રાજ્યમાં વાયબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી 10થી 12 જાન્યુઆરીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાશે. રાજ્યમાં વાયબ્રન્ટ ગુજરાતને લઇ રાજનીતિ તેજ થઇ છે ત્યારે આ મુદ્દે આરોગ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં મોટી જાહેરાત કરી છે.
દેશ અને દેશ બહારથી આવતા મહેમાનોની સુરક્ષા માટે RT-PCR ટેસ્ટ કરાશેઃ ઋષિકેશ પટેલ
સોશિયલ ડિસ્ટન્સ માટે તકેદારી રખાશે, કામ કરતા કર્મીઓની પણ થશે તપાસ
કોરોના મુદ્દે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા છતા સ્થિતિ નિયંત્રણમાં છે. તો વાયબ્રન્ટ સમિટ મુદ્દે આરોગ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત વાયબ્રન્ટ સમિટ યોજાશે. વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે દેશ અને દેશ બહારથી આવતા મહેમાનો માટે રસીકરણ અને RT-PCR ટેસ્ટ ફરજિયાત છે. તો RT-PCR ટેસ્ટ બાદ જ કામ કરતા તમામ કર્મીઓને વાયબ્રન્ટમાં જવાબદારી સોંપાઇ છે. તમામ નિયમોની જાળવણી સાથે વાયબ્રન્ટ સમિટ યોજાશે. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં ગુજરાત અવ્વલ છે. જે કોઇપણ રોકાણ કરવા ઇચ્છતી વ્યક્તિ સમિટમાં આવી શકે છે. મહેમાનોનું ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ છે. આ પરિસ્થિતિની વચ્ચે પણ ગુજરાતમાં તેમને લાવવા માટે કટિબદ્ધ છીએ.
અગાઉ આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાતથી રાજ્યને મોટો આર્થિક લાભ થાય છે. કોરોનાની ગાઈડલાઇનના નિયમોનું પાલન થશે. વાયબ્રન્ટમાં મોટા મેળવડા જોવા નહીં મળે. માત્ર ઉદ્યોગ ધંધા સાથે જોડાયેલા લોકો જ આવી શકશે. બહારથી આવનાર લોકોની તમામ વ્યવસ્થા સરકાર કરશે. બિઝનેસ માટે ગુજરાત આવતા લોકોને વાયબ્રન્ટ સમિટમાં વેલકમ કરવા સરકાર કટિબદ્ધ છે, નિયમોનું ચુસ્ત પાલન કરાવીશું.
ગુજરાતમાં પોઝિટિવ રેટ ખૂબ ઓછોઃ આરોગ્યમંત્રી
છેલ્લા 2-3 દિવસમાં કોરોનાની સ્થિતિ પીક પર જતી હોવાનો અનુભવ થઇ રહ્યો છે. કેસ વધારે છે પણ વેકસીનેશનને લીધે તીવ્રતા ઓછી છે. ગુજરાતમાં પોઝિટિવ રેટ ખૂબ ઓછો છે. સરકારી કચેરીઓમાં મુલાકાત માટે રસીના બંને ડોઝ ફરજિયાત રહેશે. બે ડોઝ લીધા હશે તે જ વ્યક્તિ સરકારી કચેરીમાં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા છતા સ્થિતિ નિયંત્રણમાં છે. વ્યાપક રસીકરણને કારણે કોરોનાની તિવ્રતામાં ઘટ થઇ છે.
વાયબ્રન્ટ ગુજરાત મુદ્દે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. વાયબ્રન્ટ સમિટના વિરોધ મુદ્દે જવાબ આપતા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, રાજ્યમાં બેરોજગારીની વાતો ભ્રામક છે. વાયબ્રન્ટ સમિટ ગુજરાતની ગ્રોથ એન્જીન છે. વાયબ્રન્ટથી રોજગારીનું સર્જન થાય છે. સમગ્ર વિશ્વ વાયબ્રન્ટ ગુજરાત સમિટની રાહ જોતું હોય છે. વાયબ્રન્ટ ગુજરાતમાં કરોડોના MOU થયા છે. સરકાર બધાને રોજગારી ન આપી શકે પરંતુ સ્વરોજગારી માટે વ્યવસ્થા કરી શકે. સુશાસનમાં ગુજરાત દેશમાં નંબર વન છે.