રાજ્યમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. મલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ઝાડા-ઉલટી, કમળા, ટાઈફોઈડ, કોલેરાના કેસ નોંધાયા છે. ત્યારે રોગચાળો અટકાવવા માટે તંત્ર અલર્ટ થયું છે.
રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા. વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે તંત્ર અલર્ટ થયું છે. રોગચાળાની દહેશતને લઈને આરોગ્ય વિભાગે 850 સર્વેલન્સની ટીમ બનાવી છે. સુરત, રાજકોટ, વડોદરા, ડાંગ, આણંદ, નવસારી અને વલસાડમાં ટિમો કાર્યરત કરાઈ છે.
મહત્વનું છે કે વડોદરા સહીત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ઓસરી રહ્યાં છે ત્યારે રોગચાળાનું જોખમ ઉભું થવાના અણસાર મળી રહ્યા છે. પાલિકાના આરોગ્ય વિભાગે શરૂ કરેલા સર્વેમાં વડોદરામાં ત્રણ દિવસમાં પાણીજન્ય રોગચાળાથી પીડાતાં 20520 દર્દી મળ્યાં હતાં. પૂર બાદ હવે શહેરીજનોએ બિમારી સામે ઝઝૂમવુ પડશે.
વડોદરામાં આરોગ્ય ટીમો કાર્યરત
વડોદરા કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા વડોદરા શહેરમાં આરોગ્યનું સર્વે આજથી ચાલુ કરવામાં આવ્યો છે. આ માટે આરોગ્ય વિભાગની ટીમો ચાર દિવસમાં સમગ્ર વિસ્તારને આવરી લઇ આરોગ્યની કામગીરી કરવામાં આવશે.