ગુજરાતમાં ભારે વરસાદના કારણે સુરતથી લઈને સુરેન્દ્રનગર સુધી ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયું છે જ્યારે સુરેન્દ્રનગરમાં ધોળીધજા છલકાઈ ગયો છે. વડોદરામાં પણ ભારે વરસાદના કારણે વિશ્વામિત્રીમાં ઘોડાપૂર આવ્યું છે. બનાસકાંઠામાં તો આખેઆખું ડમ્પર જ પાણીમાં તણાઈ ગયું હતું.
ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ભારે વરસાદ
સુરતના ઓલપાડમાં આભ ફાટતા તારાજી
સોમનાથમાં માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ
સુરતમાં સાંબેલાધાર
સુરત જિલ્લાના ઓલપાડ ખાતે ભારે વરસાદ પડતા ગામોમાં પાણી ભરાઇ ગયા છે. ધોધમાર વરસાદના કારણે હાથીસા ગામનો સંપર્ક તૂટી ગયો છે. સતત વરસાદના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. જેને લઇ તંત્રની પણ મુશ્કેલી વધી છે. સતત વરસાદના કારણે હાથીસા ગામના 50 જેટલા ઘરોમાં પાણી ભરાઇ ગયા છે.
સુરતમાં ભારે વરસાદના કારણે પર્વત ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ધોધમાર વરસાદના કારણે મીઠી ખાડી ઓવરફ્લો થઇ ગઇ છે. જેના કારણે ગામમાં પાણી ઘૂસી ગયા છે. અને રસ્તાઓ પર રહેલી કાર પણ પાણીમાં ડૂબી ગઇ છે. અવિરત વરસાદના કારણે કામરેજ વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો છે. આ વિસ્તારની હાઇવે પર આવેલી સોસાયટીમાં પાણી ભરાઇ ગયા છે. ધોધમાર વરસાદના પગલે નવીમાં સતત પાણીની આવકમાં વધારો થતાં સુરત જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપુર આવ્યું છે.
સુરત જિલ્લામાં બારેમેઘ ખાંગા થતાં જિલ્લાના ગામડાની સ્થિતિ કફોડી બની છે. સુરતનું સણીયા હેમદ ગામમાં એટલું પાણી ભરાયું છે કે ગામ બોટમાં ફેરવાઇ ગયું છે. ગામમાં પાણી ઘૂસી જતાં ફાયર અને સરપંચ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ગામના લોકોને સલામત સ્થળે ખસેડવા માટે ફાયર ટીમે રેસ્ક્યૂ કર્યું હતું.
સુરેન્દ્રનગરમાં કેટલાય ગામો અલર્ટ કરાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે ધોળીધજા ડેમ ઓવરફ્લો છે. ડેમ સતત પાણીની આવક થતાં તંત્ર દ્રારા નિચાણવાળા વિસ્તારને એલર્ટ કરી દેવાયા છે. નદી કાંઠા વિસ્તારના ગામ ભડીયાદ, જોરાવરનગર, રતનપર, મેમકા, સંકળી, નાના કેરાળા શીયાણી ગામને એલર્ટ કરાયા છે.
બનાસકાંઠાની બનાસ નદીમાં ઘોડાપૂર
બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે બનાસ નદીમાં નવા નીર આવ્યા છે. બનાસ નદીમાં પાણીની આવક કાંકરેજના ટોટાણા અસાલડી વચ્ચે પાણીમાં ડમ્પર તણાઈ ગયું છે. આખેઆખું ડમ્પર પાણીમાં ખાબકી જતા ડ્રાયવર સહીત સાત લોકોને બચાવાયા છે.
રાજકોટનું ડેમ છલકાયું
રાજકોટના ભાદર-1 ડેમમાં નવા નીરની આવક થઇ છે. 24 કલાકમાં ભાદર-ડેમમાં પોણા ત્રણ ફૂટ નવા નીર આવ્યા છે. હાલ ડેમમાં દર કલાકે 10 હજાર 417 ક્યૂસેક પાણીની આવક થઇ છે. રાજકોટમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે ત્યારે ઉપલેટા અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર ખાખીજાળિયાના કારણે રૂપાવતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે જેના કારણે ખેતરોનું ધોવાણ થઇ ગયું છે.
સરસ્વતી નદીમાં ગરકાવ થઇ ગયું આખું મંદિર
ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સારા વરસાદથી સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ભારે વરસાદના કારણે માધવરાય મંદિરની પ્રતિમા પરથી પાણી વહી રહ્યું હતું.