જૂનાગઢના ગિરનાર પર્વતના દર 100 પગથિયા પર 1 પોલીસકર્મી તૈનાત રહેશે અને ગંદકી કરનારને દંડ ફટકારવામાં આવશે તેવું સરકાર દ્વારા હાઈકોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
ગિરનારમાં ગંદકી મુદ્દે HCમાં સુનાવણી
નોટિસ પર ગુજરાત સરકારનો કોર્ટમાં જવાબ
ગંદકી કરનારને દંડ ફટકારવામાં આવશે: સરકાર
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ગંદકી મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઈ છે, જેના પર સુનાવણી દરમિયાન એક નોટિસ પર ગુજરાત સરકારે જવાબ આપતા કહ્યું હતું કે, ગિરનાર પર્વત પર સ્વચ્છતા જાળવવા વધુ મેનપાવરનો ઉપયોગ કરાશે અને ગંદકી કરનારને દંડ પણ ફટકારવામાં આવશે.
ડસ્ટબિન મુકવામાં આવશેઃ સરકાર
સરકારે કોર્ટમાં જવાબ આપતા કહ્યું હતું કે, ગિરનારના દર 100 પગથિયા પર 1 પોલીસકર્મી તૈનાત રહેશે. ગંદકી કરનારને દંડ ફટકારવામાં આવશે. સાથે જ પર્વત પર LED, ડસ્ટબિન અને સાઈન બોર્ડ પણ મુકવામાં આવશે. ગંદકી કરનાર શખ્સો સામે ક્રિમિનલ પ્રોસિક્યુશન થશે.
ગંદકી મુદ્દે લોકોની જાગૃત્તિ પણ જરૂરી: હાઈકોર્ટ
આ દરમિયાન હાઈકોર્ટે ટકોર કરતા જણાવ્યું હતું કે, ગંદકી મુદ્દે લોકોની જાગૃત્તિ પણ જરૂરી છે. અભ્યારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધની કડક અમલવારી કરાવો. હાઈકોર્ટમાં આ મામલે વધુ સુનાવણી જુલાઈના પ્રથમ સપ્તાહમાં હાથ ધરાશે.
હાઈકોર્ટે સરકારને આપ્યો હતો ઠપકો
આ મામલે આ પહેલા યોજાયેલી સુનાવણી દરમિયાન કોર્ટે આદેશ આપ્યો હતો કે ગિરનાર પર્વત પર તત્કાલ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે. જેમાં પ્લાસ્ટિક સહિતની ગંદકીની તાત્કાલ સફાઈ કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે સરકારને ઠપકો આપતા કહ્યું હતું કે, તમારે શબરીમાલા અને વૈષ્ણોદેવી મંદિરની સ્વચ્છતા જોઈને બોધપાઠ લેવો જોઈએ. આ સાથે હાઇકોર્ટે એ પણ જણાવ્યું હતું કે, સ્વચ્છતા મુદ્દે બાંધછોડ ચલાવી લેવાય નહીં.
અરજદારે કરી હતી અરજી
ગંદકી મુદ્દે હાઈકોર્ટમાં એક અરજદારે અરજી કરી હતી. જેમાં પ્રાકૃતિક સ્થળો પર પ્લાસ્ટિકથી ફેલાતી ગંદકીને કારણે નુકસાન થતુ હોવાની રજૂઆત કરાઈ હતી. જેમાં ગિરનાર પરના અંબાજી મંદિર તેમજ દત્તાત્રેય મંદિરની આસપાસ વધુ ગંદકી હોવાની રજૂઆત કરાઈ હતી. અરજદારે જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં ગિરનાર પર મોટી માત્રામાં પ્લાસ્ટિકનો કચરો મળે છે. 2022-23માં મોટી માત્રામાં કચરો એકઠો કરાયો હતો.