ઘણા લોકો સ્વાસ્થ્ય સંબંધિત વીમા કરાવતા હોય છે, ત્યાર બાદ કોઈ બિમારીના કિસ્સામાં જ્યારે ક્લેઈમ કરવામાં આવે ત્યારે કંપની અને વીમાધારક બંને વચ્ચે સંઘર્ષ પણ થતાં હોય છે.
વીમા કંપની પર ગ્રાહક ફોરમનો મોટો ચુકાદો
મેડિકલ કરાવ્યા બાદ વીમો આપ્યો હોય તો રકમ આપવી પડે
વીમા કંપનીએ ક્લેઈમનો દાવો રદ કરી દીધો હતો
વીમા કંપનીએ પોલીસી આપતા પહેલા જો વીમા લેનારા વ્યક્તિનો મેડીકલ ટેસ્ટ કરાવ્યો છે, તો કંપની ક્લેઈમનો દાવો એ આધાર પર રદ ન કરી શકે કે, ક્લેઈમ લેનારા વ્યક્તિએ પોતાની જૂની બિમારી છુપાવી છે. મધ્ય પ્રદેશના ઈન્દૌરમાં ગ્રાહક ફોરમે આ પ્રકારના કેસમાં પીડિતના હકમાં ચુકાદો આપ્યો છે. ફોરમે કેન્સરના દર્દીને બે લાખના ક્લેઈમની સાથે સાથે વ્યાજ અને માનિક પ્રતાડના તરીકે 25 હજાર રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે.
હકીકતમાં જોઈએ તો, ડિસેમ્બર 2016માં માનપુર મહૂની રહેવાસી કોમલ ચૌધરીએ બજાજ અલિયાંજ કંપનીમાંથી બે લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમા પોલીસી લીધી હતી. માર્ચ 2017માં તેને પેટમાં કેન્સર હોવાનું જાણવા મળ્યું. સારવારના ખર્ચ માટે જ્યારે પોલીસી ધારકે ક્લેઈમની રકમ માટે દાવો કર્યો તો, વીમા કંપનીએ એવું કહીને દાવો રદ કરી દીધો કે, પોલીસી ધારકે વીમો લેતી વખતે કંપનીને જૂની બિમારી વિશે જાણ કરી નહોતી. ઉપરાંત કંપનીએ વીમા ધારક પર હાઈપરટેન્શન અને ટીબીથી પીડિત હોવાનું જાણકારી છુપાવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેના પર મહિલાના પરિવારના લોકોએ કંપની પર ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી હતી.
સારવાર દરમિયાન થઈ ગયું હતું મોત
વીમાધારાક મહિલાનું 2019માં મોત થઈ ગયું હતું. ત્યાર બાદ પણ ગ્રાહક ફોરમમાં કેસ ચાલતો રહ્યો. મહિલાના ભાઈ અને વ્યવસાયે સીએ એસએન ગોયલે વકીલ તરીકે કેસ લડવાનો નિર્ણય કર્યો. તેમણે ફોરમને કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ કેન્સર જેવી ગંભીર બિમારીને ફક્ત એટલા માટે છુપાવી ન શકે કે તેને વીમાની રકમ જોઈએ છે. તેમણે કહ્યું કે, વીમા કંપની આવો તર્ક આપીને ગ્રાહકોનું અધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે. આ બાજૂ કંપનીના વકીલે ફોરમમાં કહ્યું કે, વીમા ધારકના પરિવારના લોકો ભાવનાત્મક લાભ ઉઠાવવા માગે છે.
વ્યાજ સહિત રકમ આપવાનો આદેશ
પીડિતની દલીલ કરી રહેલા ભાઈએ તર્ક આપ્યો કે, જ્યારે કંપનીએ ખુદ મેડિકલ તપાસ કરાવીને વીમો આપ્યો છે તો ક્લેમ આપવાથી છટકી શકે નહીં. હાઈપરટેન્સનને પણ કેન્સર જેવી બિમારી સાથે કોઈ સીધો સંબંધ નથી. આ ફોરમે આદેશ આપ્યો હતો કે, 15 જૂલાઈ સુધી વીમા પોલીસી અનુસાર બે લાખ રૂપિયા અને ક્લેઈમ રદ થવાથી અત્યાર સુધીમાં પુરી રકમ પર 6 ટકા વ્યાજ આપવું પડશે. આ ઉપરાંત પરિવારના લોકોને જે માનસિક ત્રાસ મળ્યો છે કે તેના માટે કંપનીએ અલગથી 25 હજાર આપવા પડશે.