દેશભરમાં ચોમાસાએ જોર પકડ્યું છે. જેને લઇને દેશના 21 રાજ્યમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. જેમાં સૌથી વધુ બિહાર-આસામ પૂરથી પ્રભાવિત થયાં છે. અલ નીનોની સિસ્ટમ નબળી ડતાં ચોમાસા દેશભરમાં જામ્યું છે. જો કે અલ નીનોના કારણે 33 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે.
આસામમાં આકાશી આફતે હાહાકાર મચાવ્યો છે. આસામના 18 જિલ્લા હજુ પણ પૂરની અસર જોવા મળી રહી છે. આસામના બારપેટા જિલ્લામાં બ્રહ્મપુત્રા અને બેકી નદીના પાણી ફરી વળ્યા છે. આસામના બારપેટા જિલ્લામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. અત્યાર સુધી રાજ્યમાં 82 લોકોના મોત નિપજ્યા છે. બારપેટા જિલ્લાના 651 ગામના 11 લાખ લોકો અસરગ્રસ્ત છે. રાજ્યમાં બ્રહ્મપુત્રા અને નાની મોટી નદીઓ ગાંડીતૂર થઈ ગઈ છે.
દેશના 21 રાજ્યમાં રવિવારે ભાર વરસાદ જોવા મળ્યો. જેમાં રાજસ્થાનમાં 9 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે બિહાર અને આસામમાં પૂરનો કહેર યથાવત છે. બિહાર અને આસામમાં પૂરમાં મરનારની સંખ્યા 209 થઇ ગઇ છે. રાજ્યમાં આવેલા પૂરના કારણે 1.06 કરોડ લોકો પ્રભાવિત થયા છે.
જો કે બિહારમાં હાલ પણ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. બિહારમાં ભારે વરસાદના કારણે 85 લાખ લોકો પ્રભાવિત થયાં છે. જો કે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ઓડિશા, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન સહિત અનેક રાજ્યમાં ભારે વરસાદની આશંકા વ્યકત કરી છે.
આ સાથે જ ગુજરાતમાં 1 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. રાજસ્થાનમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદથી પૂરની પરસ્થિતિ જોવા મળી છે. રાજસ્થાનના બુંદીમાં 10 અને કોટામાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. બંને જિલ્લાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જ્યારે જોધપુરમાં છત પડી જવાથી મહિલાનું મોત નિપજ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે આગલા 24 કલાકમાં અરબી સમૂદ્રમાં 40થી 50 કિમીની સ્પડથી પવન ફૂંકાવાનું અનુમાન લગાવામાં આવ્યું છે.
જમ્મૂ-કાશ્મીરમાં સતત વરસાદથી પૂર જેવી સ્થિતિ
જમ્મૂ-કશ્મીરમાં થઈ રહેલા અવિરત વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જમ્મૂ-કશ્મીરના રાજૌરી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મોટાભાગની નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાની તમામ નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે.
તો વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં ભૂખ્લનનો ખતરો પણ છે. જ્યારે વાહનવ્યવહાર પર પણ વરસાદની અસર દેખાઈ રહી છે. પહાડો પર થઈ રહેલા ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર થઈ ગઈ છે. અને નીચાણવાળા વિસ્તારોમાં અને નદી કિનારાના ગામડાઓમાં તેની અસર જોવા મળી રહી છે. તો તંત્રએ પણ લોકોને અલર્ટ રહેવા સૂચના આપી દીધી છે.