દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે તબાહી સર્જાઈ છે. અહીની તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. નવસારીના ચીખલીમાં તો જાણે કાવેરી નદી ગાંડીતૂર બની હતી અને તેમાં ભારે પૂર આવ્યા હતા. કાવેરી નદીનાં પાણી ચીખલીની દુકાનોમાં ભરાયા અને નદી વધારે તોફાની બનતા ચીખલીની સ્મશાન ભૂમિમાં પણ પાણી ફરી વળ્યા.
સુરતમાં ભારે વરસાદના કારણે અંબિકા નદીમાં પણ પાણીની ભારે આવક થઈ. અંબિકા નદીનું પાણી પુલ સુધી પહોંચ્યા ત્યારે નદીનો પુલ ગરકાવ થવાની અણી પર આવી ગયો.
વલસાડમાં દમણ ગંગા નદીનો પ્રવાહ ભયજનક
જેને લઈને પૂલ પરથી વાહન પસાર ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો. વલસાડ જિલ્લામાં પણ ઉપરવાસમાં વરસાદના કારણે જિલ્લાની નદી ભયાનક સપાટી પર પહોંચી ગઈ. મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા દમણ ગંગા નદીનો પ્રવાહ ભયાનક બન્યો. જેને લઇ તંત્રએ અલર્ટ જારી કરી દીધું. ત્યારે આ સ્થિતિમાં વલસાડથી પસાર થતી ઔરંગા નદી પણ તોફાની બની જેને લઈને નદીની કિનારાના વિસ્તારમાં NDRF અને ફાયરની ટીમ તહેનાત કરવી પડી.
સુરતમાં જળબંબાકારની સ્થિતિ
સુરત જિલ્લામાં જળબંબાકારની સ્થિતિની સૌથી વધુ ક્યાય અસર થઈ હોય તો તે ઓલપાડમાં થઈ છે. ઓલપાડમાં ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે. ત્યારે અહીનો બાવા ફળિયા વિસ્તારો તો પાણીમાં સાવ ગરકાવ થઇ ગયો અને આ વિસ્તારના 70થી વધુ પરિવારો પાણીમાં જ ફસાયા. સુરતમાં આભ ફાટવાની સ્થિતિમાં ઓલપાડના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ શહેર જળબંબાકાર સર્જાયું. અહીં ન્યાયાલય, સેવાસદન, ITI કોલેજમાં પાણી ફરી વળ્યા છે તો સમગ્ર વિસ્તારમાંથી NDRFની ટીમે 87થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું.
વલસાડના ઓરંગા નદીમાં ઘોડાપૂર
વલસાડમાં પણ ઓરંગા નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે નદી કિનારાનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. મોટા જાહેર રસ્તાઓની સાથે લોકોના ઘરમાં પણ પાણી ઘુસી જતા લોકો ત્રાહીમામ પોંકારી ઉઠ્યા. વલસાડના કાશ્મીરા નગરમાં તો 100થી વધુ ઘરોમાં પાણી ઘુસી જતા પોલીસના જવાનોની મદદ લેવી પડી. પોલીસના જવાનોએ અહી સરાહનીય કામગીરી કરીને લોકોને સલામત સ્થળે ખસેડ્યા.
દ.ગુજરાતમાં અતિવૃષ્ટિ
દક્ષિણ ગુજરાતમાં આ તબાહી ઓછી થવાનું નામ નથી લઈ રહી. અહી અતિવૃષ્ટિને કારણે અનેક લોકો ફસાઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં રસ્તાઓ પર નદીઓના પાણીનો ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. આ પ્રવાહમાં આક કાર ફસાઈ હતી. કારમાં 3 લોકો સવાર હતા.જો કે ફસાયેલી કારનું ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું અને ત્રણેય લોકોને સલામત રીતે બહાર કાઢ્યા.
દક્ષિણ ગુજરાતમાં કેવી રીતે જઈશ વાળુ વાક્ય સાચુ પડ્યું છે. કારણ કે અહી અનેક નદીઓના પૂલ ઉપર પાણી ફરી વળતા તેના પરથી પસાર થવુ મુશ્કેલ બન્યું. વલસાડના કપરાડા અને ધરમપુરના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે ઔરંગા નદી ગાંડીતૂર બનતા તેના પૂલને બંધ કરવો પડ્યો. તો નવસારીમાં પણ અનેક ગામોના સંપક વિહોણા બન્યા. અહી ખેરગામ અને વલસાડને જોડતો પુલ પાણીમાં ગરકાવ થતા 3 દિવસથી 10 ગામોનો સંપર્ક તૂટ્યો છે.
વરસાદ જ્યારે વધારે માત્રામાં આવે ત્યારે તંત્રની પોલ ખોલી જ નાખે છે. આ વરસાદે પણ સુરતમાં તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી. અહી વરસાદની શરૂઆત થતાની સાથે જ ભુવા પડવાની શરૂઆત થઈ ગઈ. સુરતના પરબત પાટિયાથી સરથાણા જતા કેનાલ રોડ ઉપર ભુવો પડતા વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાવું પડ્યું.