ગુજરાતમાં ફરી કોરોનાએ પગપેસારો કર્યો છે. રાજકોટમાં કોરોનાના બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
રાજકોટમાં કોરોનાનો પગપેસારો
બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ
શહેરમાં કેસ આવતા મનપા તંત્ર સતર્ક બન્યું
ચીનમાં વધી રહેલા કોરોનાના કેસના કારણે આખા વિશ્વની ચિંતામાં વધારો થયો છે. કોરોનાના વધતા કેસના કારણે ફરીથી ચીનમાં આખી વ્યવસ્થા પડી ભાંગી હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ બધાની વચ્ચે ગુજરાતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોના ફરી પગપેસારો કરી રહ્યો છે.
રાજકોટમાં બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક
રાજકોટમાં કોરોનાના ફરી બે કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે. રાજકોટમાં બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેના કારણે મનપા તંત્ર સતર્ક બન્યું છે. રાજકોટ મનપાએ સરકાર પાસે કોવિશિલ્ડની વેક્સિન માંગી છે. શહેરમાં કોવેક્સિનના સ્થાને કોવિશિલ્ડના ડોઝ સૌથી વધુ અપાયા છે. લાખો લોકોને પ્રિકોશન ડોઝ બાકી છે ત્યારે મનપા પાસે કોવિશિલ્ડનો જથ્થો ખૂટ્યો છે.
આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલનું નિવેદન
ચીન સહિત દુનિયાના કેટલાક દેશોમાં હવે કોરોના ફરીથી માથુ ઉચકી રહ્યો છે ત્યારે હવે ભારત સરકાર સહિત ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. ગાંધીનગર ખાતે કોવિડની સ્થિતિને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. આ તરફ બેઠક બાદ આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, વિદેશી પ્રવાસીઓનુ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારાશે, દવાઓનો પર્યાપ્ત જથ્થો પહોચાડાશે. આ સાથે તમામ ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવા અને કેન્દ્રની અડવાઈઝરીનુ ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે.
કોરોનાની વધતી ચિંતાને લઈને ગાંધીનગરમાં મળી બેઠક
કોરોનાની વધતી ચિંતાને લઈને ગઈકાલે ગાંધીનગરમાં બેઠક મળી હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં હાલ કોવિડની સ્થિતિ,વેક્સિનેશન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાઇ હતી. વિશ્વભરમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે ભારત સરકારે પણ કોરોના અંગે સમીક્ષા બેઠક બોલાવી હતી.