રાજ્યભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં લગભગ રાજ્યના તમામ જીલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. જ્યારે અમદાવાદમાં ગઇકાલે ઝરમર ઝરમર વરસ્યા બાદ મોડી રાત્રે મેઘરાજાએ જમાવટ કરી છે. ભારે વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. જ્યારે બોપલમાં દીવાલ ધરાશાયી થતાં 4 લોકોના મોત થયા છે. તો GCS હોસ્પિટલની દીવાલ ધરાશાયી થતાં અનેક વાહનો દટાયા છે. શહેરના મોટાભાગના અંડરબ્રીજ બંધ કરવામાં આવ્યા છે.
શહેરમાં વરસાદી મહેર ક્યાંક કહેર પણ સાબીત થઇ છે. ધોધમાર પડતા વરસાદે શહેરમાં ચાર જીવ લીધા છે. ભારે વરસાદને પગલે મોડી રાત્રે શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં સુધી ફ્લેટમાં દીવાલ ધરાશાઇ થતાં 4 લોકાના મોત થયા છે. જ્યારે GCS હોસ્પિટલની દીવાલ ધરાશાયી થઈ છે. દીવાલ ધરાશાયી થતાં પાર્ક કરાયેલા વાહનો નીચે દટાયા છે. તો 2 વૃક્ષ અને વીજ પોલ પણ પડ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જનહાની થઈ નથી.
શહેરમાં મુશળધાર વરસાદના પગલે અનેક સ્થળે પાણી ભરાયા છે. શહેરના મોટાભાગના અંડરબ્રીજ બંધ કરવામાં આવ્યા છે. નિર્ણયનગર અંડરબ્રીજ અને અખબાર અંડરબ્રીજમાં 8 ફૂટ સુધીના પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થયો છે. જ્યારે શાહિબાર, ઉસ્માનપુરા, અસારવા સહિત શહેરના લગભગ તમામ અંડરબ્રીજ બંધ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ભરાયેલા પાણીના નિકાલ માટે તંત્ર કામે લાગ્યુ છે. અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશને ભરાયેલા પાણીના નિકાલ માટે 500 જેટલા હેવી ડ્યૂટી પંપ કામે લગાડ્યા છે. તંત્રએ દાવો કર્યો છે કે કલાકોની અંદર ભરાયેલા પાણીમાં ઘટાડો થશે. તંત્રએ ટ્વિટ કરીને માહિતી આપી છે.