રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો છે. જ્યારે રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી વધુ 42.5 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે. આ તરફ અમદાવાદ અને ડીસામાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી ગયું છે જ્યારે પાટનગર ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે.
અમરેલી અને રાજકોટમાં 41 ડિગ્રી સુથી તાપમાનનો પારો પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં 1200 લોકોને લૂ લાગવાના બનાવ બન્યા છે. એક જ દિવસમાં 14 લોકોને લૂ લાગી હતી જ્યારે ગરમીના કારણે ચક્કર આવવા અને ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં છેલ્લા થોડા દિવસોથી ગરમીનો પારો વધી રહ્યો છે. છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યનાં 10 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર કરી ગયો છે. રાજ્યમાં વધુ પડતી ગરમીના કારણે લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. જો કે હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનું જોર વધે તેવી આગાહી કરી છે. રાજ્યમાં એક દિવસમાં પારો 2 ડિગ્રી વધીને 42.0 ડિગ્રી અને લઘુતમ તાપમાન નોંધાયો હતો.