સૌરાષ્ટ્રમાં પડી રહેલા અવિરત વરસાદના પગલે કોઇ જગ્યાએ રાહત તો કોઇ જગ્યાએ આફત જોવા મળી રહેલી છે. સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ઘૂસા ગયા છે. જેને લઇને મગફળી, કપાસ, તલ, શેરડીના પાકને નુકસાનની ભીતિ જોવા મળી રહી છે.
પોરબંદરના કુતિયાણાના ઘેડ વિસ્તારમાં ભાદરના પાણી ફરી વળ્યાં છે. ઘેડ વિસ્તારના લોકો માટે ભાદર નદી આફતરૂપ બની છે. મકાન અને ખતેરોમાં પાણી ફરી વળતા પાકને નુકસાન પહોંચ્યું છે.
રાજકોટમાં વરસાદ બાદ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેતરોમાં રહેલો પાક પાણી ભરાવાના કારણે બળી ગયો છે. ઈશ્વરીયા ગામે વરસાદથી મગફળી, મકાઈ, કપાસ, તલના પાકને નુકસાન થયું છે.
સુરેન્દ્રનગરમાં સાર્વત્રિક વરસાદ પગલે વઢવાણના અનેક ગામોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. કપાસ, તલ, મગફળીના પાકોને નુકસાનીને લઇને સરકાર સર્વે કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે.
જૂનાગઢમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તાર બેટમાં ફેરવાઇ ગયા છે. જૂનાગઢના ઓઝત વિયર સાબલી ડેમ ઓવરફ્લો થતા તેમાથી પાણી છોડવામાં આવ્યું છે. જેને લઇ ઘેડ પંછક બેટમાં ફેરવાઇ ગયા છે. અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે.
લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા નુકસાન થયું છે. બાલાગામ ઘેડમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. અને અનેક ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. જેના કારણે પાકને નુકસાન થયું છે. ત્યારે હાલ તંત્ર દ્વારા નુકસાનીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
રાજકોટમાં ભારે વરસાદથી રસ્તાઓ ધોવાઇ ગયા છે. રાજકોટમાં ભારે વરસાદના કારણે પેલેસ રોડ પર મોટો ખાડાઓ પડ્યા છે. જેના કારણે વાહનચાલકોમાં મુશ્કેલી થઇ રહી છે.
ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના નશીતપુર ગામનો કોઝ-વે તૂટી ગયો છે. એક વર્ષ પહેલા બનાવેલો કેરી નદી પરનો કોઝ-વે તૂટી ગયો છે. કોઝ-વે તૂટતા ગામ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. કોઝ-વેના નબળા કામને લઇ ખેડૂતોએ વિરોધ પણ કર્યો હતો.