મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં તોફાની બેટીંગ કરી છે. ભારે વરસાદે સમગ્ર ગુજરાતને ઘમરોળ્યું છે. જ્યારે નર્મદા અને તાપી સહિતની તમામ નદીઓ ગાંડીતૂર બની છે. ભારે વરસાદના કારણે નડિયાદ અને અમદાવાદમાં 11 લોકોના મોત થયા છે. હજુ આગામી 36 કલાકમાં ભારે વરસાદની આગાહી કરાયી છે.
અમદાવાદ:
અમદાવાદમાં ગઇકાલે ઝરમર ઝરમરથી શરૂઆત થયેલા વરસાદે મોડી રાત્રે ધમાકેદાર બેટિંગ કરી છે. મોડી રાત્રે શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં નિસર્ગ સોસાયટીમાં દીવાલ ધરાશાઇ થતાં 4 લોકાના મોત થયા છે. મુશળધાર વરસાદના કારણે અનેક સ્થળે પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે શહેરના મોટાભાગના અંડરબ્રીજ બંધ કરવામાં આવ્યા છે. નિર્ણયનગર અંડરબ્રીજ અને અખબાર અંડરબ્રીજમાં 8 ફૂટ સુધીના પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થયો છે. જ્યારે શાહિબાર, ઉસ્માનપુરા, અસારવા સહિત શહેરના લગભગ તમામ અંડરબ્રીજ બંધ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ભરાયેલા પાણીના નિકાલ માટે તંત્ર કામે લાગ્યુ છે. અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશને ભરાયેલા પાણીના નિકાલ માટે 500 જેટલા હેવી ડ્યૂટી પંપ કામે લગાડ્યા છે. તંત્રએ દાવો કર્યો છે કે કલાકોની અંદર ભરાયેલા પાણીમાં ઘટાડો થશે. તંત્રએ ટ્વિટ કરીને માહિતી આપી છે.
નડિયાદ:
ભારે વરસાદના કારણે નડિયાદના પ્રગતિનગરમાં આવેલ એપાર્ટમેન્ટનો બ્લોક ધરાશાયી થયો છે. આ એપાર્ટમેન્ટનો ભાગ ધરાશાયી થતા 8થી 10 લોકો ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. જ્યારે 4 લોકોના મોત થયા છે. જોકે ધારાશાયી થયેલી બિલ્ડિંગ હાઉસિંગ બોર્ડની જૂની ઇમારત છે. દુર્ઘટનાને પગલે ફાયરબ્રિગેડ, NDRF અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા છે. ફાયરવિભાગના કર્મીઓ સતત કામગીરી કરી રહ્યા છે. કાટમાળ નીચે 8થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. ત્યારે કાટમાળ હટાવવાની કામગીરી સતત શરૂ છે. મહત્વનું છે કે, જર્જરિત ઇમારતને ખાલી કરવા અગાઉ નોટિસ અપાઇ હતી. નોટીસ બાદ પણ ઇમારતને ખાલી કરવામાં આવી ન હતી.
સુરત:
સુરતમાં ભારે વરસાદના કારણે તાપી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે સુરત પાસે આવેલો કોઝ-વે પણ ડૂબી ગયો છે. કોઝવે ભયજનક સપાટીએ ઓવરફ્લો થઈ રહ્યો છે. તો સુરતમાં તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. સાથે જ અધિકારીઓને તાકિદે હાજર રહેવા પણ સૂચન અપાયું છે. સુરતના ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં ભારે વરસાદ બાદ કીમ નદી પણ તોફાની બની છે. જે બાદ તંત્રએ માંગરોળ અને ઓલપાડ તાલુકાના 20 જેટલા ગામોને પણ અલર્ટ કર્યા છે. તો NDRF અને SDRFની પણ એક એક ટીમ તૈનાત કરવામાં આવી છે. ખાસ કરીને નદી કાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને પણ અલર્ટ કરવામાં આવ્યા છે. કીમ નદી ગાંડીતૂર બનતા નદી કાંઠાના વિસ્તારમાં રહેતા લોકોમાં પણ ભારે ચિંતા જોવા મળી રહી છે.
પંચમહાલ:
પંચમહાલમાં પણ વરસાદે હાહાકાર મચાવ્યો છે. પંચમહાલ જિલ્લામાં ગઈ રાતથી જ ભારે વરસાદ વરસતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા ચાર કલાકમાં પંચમહાલ જિલ્લામાં 14 ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી જ પાણી જ જોવા મળી રહ્યું છે. પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ગોધરામાં નોંધાયો છે. ગોધરામાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ગોધરાના અનેક રહેણાંક વિસ્તારોમાં પણ વરસાદી પાણી ફરી વળતા લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
રાજકોટ:
આ તરફ રાજકોટની આજી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. રાજકોટ શહેરમાં અને જિલ્લાભરમાં થઈ રહેલા વરસાદના કારણે નદી ગાંડીતૂર થઈ છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો રાજકોટ વાસીઓને પાણી પુરુ પાડતા આજી ડેમ ભરાઈ જતાં લોકોને પણ રાહત મળી છે.
