4 થી 5 દિવસમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધારે મેઘરાજાએ સૌરાષ્ટ્રને ઘમરોળ્યું હતું. સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જામનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે ખેડૂતોને સૌથી વધારે નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. ત્યારે કોંગ્રેસ નેતાઓ દ્વારા દ્વારકા, પોરબંદર, જામનગર જિલ્લાના ખેડુતો પાસે પહોંચ્યાં હતા અને નુકસાન અંગે ચર્ચા કરી હતી.
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોના પાકને થયું નુકસાન
કોંગી ધારસભ્યોએ ખેડૂતોની લીધી મુલાકાત
દ્વારકા,પોરબંદર,જામનગરમાં સૌથી વધારે નુકસાની
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ત્યારે કોંગ્રેસ નેતા લલિત કગથરા, લલિત વસોયા, વિક્રમ માડમ, પ્રવીણ મુછડીયા ગ્રામ્ય પંથકમાં પહોંચ્યા હતા અને ખેડૂતોની મુલાકાત લીધી હતી. મેઘ તાંડવના કારણે દ્વારકા, પોરબંદર, જામનગર જિલ્લાના ખેડુતોને વધુ નુકસાન થયું છે.
નદીઓના પાણી ખેતરમાં ફરી વળવા માટે ખેડૂતોએ ડેમના અધિકારીઓને જવાબદાર ગણાવ્યું હતા. બિન જરૂરી રીતે પાણી છોડયું હોવાનો આક્ષેપ પણ ખેડૂતો કરી રહ્યાં છે.
સૌરાષ્ટ્રમાં મેઘતાંડવથી ખેડૂતોને ભારે નુકસાન
સૌરાષ્ટ્રમાં હાલ મેઘરાજાએ વિરામ લીઘો છે પરંતુ હવે વરસાદી નીર ધીરે ધીરે ઓસરતા તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. મોજીરા ગામમાં રૂપાવટી નદીમાં પૂર આવતા હજારો વીધા ખેતરોની જમીનું ધોવાણ થઇ ગયું છે. ઉપલેટા તાલુકામાં એક જ દિવસમાં 20 ઇંચ વરસાદ પડતાં તમામ ડેમ ઓવરફ્લો થતાં રૂપાવટી મોજ નદીમાં ઘોડાપુર આવ્યું હતું જેના પગલે ખેતરો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. હજું અંકુરિત થઇ રહેલો પાક પાણીમાં વહી જતાં ખેડૂતો નિરાશ થયા છે. આ સ્થિતિમાં ખેડૂતોની માંગણી છે કે, સરકાર તાત્કાલિક નુકસાનીનું સર્વે કરીને ખેડૂતોને સહાય કરવામાં આવે તે જરૂરી છે.
જામનગરના જોડિયા અને ધ્રોલ પંથકમાં ભારે નુકસાન
જામનગરના જોડિયા અને ધ્રોલ પંથકમાં ભારે નુકસાન થયું છે. ઉંડ ડેમનું પાણી છોડતા જોડિયા અને ધ્રોલ પંથકમાં પાણી ઘુસી ગયા છે. જોડિયા પંથકમાં ખેતીની જમીન મેદાનમાં ફેરવાઇ ગઇ છે. આણદા, કુનડ સહિતના ગામોમાં તારાજી સર્જાઇ છે. જમીન અને ખરીફ પાકમાં વ્યાપક નુકસાન થયું છે.
દ્વારકામાં વરસાદે સર્જી તારાજી
દ્વારકામાં મેઘતાંડવના કારણે સમગ્ર જિલ્લામાં નુકસાન થયું છે. જિલ્લાના જામરાવલ ગામ તો હજુ પાણી ભરાયેલા છે. ખેતરો ડૂબી જતાં પાકને પણ નુકસાન થયું છે. નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતો ખૂબ જ ચિંતિત છે. ચારે બાજુ પાણી ભરાયેલું હોવાથી ખેતર સુધી પહોંચવાનો પણ રસ્તો નથી. મેઘતાંડવના કારણે દ્રારકા જિલ્લાના જામરાવલ ગામની આ સ્થિતિ સર્જાઇ છે.