પાકિસ્તાનથી આવ્યાને સાડા ત્રણ વર્ષ થયા છતાં સરકાર હજુ સુધી ગીતાના માતા-પિતાને શોધી શકી નથી મૂક-બધીર ગીતાને પાકિસ્તાનથી ભારત આવ્યાને સાડા ત્રણ વર્ષ થઈ ચૂક્યા છે, પરંતુ સરકાર હજુ સુધી તેના માતા-પિતાને શોધી શકી નથી. તત્કાલિન વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજે ગીતાને સ્વદેશ બોલાવીને મધ્યપ્રદેશના ઈન્દોરની સ્કિમ નંબર-71 સ્થિત મૂક-બધિર સંગઠનમાં આશ્રય આપ્યો હતો.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે, એક વર્ષ પહેલા ધામધૂમથી યોજાયેલા સ્વયંવરમાં 13 યુવકોએ ગીતા સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવી હતી, પણ ગીતાએ કોઈને જીવનસાથી તરીકે અપનાવ્યો ન હતો અને હાલ તે એકલી જિંદગીની લડાઈ લડી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગીતાને ઓક્ટોબર, 2015માં પાકિસ્તાનથી ભારત લાવવામાં આવી હતી.
હવે સરકારના કોઈ પ્રતિનિધિ પાસે ગીતાની સંભાળ લેવાની કે તેના ખબર પૂછવાની ફૂરસદ નથી. સરકાર તરફથી તેના પરિવારને શોધવાની કવાયત પણ સાવ ઠંડી પડી ગઈ છે. ગીતાની ઉંમર હાલ 28 વર્ષ થઈ ગઈ છે. તે વારંવાર સ્થાનિક અધિકારીઓને તેના પરિવાર પાસે લઈ જવાની વિનંતી કરી રહી છૈ, પરંતુ કોઈ પાસે તેના આ દર્દને સમજવાનો-સાંભળવાનો સમય નથી.
ગીતાને હવે સંસ્થામાં કેમ નથી રહેવું?
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગીતા હવે ઈન્દોરની સંસ્થામાં રહેવા ઈચ્છતી નથી. એ સંસ્થામાં ગીતાની ઉંમરના કોઈ ન હોવાથી તે સાવ એકલી પડી ગઈ છે. તેનો વ્યવહાર પણ ધીમે ધીમે અસામાન્ય થઈ રહ્યો છે. ગયા વર્ષે ગીતાનું માનસિક પરિક્ષણ પણ કરાવવામાં આવ્યું હતું અને મનોચિકિત્સકોએ તેને સાવ એકલા ન રાખવાની અને તેને હંમેશા ખુશ રાખવાની સલાહ આપી હતી. ગીતા ઘણા લાંબા સમયથી ઉદાસ જ રહે છે.
એક પણ યુવકને લગ્ન માટે પસંદ ન કર્યો
ગયા વર્ષે જૂન મહિનામાં ગીતાના લગ્ન માટે સરકારે પ્રયત્ન હાથ ધર્યા હતા. સોશિયલ નેટવર્કિગ સાઈટના માધ્યમથી ગીતા માટે જીવનસાથી શોધવાની જાહેરખબર આપવામાં આવી હતી. દેશભરમાંથી અનેક શિક્ષિત અને સારી જોબ કરતા યુવકો ગીતા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા. ઈન્દોરમાં બે દિવસ સુધી ભવ્ય સ્વયંવર પણ યોજાયો હતો. ત્યારબાદ 13 જેટલા યુવકો સાથે કલેક્ટર ઓફિસમાં ગીતાની મુલાકાત ગોઠવવામાં આવી હતી, પરંતુ ગીતાએ કોઈને પસંદ કર્યો ન હતો.
25 જેટલા દંપતિનો ગીતાના માતા-પિતા હોવાનો દાવો પણ ડીએનએ મેચ ન થયા
બીજી એક રસપ્રદ વાત એ છે કે, દેશભરમાંથી લગભગ 25 જેટલા દંપતિઓએ ગીતા તેમની પુત્રી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ એકનું પણ ડીએનએ ગીતા સાથે મેચ થયું ન હતું. હજુ પણ કેટલાક લોકો ગીતાના માતા-પિતા હોવાનો દાવો કરવા આવતા હોવાનું કલેક્ટર ઓફિસના અધિકારીઓ જણાવે છે.