ગુજરાત અને સમગ્ર દેશના લોકો 2 વર્ષની મહામારી બાદ રાહતનો શ્વાસ લઇ રહ્યા હતા. તેવામાં હવે ગુજરાતમાં નવા વેરિયન્ટ XEનો કેસ નોંધાતા લોકો ફરી ચિંતામાં મૂકાયા છે.
ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ XEની એન્ટ્રી
XE વેરિયન્ટમાં ઓમિક્રોન કરતા 10 ગણી સંક્રમણની ક્ષમતાઃ અગ્રવાલ
મુંબઈ બાદ ગુજરાતમાં પણ નવા XE વેરિયન્ટનો કેસ નોંધાયો છે. તો ગાંધીનગર નેશનલ લૉ યુનિવર્સિટીમાં કોરોનાના કેસ 33 પર પહોંચ્યા છે ત્યારે હવે કોરોનાને લઈને આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે પ્રેસ કોન્ફન્સ કરી છે. મનોજ અગ્રવાલે કહ્યું કે, ગુજરાતમાં હજુ માસ્ક પહેરાવાનો નિયમ યથાવત્, ગુજરાતમાં સોશિયલ ડિસ્ટન્સનો નિયમ પણ યથાવત છે. શૈક્ષણિક સંસ્થાઓ કોરોનાના લક્ષણો દેખાતા તાત્કાલિક સંપર્ક કરે. અગ્રવાલે રાહતના સમાચાર આપતા કહ્યું કે, XE વેરિયન્ટ ઓમિક્રોનથી 10 ગણો સંક્રામક છે પરંતુ તેનું હોસ્પિટાઇઝેશન ઓમિક્રોન જેટલું જ છે.
XE વેરિયન્ટમાં હોસ્પિટલાઈઝેશન ઓમિક્રોન જેટલુંઃ અગ્રવાલ
મનોજ અગ્રવાલે કહ્યું કે, ઓમિક્રોન કરતા XE વેરિયન્ટની સંક્રમણ ક્ષમતા વધારે છે. XE વેરિયન્ટમાં હોસ્પિટલાઈઝેશન ઓમિક્રોન જેટલું છે. ઓમિક્રોન કરતા 10 ગણી સંક્રમણની ક્ષમતા છે. ભારત સરકારે XE વેરિયન્ટ પર નજર રાખવા સુચનો કર્યા છે. ભારત સરકાર સતત માર્ગદર્શન આપતી રહેશે.
ગાંધીનગર નેશનલ લૉ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં કોરોનાના તીવ્ર લક્ષણો નહીંઃ અગ્રવાલ
ગાંધીનગરના GNLUમાં કોરોનાના સંક્રમણ મામલે અગ્રવાલે કહ્યું કે, હાલ સ્થિતિ પર ચાંપતી નજર રખાઈ રહી છે. હાલ મનપા તંત્રએ માર્ગદર્શિકા પ્રમાણે કામગીરી કરી છે. વિદ્યાર્થીઓમાં કોરોનાના તીવ્ર લક્ષણો નહીં. અન્ય યુનિવર્સિટી અને અન્ય સંસ્થાના વડાઓ સાથે સંપર્કમાં છે. લક્ષણો જણાતા આરોગ્ય વિભાગને જાણ કરવાનું કહેવાયુ છે. પ્રોટોકોલ પ્રમાણેના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.
ગાંધીનગર નેશનલ લૉ યુનિવર્સિટીમાં બહારથી આવેલા બાળકો પોઝિટિવઃ મનોજ અગ્રવાલ
મનોજ અગ્રવાલે કહ્યું કે, ગાંધીનગર નેશનલ લૉ યુનિવર્સિટીમાં બહારથી આવેલા બાળકો પોઝિટિવ આવ્યા છે. વિદ્યાર્થીઓની હિસ્ટ્રી ચેક કરી રહ્યા છીએ. બહારથી આવેલા વિદ્યાર્થીઓમાં લક્ષણ દેખાય તો જાણ કરે. સ્ટાફ કે વિદ્યાર્થી કોઇમાં પણ લક્ષણ દેખાય તો તુરત માહિતી આપે. શૈક્ષણિક સંસ્થામાં વધુ વિદ્યાર્થીઓ હોય છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય બાબતે કાળજી લેવી જરૂરી છે.
અગાઉ 2 વેક્સિન લીધી હશે તે જ વેક્સિન લેવી પડશેઃ અગ્રવાલ
વેક્સિનેશનને લઇને અગ્રવાલે કહ્યું કે, 18 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો બુસ્ટર ડોઝ લઈ શકે છે. 18થી 60 વર્ષ વચ્ચેના નાગરિકો ખાનગી સેન્ટરોમાં બુસ્ટર ડોઝ મેળવી શકશે. બુસ્ટર ડોઝની કિંમત હજુ સુધી નક્કી નથી. અગાઉ 2 વેક્સિન લીધી હશે તે જ વેક્સિન લેવી પડશે. અગાઉથી બુકિંગ બાદ વેક્સિન મેળવી શકાશે.
ગાંધીનગર યુનિવર્સિટીમાં કુલ 33 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત
ગાંધીનગર નેશનલ લૉ યુનિવર્સિટીમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. આજે વધુ 18 વિદ્યાર્થીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કુલ 167 વિદ્યાર્થીઓના સેમ્પલનું પરિક્ષણ કરાયુ હતુ. જેમાં ગઇકાલે 15 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે ફરી અન્ય 18 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા અત્યાર સુધી કુલ 33 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા છે. વિદ્યાર્થીઓ કોવિડ પોઝિટિવ આવતા વાલીઓમાં ચિંતા મૂકાયા છે. તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં જ ક્વોરન્ટાઈન કરાયા છે. ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના કેસ 150 ટકા વધ્યા છે.
ગુજરાતમાં નોંધાયો પ્રથમ XE વેરિયન્ટનો કેસ
ગુજરાતમાં કન્ફર્મ થયેલા કેસ અંગે 13 માર્ચે આ વ્યક્તિ કોવિડ પોઝિટિવ નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે એક અઠવાડિયા બાદ તેની હાલત ઠીક હતી. પરંતુ જ્યારે સેમ્પલના રિઝલ્ટ આવ્યા તો તેમાં રહેલી વ્યક્તિ XE વેરિયન્ટથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. આ નવા વેરિયન્ટના પહેલા કેસની પુષ્ટિ થઈ છે. આવી સ્થિતિમાં, સરકાર પણ સંપૂર્ણ સાવચેતી રાખી રહી છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાની તંત્રીએ સલાહ આપી છે. તંત્ર દ્વારા દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી જાણવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થતા આ નવા વેરિયન્ટથી કઈ રીતે રાખવું ધ્યાન. તે અંગે જાણો ડૉક્ટર શું કહે છે...
મુંબઈમાં નવા XE વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો હતો
કોરોનાના નવા વેરિયન્ટ XEનો પહેલો કેસ બુધવારે મુંબઈમાં જોવા મળ્યો હતો. ત્યારે હવે મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેએ એક ટ્વીટ કરતા લખ્યું કે કોરોનાના નવા વેરિયન્ટ XEના શંકાસ્પદ દર્દીની હાલત ઠીક છે, તેના સંપર્કમાં આવતા લોકો કોરોના નેગેટિવ છે. નમૂનાઓ પરીક્ષણ માટે NIBMGને મોકલવામાં આવ્યા છે. હું લોકોને ગભરાશો નહીં તેવી અપીલ કરું છું.