હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં હજુ પણ 2 દિવસ સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
રાજ્યમાં હજુ 2 દિવસ રહેશે ગરમીનો પ્રકોપ: હવામાન
ગરમીનો પારો વધુમાં વધુ 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે
અસહ્ય ગરમી બાળકો અને વૃદ્ધોની તકલીફ વધારી શકે છે
ગુજરાતમાં સતત ગરમીના તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે એવામાં તાપમાનને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં હજુ પણ 2 દિવસ સુધી ગરમીનો પ્રકોપ રહેશે.
ગરમીનો પારો વધુમાં વધુ 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ઉત્તર ગુજરાતમાં હિટવેવ અનુભવાશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ગરમીનો પારો વધુમાં વધુ 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જણાવી દઇએ કે, બુધવારે અમદાવાદમાં 47 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
એ સિવાય અમદાવાદ,ગાંધીનગર,બનાસકાંઠા અને સાબરકાંઠામાં હિટવેવ રહેશે તો પાટણ અને મહેસાણામાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. બીજી બાજુ સૌરાષ્ટ્ર-કચ્છમાં એમાંય ખાસ કરીને સુરેન્દ્રનગરમાં પણ વિશેષ ગરમી વર્તાશે.
ગરમીથી બચવા આટલું ધ્યાન રાખો
ગરમીના વધતા પ્રમાણને લઇને બીમાર વ્યક્તિઓની મુશ્કેલી વધી શકે છે. અસહ્ય ગરમી બાળકો અને વૃદ્ધોની તકલીફ વધારી શકે છે આથી સીધા તાપમાં જવાનું ટાળવું. વજનમાં હળવા અને હળવા કલરના કોટનના કપડા પહેરવા કે જે ગરમીથી રાહત આપી શકે. ગરમીમાં બહાર નીકળતી વખતે માથું ઢાંકવાથી પણ ગરમીમાં રાહત મળશે તેમ હવામાન વિભાગે સૂચન કર્યું છે.
અમદાવાદમાં રેલ એલર્ટ જાહેર છે તો સૌરાષ્ટ્રમાં પણ યલો ઍલર્ટ જાહેર
તમને જણાવી દઇએ કે, હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. આજે રાજ્યમાં તાપમાન 45 ડિગ્રી સુધી રહી શકે છે. બે દિવસ સુધી તાપમાન 45 ડિગ્રી રહેશે તેવી આગાહી કરાઇ છે. કેટલાંક વિસ્તારમાં રેડ એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે.
સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં બે દિવસ માટે હિટવેવની આગાહી કરાઈ છે. ઉત્તરી પશ્ચિમી પવનના કારણે તાપમાનમાં વધારો થશે. રાજ્યના કચ્છ, રાજકોટ અને ભાવનગરમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે.
બે દિવસ બાદ દક્ષિણી પવન ફૂંકાવવાનું શરુ થશે
અમદાવાદમાં 45.8 અને સુરેન્દ્રનગરમાં 46 ડિગ્રી તાપમાન નોંધાઇ ચૂક્યું છે. જ્યારે સૌરાષ્ટ્રમાં કેટલાંક વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. બે દિવસ બાદ દક્ષિણી પવન ફૂંકાવવાનું શરુ થશે. આ સાથે હવામાન વિભાગે એમ પણ જણાવ્યું કે, ગરમીના પારામાં બે ડિગ્રીનો ઘટાડો આવી શકે છે. હાલમાં સાઈક્લોનની કોઈ જ અસર નથી જોવા મળી રહી. જો કે પવનની દિશાના કારણે તાપમાનમાં ઉતાર-ચઢાવ આવતું રહેશે.