રાજસ્થાનના જયપુર પાસેના કેટલાક ગામોમાં એવી અફવા ઉડી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક વ્યક્તિના ખાતામાં 500 રૂપિયા ઉમેર્યા છે. ઉપરાંત મુખ્યમંત્રી અશોક ગેહલોતે દરેકના ખાતામાં 2500 રૂપિયા મોકલ્યા છે. જો તમે આ નાણાં બેંકમાંથી ઉપાડશો નહીં, તો પૈસા જતા રહેશે. આ અફવા બાદ, બેંકો સામે લાંબી લાઈનો જોવા મળી રહી છે. દેશભરમાં લોકડાઉન છે. કલમ 144 લાગુ છે, પરંતુ લોકો પૈસા ઉપાડવા માટે બેંકની આજુબાજુ ભીડ કરવા માંડ્યા.
ગામેગામથી લોકો ચાલી ચાલીને બેંક પહોંચ્યા
ગ્રામજનોનો આક્રોશ: બેંકવાળા રસીદ ભરવાના પણ રૂપિયા લે છે
સવારે 8 વાગ્યાથી હાથમાં પાસબુક સાથે મહિલાઓ, પુરુષો, બાળકો અને વૃદ્ધોએ જયપુર જિલ્લાના ફાગી તહસીલના મંડોર ગામની બેંક નજીક ભીડ જમાવવાની શરુ કરી. 70 વર્ષના ગુલાબો નામના એક વૃદ્ધ અને 27 વર્ષનો ફૂલા નામની એક યુવતી સવારે ચાર વાગ્યે ચાર કિલોમીટર ચાલીને બેંક પહોંચ્યા હતા. તેમને ગામમાં કહેવામાં આવ્યું કે બેંકમાંથી પૈસા મળી રહ્યા છે. જ્યારે તે પાસબુક લઈને કાઉન્ટર પર ગઈ ત્યારે જાણવા મળ્યું કે 2014માં તેમનું ખોલેલું ખાતું ઘણા સમયથી બંધ થઈ ગયું છે.
મેનેજરે કર્યું ખંડન: અમે ઘણા લોકોને સમજાવ્યા, પરંતુ કોઈ સમજવા તૈયાર નથી
પંજાબ નેશનલ બેંકના મેનેજર પાંડેએ કહ્યું, "અમે ઘણા લોકોને સમજાવ્યા, પરંતુ કોઈ સમજવા તૈયાર નથી. આ ગ્રામીણ વિસ્તાર છે. મોટાભાગના લોકો શિક્ષિત નથી. જો કે કેટલાક લોકોના પૈસા જન ધન ખાતામાં ઉમેરાયા પણ છે પરંતુ આને કારણે આખા વિસ્તારમાં અફવા ફેલાઈ હતી કે દરેકના ખાતામાં પૈસા આવી ગયા છે અને લોકો બેંકમાં આશાઓ સાથે આવી રહ્યા છે."
બીજી બાજુ ગ્રામજનોનું કહેવું છે કે, પૈસા ઉપાડવાની રસીદ લેવા માટે પણ બેંકવાળાઓ પૈસા લઈ રહ્યા છે. તેઓ આ રસીદ ભરવા માટે પૈસા પણ લઈ રહ્યા છે. અહીં પૈસા ઉપાડવા માટે આવેલા લોકો બધા ગરીબ અને અભણ છે તેનો સૌ ગેરલાભ લઇ રહ્યા છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ કરી ચુક્યા છે આને લગતી જાહેરાત
બિહારના પટનામાં પણ આવો જ નજારો જોવા મળી રહ્યો છે. પટનાના દિઘા વિસ્તારમાં અલ્હાબાદ બેંકની બહાર સેંકડો મહિલાઓ અને બાળકો ઉભેલા જોવા મળ્યા હતા.
નોંધનીય છે કે 26 માર્ચે સરકારે 1 લાખ 70 હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી જેમાં નાણામંત્રીએ કહ્યું હતું કે આગામી ત્રણ મહિનામાં 20 કરોડ જન ધન ખાતા ધરાવતી મહિલાઓને દર મહિને 500 રૂપિયા આપવામાં આવશે. લોકો આ નાણાં ઉપાડવા માટે બેંકોની બહાર જોવા મળી રહ્યા છે.