અતુલ સેખડાએ વિટીવી સાથેની વાતચીતમા જણાવ્યું હતુ કે, કરા સાથે વરસાદ આવે છે તે પાકને વધુ નુકસાન પહોચાડે છે, ખાસ કરીને કરા આખી કેરીને નાશ જ કરી નાખે છે.
કમોસમી વરસાદને લઇ ખેડૂતોને ભારે નુકસાની
જીરુ, ઘઉ, ઘાણા, ચણા અને કેરીમાં ભારે નુકાસાન
'20 ટકા જેટલુ કેરીના પાકને નુકસાન થયો'
ભરઉનાળે ચોમાસુ જામ્યુ હોય તેવો માહોલ થઇ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી ઉનાળો અને ચોમાસુ મિશ્રઋતુ ચાલી રહી હોય તેવુ વાતાવરણ છે. કમોસમી વરસાદને લઇ ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવી રહ્યો છે, પાક બગડી જવો અને પાકમા નુકસાની થવાના લીધે આગામી દિવસોમા સિઝનેબલ વસ્તુ ભરવા વાળાઓના ખિસ્સા સુધી આવશે તે વાત નક્કી છે. હાલ સમયાંતરે પવન સાથે માવઠુ વરસી રહ્યું છે જેમા પાકને ભારે નુકસાની થઈ રહી છે ખાસ કરીને જીરુ, ઘઉ, ઘાણા, ચણા અને ખાસ કરીને સૌ કોઇ ઉનાળામાં રાહ જોઇ બેઠા હોય તે કેરી. આ પાકને હાલ ખાસ્સુ એવુ નુકસાન થયું છે, જે બજારમા ઉંચા ભાવે મળશે તેવુ ખેડૂતો કહી રહ્યાં છે.
કેરીના બોક્સનો 500 રુપિયા કરતા વઘુ ભાવ આપવો પડશે
જુનાગઢમાં કેરીના વેપારી અને બગીચો ધરાવતા અતુલ સેખડાએ વિટીવી સાથેની વાતચીતમા જણાવ્યું હતુ કે, માવઠુ અને પવન કરતા જે કરા સાથે વરસાદ આવે છે તે પાકને વધુ નુકસાન પહોચાડે છે. કરા સાથે પડતા વરસાદે કેરીના પાકને વધુ પડતુ નુકસાન પહોચાડ્યું છે. ખાસ કરીને કરા આખી કેરીને નાશ જ કરી નાખે છે અને ખાવા લાયક રહેતી જ નથી. હાલની વાત કરીએ તો 20 ટકા જેટલુ કેરીના પાકને નુકસાન થઇ ગયુ છે. જોકે પાક વઘુ છે આ વખતે એટલે થોડુ સરભર થઇ જશે પણ માવઠુ હજુ આ મહિનામા ફરી આવે તો પાકમા ઘટ આવશે અને સારી કેરી મોડી બજારમા આવશે અને થોડો ભાવ વધુ આપવો પડશે. જેમા એક બોક્સ કેરીના 500 રુપિયા કરતા વઘુ ભાવ આપવો પડશે તેવી શક્યતા સેવાઈ રહી છે.
ધાણા પર પણ માવઠાનો માર
કેરી સિવાય મસાલા અને ઘઉ ભરવાની સિઝન ચાલી રહી છે. તેમા માવઠોનો માર જોવા મળશે. ગોંડલના ખેડૂત અને ખેડૂત હિત રક્ષક સમિતીના સંયોજક પરેશ વડોદરિયાના જણાવ્યા મુજબ મોટા ભાગના ખેડૂતોએ જીરાના પાકને ઉતારી લીઘો હોવા છતા અમુક લોકોને બાકી હોય તેવા જીરુના પાક સાવ પુરો થઇ ગયા છે. આ સિવાય ઘઉની વાત કરીએ તો હાલ લોકો 12 મહિનાના ઘઉ ભરવાની સિઝનમા હોય છે. નવા જુના ઘઉના લોકો રાહ જોતા હોય આ પાકને પણ 70 ટકા નુકાસાન પહોચાડીં દીધુ છે. અવાનાર સમયમા ઘઉ લેવા હશે તો ભાવ ઉચો ચુકવાની તૈયારી રાખવી પડશે. અને મસાલામા ધાણા પર પણ માવઠાનો માર જોવા મળશે અને વરસાદના લીઘે ચણા જમીનમા ઉતરી જાય છે અને ખરી જાય છે જે ખેડૂતના હાથમા આવતા નથી એટલે ધાણા અને ચણાના ભાવમા થોડી ઉંચી કિંમત ચુકવાની તૈયારી રાખવી પડશે.
માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડશે
એંકદરે માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડશે અને સાથો સાથ લોકોના ખિસ્સા સુધી પહોચશે તે વાત નક્કી છે ખેડૂતોને પહેલા ડુંગળીએ રડાવ્યા હવે કુદરતે કહેર સ્વરુપે માવઠાએ ચિંતામાં મુક્યાં છે. ખેડૂકો જણાવી રહ્યાં છે સરકાર અમુક વિસ્તારોમાં સરવે કરે છે પરંતુ સહાય કરે તો સારૂ તેમ જણાવી રહ્યાં છે. જગતના તાતની પરિસ્થિતી પડ્યા પર પાટું જેવી થઈ છે.