સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે અરવલ્લીમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં વરસાદી માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે.
કરા સાથે કમોસમી વરસાદ
વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન
ચણા, કપાસનો પાક પલળતાં નુકસાન
અરવલ્લી જિલ્લામાં શુક્રવારે એકાએક ભારે ગાજવીજ અને વાવાઝોડા કરા સાથે વરસાદ વરસ્યો હતો. શુક્રવારે દિવસ દરમિયાન વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સાંજના સમયે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. ત્યારબાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. મોડાસા, ભિલોડા, મેઘરજ તાલુકામાં કમોસમી વરસાદ થયો છે. જેમાં મોડાસાના વરથું, દધાલિયા, ઉમેદપુરમાં વરસાદથી નુકસાન થયું છે. વરસાદમાં ખડૂતોનો ઘઉં, ચણા, કપાસનો પાક પલળતાં નુકસાન થયું છે. સરકાર દ્વારા નુકસાન સામે વળતર આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
ચણા, વરયાળી, ઘઉં સહિતના પાક સંપૂર્ણપણે નષ્ટ
અરવલ્લી જિલ્લામાં ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો. ખેડૂતો લણવા માટેની તૈયારીઓ કરી રહ્યા હતા. ત્યારે આફત સ્વરૂપ વરસાદ અને કરા પડતા પાક સંપૂર્ણ પણે નાસ થઈ ગયો છે. જિલ્લાના મેઘરજ, ભિલોડા સહિત તમામ જગ્યાએ વરસાદ પડતા જગતના તાતને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ચણા, વરયાળી, ઘઉં સહિતના પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે, સરકાર દ્વાકા સત્વરે આનું સર્વે કરાવવામાં આવે અને ખેડૂતોને સહાય આપવામાં આવે.
ખેડૂતો સામે સરકાર કરે મીઠી નજરઃ ખેડૂત
આ મામલે ખેડૂતે જણાવ્યું કે, માવઠાથી ઘઉં, ચણા, મગ, મકાઈનો પાક નષ્ટ થઈ ગયો છે. ખેડૂતો એકદમ નિરાશ થઈ ગયા છે. ઘણું નુકસાન થયું છે. એટલે અમારી નમ્ર વિનંતી છે કે ગુજરાત સરકાર ખેડૂતો સામે મીઠી નજર કરીને ખેડૂતોને સહાય આપે.
29 તાલુકામાં નોંધાયો વરસાદ
હવામાનની આગાહી મુજબ, રાજ્યના 29 તાલુકામાં ગઈકાલે કમોસમી વરસાદ વરસ્યો છે. વિગતો મુજબ રાજ્યમાં સૌથી વધુ વરસાદ વડોદરામાં સવા ઈંચ પડ્યો છે. આ સાથે ડાંગ, અરવલ્લી અને વંથલીમાં કરા સાથે વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે. આ તરફ કમોસમી વરસાદથી ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થયું છે. આ સાથે કમોસમી વરસાદને કારણે રાજ્યમાં 5 લોકોના મૃત્યુ થયાનું પણ સામે આવ્યું છે.
રાજ્યમાં 5 લોકોના મૃત્યુ
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને લઈ પડેલા કમોસમી વરસાદ રાજ્યના 5 વ્યક્તિઓ માટે કાળ સાબિત થયો છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગ દ્વારા હજુ પણ 3 દિવસ કમોસમી વરસાદ આગાહી કરાઇ છે. આ દરમિયાન કમોસમી વરસાદની વચ્ચે વીજળી પડવાથી રાજ્યમાં 5 લોકોના મૃત્યુ થયા છે.
હવામાને હજી પણ કરી છે 3 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. જે મુજબ રાજ્યના 29 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યા બાદ હજી આગામી 3 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. નોંધનીય છે કે, રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળતા કેટલાક વિસ્તારોમા કમોસમી વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન મહીસાગર, છોટાઉદેપુર અને સુરતમાં કરા સાથે વરસાદ થયો હતો. ડાંગમાં વીજળી પડતા એક વ્યક્તિ મોત થયું છે જ્યારે દાહોદમાં પણ વીજળી પડતા એક મહિલાનું મોત થયું છે.
21 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી
મહત્વનું છે કે અગાઉ હવામાન વિભાગ દ્વારા રાજસ્થાન અને કચ્છની ઉપર સર્જાયેલા સાઇક્લોનિક સરક્યુલેશનની અસર તળે ગુજરાતમાં હજુ 21મી સુધી કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી. જેમાં આજે એટલે કે 18મી માર્ચે અરવલ્લી, અમદાવાદ, આણંદ, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, સાબરકાંઠા, તાપી, ડાંગ, સુરત, ભાવનગર, અમરેલીમાં વરસાદ વરસી શકે છે. 19મી માર્ચે અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલીમાં વરસાદ ખાબકી શકે છે.