રાજ્યના 168 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વાવમાં નોંધાયો છે. વાવમાં 9 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યાર બાદ થરાદમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. બનાસકાંઠાના થરાદ અને વાવમાં ભારે વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. થરાદ બસ ડેપોના વર્કશોપમાં પણ ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે. છેલ્લા 12 કલાકમાં બનાસકાંઠાના વાવમાં 9 ઈંચ વરસાદ પડ્યો છે. તો થરાદમાં 7 ઈંચ, દિયોદરમાં 4 ઈંચ, લાખણીમાં 2 ઈંચ અને ભાભરમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સુઈગામ અને વડગામમાં 1-1 ઈંચ જ્યારે ડીસા અને દાંતીવાડામાં અડધો અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.
અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ:
ભારે વરસાદની આગાહીના પગલે અમદાવાદમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરના બોપલ, એસજી હાઈવે, સરખેજ, જીવરાજપાર્ક, પ્રહલાદનગર, જમાલપુર, પાલડી, આશ્રમરોડ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
ક્યાં કેટલો વરસાદ:
જ્યારે ઉમરપાડામાં 4 ઇંચ, સુબિર અને હિંમતનગરમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો કપરાડામાં સવા 2 ઇંચ વરસાદ પડ્યો છે. તો નેત્રાંગ, દિયોદર અને ડાંગમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે સોનગઢમાં પોણા 2 ઇંચ અને ગરુડેશ્વરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે તિલકવાડા, વાલિયા, અંકલેશ્વર, કવાંટ અને ઉચ્છલમાં સવા ઇંચ વરસાદ પડ્યો છે. તો સુરત શહેર, ઇડર અને સાગબારામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. તો આ તરફ અરવલ્લીના મેઘરજ તાલુકામાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે મોડાસા, માલપુર અને ભિલોડા તાલુકામાં અડધો-અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. તો અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી:
ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે 31મી તારીખથી કચ્છમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. તેની સાથે સાથે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી છે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં ભારે લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવાનું સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આગામી 3 દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
સુરેન્દ્રનગર:
સુરેન્દ્રનગરના થાન અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેના કારણે થાનમાં આવેલા ઝરીયા મહાદેવ મંદિરમાં ઝરણાં વહેવા લાગ્યા હતા. મંદિરમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો હતો. ખળખળ વહેતા આ પાણીના અવાજથી વાતાવરણ આહલાદક બન્યું હતું. તો થાન પંથકમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છવાઈ ગઈ છે.
જ્યારે રાજકોટ-મોરબી હાઇવે પર ભારે પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો છે. હાઇવે પર ભારે પવન સાથે વરસાદ પડતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થયું છે.