defamation case: રાહુલ ગાંધીની સજાને પડકારતી અરજી મામલે ગુજરાત હાઈકોર્ટમાં તમામ પક્ષોની આજની દલીલો પૂર્ણ થઈ છે. આ મામલે હાઈકોર્ટમાં મંગળવારે વધુ સુનાવણી હાથ ધરાશે.
રાહુલ ગાંધીની સજાને પડકારતી અરજીનો મામલો
જસ્ટિસ હેમંત પ્રચ્છકની બેંચમાં કરાઈ સુનાવણી
વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કરી દલીલો
હાઈકોર્ટમાં મંગળવારે વધુ સુનાવણી હાથ ધરાશે
ગુજરાત હાઇકોર્ટમાં માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 2 વર્ષની સજાના હુકમને પડકારતી અરજી સુરત સેશન્સ કોર્ટે ફગાવતા રાહુલે સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. રાહુલ ગાધીની અરજી પર આજે જસ્ટિસ હેમંત પ્રચ્છકની બેંચમાં સુનાવણી કરાઈ હતી.
વકીલ અભિષેક મનુ સિંઘવીએ કરી દલીલ
અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી. તેઓએ કહ્યું હતું કે, આ કોઈ ગંભીર ગુનો નથી કે માફી ન આપી શકાય. અમે કન્વીક્શન પર સ્ટેની માગ કરી રહ્યાં છીએ. તેઓએ કહ્યું હતું કે, નોન આઇડેન્ટિફાય કેસમાં આવી ફરિયાદ દાખલ ન થઈ શકે. નિવેદનમાં જે વ્યક્તિનું નામ નથી લેવાયું તેમણે ફરિયાદ નોંધાવી છે. રાહુલ ગાંધી લોક પ્રતિનિધિ અને સાંસદ પણ છે. ઈલેક્શન કમિશન ચૂંટણી જાહેર કરી દેશે તો કોર્ટ તે નિર્ણયને કેવી રીતે પરત ખેંચાવી શકશે: સિંઘવી
શું છે સમગ્ર મામલો?
23 માર્ચે સુરતની CJM કોર્ટે 2019માં મોદી સરનેમ અંગે કરેલી ટિપ્પણીના કેસમાં રાહુલને બે વર્ષની સજા સંભળાવી હતી. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "બધા ચોરની અટક (સરનેમ) મોદી જ કેમ હોય છે?" જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 23 માર્ચે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ વર્માની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી બે વર્ષની સજા સંભળાવી હતી. બીજા જ દિવસે રાહુલ ગાંધીએ લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હતું.
20 એપ્રિલે સેશન્સ કોર્ટે ફગાવી હતી અરજી
જે બાદ CJM કોર્ટના આ ચુકાદાને તેમણે સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી 3 એપ્રિલે સુરત આવ્યા હતા. તેમની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ઉપરાંત કાયદાકીય ટીમ પણ સુરત આવી હતી. તેમના દ્વારા નીચલી કોર્ટના ચુકાદા સામે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે બાદ 13 એપ્રિલના રોજ કોર્ટમાં બંને પક્ષો વચ્ચે અંદાજે 5 કલાક સુધી દલીલો થઇ હતી. જ્યારે 20 એપ્રિલે સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દઇ તેમની સજા યથાવત રાખી.
વકીલે કહ્યું હતું કે, સેશન્સ કોર્ટના નિર્ણય સામે તેઓ હાઈકોર્ટમાં જઈ શકે છે
આ દરમિયાન સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અશ્વિની ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી છે. આ સજાના આધારે તેમણે સંસદનું સભ્યપદ ગુમાવ્યું. હવે સેશન્સ કોર્ટે પણ તેની અરજી ફગાવી દીધી છે, જેમાં તેમણે નીચલી કોર્ટના નિર્ણય પર સ્ટે માંગ્યો હતો. રાહુલ પાસે હવે બચવાનો એક જ રસ્તો બચ્યો છે. સેશન્સ કોર્ટના નિર્ણય સામે તે હાઈકોર્ટમાં જઈ શકે છે. જો હાઈકોર્ટ દ્વારા પણ તેમની અરજી ફગાવી દેવામાં આવે તો તે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.
ગુજરાત હાઈકોર્ટમાં કરી છે અરજી
જે બાદ રાહુલ ગાંધીએ સુરત કોર્ટના હુકમને પડકારતા સજા મોકૂફી મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં આજે આ મામલે સુનાવણી યોજાઈ હતી.