જામનગર:
જામનગરમાં સાંબેલા ધારે વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદ થતા આજી-3 ડેમ ઓવરફ્લો થયો છે. તો ડેમ ઓવરફ્લો થતા ડેમના 10 દરવાજા 7 ફૂટ ખોલાયા છે. તંત્ર દ્વારા નીચાણવાળા ગામને તંત્રએ એલર્ટ કરાયા છે.
વડોદરા:
વડોદરામાં પૂરની સ્થિતિ રાહત મળ્યાને અઠવાડિયું પણ વિત્યું નથી, ત્યારે ફરીથી ભારે વરસાદ થતા લોકોને હાલાકી થઇ છે. વરસાદને પગલે 100થી વધુ પાણીમાં પાણી ઘુસ્યા છે. તો પાણીની આવક થતા વિશ્વામિત્રી નદી 25 ફૂટે પહોંચી. આજવા સરોવરની સપાટી 213.10 ફૂટે પહોંચી છે. જ્યારે એક હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.
તાપી:
આ તરફ તાપી જિલ્લા અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ બાદ તાપી નદી પરના ઉકાઈ ડેમમાં પાણીની ભારે આવક થઈ છે. તો હથનૂર ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી ઉખાઈ ડેમમાં 5 લાખ 9 હજાર 733 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તો બીજી તરફ ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 1 લાખ 77 હજાર 886 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે.
ખેડા:
ખેડા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખેડા શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે પાણી પાણી થઈ ગયું છે. તો અનેક માર્ગો પાણીમાં ડુબી જતાં વાહનવ્યવહારને અસર થઈ છે. ત્યારે વીટીવીના પ્રતિનિધિઓ તંત્રના સંપર્કમાં છે અને લોકોને પણ તેમના ઘર સુધી વરસાદની માહિતી પહોંચાડી રહ્યા છે.
બનાસકાંઠામાં:
બનાસકાંઠામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો. બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ ડેમમાં નવા પાણી આવતા ડેમ પર છલકાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી હોઈ તંત્ર દ્વારા લોકોને પણ અલર્ટ કરાય છે. ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાતા લોકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
અરવલ્લી:
આ તરફ અરવલ્લીમાં પણ છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. બાયડમાં 6 ઈંચ વરસાદ થયો છે. તો ધનસુરામાં 5.5 ઈંચ, ભિલોડામાં 3 ઈંચ, માલપુરમાં 2.5 ઈંચ જ્યારે મોડાસા અને મેઘરજમાં 2-2 ઈંચ વરસાદ વરસ્યો છે. જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે અનેક નદી નાળા છલકાઈ ગયા છે. તો કેટલીક નદીઓમાં ભારે પાણીની આવક થઈ છે.
મહેસાણા:
મહેસાણામાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. ગોપીનાળામાં પાણી ભરાતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તે કડીમાં 12 ઈંચ વરસાદ નોંધાયો છે.
બોટાદ:
આ તરફ બોટાદ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. બોટાદના બરવાળામાં સૌથી વધુ 15 ઈંચ વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ ગઢડામાં 12 ઈંચ જ્યારે બોટાદમાં 11 ઈંચ વરસાદ થયો છે. તો બીજી તરફ રાણપુરમાં પણ 10 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જેના કારણે બોટાદ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
જૂનાગઢ:
જૂનાગઢમાં પડી રહેલા સતત ધોધમાર વરસાદના કારણે નરસિંહ મહેતા સરોવરોમાં નવા નીર આવ્યાં છે. જયારે ભારે વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારેને એલર્ટ કરવામાં આવ્યાં છે.
સુરેન્દ્રનગર:
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છલાળા ગામમાં ઉપરવારસમાં ભારે વરસાદને પગલે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સમગ્ર ગામમા કેડ સમણાં પાણી ભરાયાં છે. જ્યારે કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
નવસારી:
નવસારીની પૂર્ણા નદીની જળસપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે. પૂર્ણા નદીની જળસપાટી 17 પૂટે પહોંચી છે. જેથી વહીવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ગઈકાલે નદીની જળસપાટી 22 ફૂટે પહોંચી હતી. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. જોકે હવે પાણી ઓસરવાનું શરૂ થતાં લોકોને પણ રાહત મળી છે.