બનાસકાંઠા અને રાજસ્થાનના સિરોહી તેમજ આસપાસના જિલ્લાઓમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠાના તમામ ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠાના દાંતીવાડા અને સીપુ ડેમની ભયજનક સપાટીએ પહોચવા પર છે. જો હજુ પણ ઉપરવાસમાં સતત વરસાદ ચાલુ રહેશે તો બન્ને ડેમમાંથી પાણી છોડવાની પણ ફરજ પડી શકે છે.
દાંતીવાડા ડેમની વાત કરીએ આ ડેમની જળસપાટી 554.25 ફૂટે પહોંચી છે. તો ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે અને હાલ દાંતીવાડા ડેમમાં 872 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તો બીજી તરફ સીપુ ડેમની જળસપાટી પણ 579.72 ફૂટે પહોંચી છે. સીપુ ડેમની ભયજનક સપાટી 611 ફૂટ છે. જો હજુ પણ ઉપરવાસમાં સતત વરસાદ ચાલુ રહેશે તો બન્ને ડેમની જળસપાટીમાં વધારો થઈ શકે છે અને ડેમમાંથી પાણી છોડવાની પણ ફરજ પડી શકે છે.
જ્યારે બનાસકાંઠામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અમીરગઢ, દાંતા, દાંતીવાડા, ડીસા, પાલનપુર અને વડગામમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. ભારે વરસાદને કારણે અનેક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.