ભાવનગરઃ આ તરફ સૌરાષ્ટ્રમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગીર-સોમનાથમાં છેલ્લા 3 દિવસમાં સારો વરસાદ પડ્યો છે. ત્યારે ગીર-સોમનાથ જિલ્લાના મોટાભાગના તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે.. ઉના સોમનાથ કોડીનાર વેરાવળ સૂત્રાપાડા તાલાળા અને પ્રભાસ પાટણમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો કોડીનારના આલિદર ગામમાં ભારે વરસાદ વરસ્યો છે. જ્યારે આ તરફ કેન્દ્રશાસિત પ્રદેશ દિવમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.
છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં નોંધાયેલ વરસાદ
ભાવનગર જિલ્લામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભાવનગરના જેસરમાં સૌથી વધું 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ભાવનગર શહેરમાં 4.5 ઈંચ વરસાદ પડ્યો છે.
આ સિવાય પણ શિહોર ઘોઘા તળાજામાં 2-2 ઈંચ વરસાદ પડયો છે. જ્યારે મહુવામાં 3 ઈંચ અને પાલીતાણામાં 3.5 ઈંચ વરસાદ જ્યારે વલ્ભીપુર અને ઉમરાળામાં 1-1 ઈંચ વરસાદ પડ્યો છે. બીજી તરફ ભાવનગર નજીક લોવગજી ગામે એક ચેક ડેમ તૂટ્યો છે. જેના કારણે અંદાજીત 10 પરિવારોનું તાત્કાલીક સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ભાવનગર મહુવા નજીકના નિકોલ બંધારામાં થયું ભંગાણ
ભાવનગરમાં ભારે વરસાદના કારણે મહુવા નજીકના નિકોલ બંધારામાં ભંગાણ થયું છે. ધોધમાર વરસાદથી બંધારાનો પાળો તૂટ્યો હતો. બંધારો તૂટવાના પગલે મહુવા ડીઝાસ્ટરની ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઇ હતી.
માલણ નદી બે કાંઠે
મહુવાની માલણ નદીમાં પાણીની આવક વધી છે. મહુવાની માલણ નદી 2 કાંઠે થઇ છે. માલણ નદીમાં પાણીની આવક વધી છે.
બગડ નદીમાં ઘોડાપુર
ભાવનગરની બગડ નદીમાં ઘોડાપુર આવ્યું છે. સાંબેલાધાર વરસાદના પગલે નદી ગાંડી તૂર બની હતી. જેના કારણે પુરનું પાણી ગામમાં ઘુસી ગયું ગતું. તો બગડેશ્વર મહાદેવના મંદિરમાં પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.
ભારે વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 3 દિવસમાં ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડી અને ઓરિસ્સામાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે રાજ્યમાં સારો એવો વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે જ્યારે ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ થઈ શકે છે.
તો દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. તો રાજ્યમાં વરસાદની આગાહીના પગલે તંત્રને પણ એલર્ટ કરી દેવાયું છે. તો માછિમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. તો આ તરફ અમદાવાદમાં 17 અને 18 જુલાઈએ મધ્યમ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગનું માનીએ તો અપર એર સાઈક્લોનિક સિસ્ટમ મજબૂત થઈ છે. જેથી રાજ્યમાં સારો એવો વરસાદ પડી શકે છે.