આજે રાજ્યમાં બપોર સુધીમાં 120 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. એવામાં હવામાન વિભાગની વધુ એક આગાહી સામે આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં 2 દિવસ ભારે વરસાદ વરસશે.
ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી
અમદાવાદ,ગાંધીનગર,વડોદરામાં પડશે ભારે વરસાદ
આજ બપોર સુધીમાં 120 તાલુકામાં વરસાદ વરસ્યો
હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં બે દિવસ મેઘરાજા તૂટી પડશે. નોંધનીય છે કે, આજ રોજ મોડી રાત્રે અમદાવાદમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેના લીધે અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. તેમજ સવાર-સવારમાં વાહનચાલકોએ પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ત્રણ દિવસ સુધી સાર્વત્રિક વરસાદ વરસશે.
હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 2 દિવસ પડી શકે છે ભારે વરસાદ, રાજ્યમાં ત્રણ દિવસ રહેશે સાર્વત્રિક વરસાદ#WeatherUpdate#Gujarat
રાજ્યમાં આજ બપોર સુધીમાં 120 તાલુકામાં વરસાદ વરસ્યો
નોંધનીય છે કે, આજ બપોર સુધીમાં રાજ્યમાં કુલ 120 તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જેમાં આજે સૌથી વધુ ભુજ અને બારડોલીમાં સવા 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. એ સિવાય વેરાવળ અને વાસંદામાં 3-3 ઈંચ વરસાદ, વાપીમાં પોણા 3 ઈંચ વરસાદ, કોડીનાર, પલસાણામાં અને ધરમપુરમાં સવા 2 ઈંચ વરસાદ, ઉપલેટા, લિલિયા અને નાંદોદમાં સવા 2 ઈંચ, વઘઈ અને ખેરગામમાં 2-2 ઈંચ વરસાદ અને માંડવી તેમજ પારડીમાં પોણા 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
જાણો રાજ્યમાં વરસાદના કારણે ક્યાં કેવી સ્થિતિ?
દ્વારકાના ભાટીયામાં ધોધમાર વરસાદ વરસતા ભાટીયા ભોગાત રોડ પર પાણી ફરી વળ્યાં. જેના લીધે અવરજવરમાં વાહનચાલકોએ પરેશાન થવાનો વારો આવ્યો. રસ્તામાં ધસમસતા પાણીના પૂર ફરી વળ્યાં છે. ભાટિયામાં હાલ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.
બીજી બાજુ ઉપલેટાના મોટી પાનેલીનો ફૂલજર ડેમ ઓવરફ્લો થયો છે. ઉપલેટાના પાનેલીમાં 6 ઈંચ જેટલો વરસાદ વરસતા ડેમમાં પાણીની આવક વધી છે. આથી ગામવાસીઓએ નવાનીરના વધામણાં કર્યા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નવા નીરના વધામણાં કર્યા
નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે ડેમ અને જળાશયો છલકાઇ ગયા છે. નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ 16.80 મીટરે પહોંચ્યું છે. તદુપરાંત નર્મદાના સરદાર સરોવર ડેમની જળસપાટી 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચતા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નવા નીરના વધામણાં કર્યા હતા.
ભાવનગરનો શેત્રુંજી ડેમ પણ ઓવરફ્લો
એ સિવાય ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભાવનગરનો શેત્રુંજી ડેમ પણ ઓવરફ્લો થયો છે. સતત 5માં વર્ષે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. જેના લીધે ભાવનગર, ગારિયાધાર, પાલિતાણા અને જેસરના પાણીનો પ્રશ્ન હલ થયો છે. શેત્રુંજી ડેમના 40 દરવાજાઓ ખોલી નાખવામાં આવ્યા છે. આથી નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવાયા છે. લીલીવાવ, સરતાનપર, પિંગળી, ભેગાળી અને લાખાવાડ સહિતના ગામો હાલ એલર્ટ પર છે.