આપણે ત્યાં ડુંગળીને ગરીબોની કસ્તૂરી કહેવામાં આવે છે કારણ કે તે સસ્તી હોવાની સાથે પોષક તત્વોથી ભરપૂર છે. ચાલો જાણીએ ઉનાળામાં રોજ કાચી ડુંગળી ખાવાના ફાયદા.
અનેક રોગોથી બચાવે છે ડુંગળી
રોજ ભૂલ્યા વિના ખાઓ 1 કાચી ડુંગળી
ઉનાળામાં ડુંગળી ખાવાથી મળશે ગજબ ફાયદા
આહારમાં પોતાની રુચિ પ્રમાણે ડુંગળીનો ઉપયોગ કરવાથી બધાં જ પોષક તત્વો મળી રહે છે. ગરમીમાં ડુંગળીનું સેવન કરવાથી લૂ લાગતી નથી અને સૂર્યના ઉગ્ર તાપની શરીર પર માઠી અસર નથી થતી. શિયાળામાં તે શરીરને પોષણ આપે છે અને ચોમાસામાં આહારનાં પાચનમાં મદદ કરે છે. ટૂંકમાં, ડુંગળી એ દરેક ઋતુમાં એકસરખી ઉપયોગી છે.
ભારતીય ભોજનમાં મેટાભાગે ડુંગળીનો ઉપયોગ થતો હોય છે અને આયુર્વેદની દૃષ્ટિએ પણ ડુંગળીને અત્યંત ગુણકારી માનવામાં આવે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, કાચી ડુંગળી ખાવાથી આપણને અઢળક સ્વાસ્થ્ય ફાયદા થાય છે. આમ તો કાચી ડુંગળી સલાડ સાથે ખાવામાં આવે જ છે. પણ ડુંગળી ખાવાના અનેક સ્વાસ્થ્ય લાભ અને ઉપયોગ છે.
કાચી ડુંગળીમાં સલ્ફર તત્વ અને જરૂરી વિટામીન હોય છે જે શરીરના બધાં રોગોને દૂર કરે છે. કાચી ડુંગળીને સેન્ડવિચ, સલાડ કે પછી ભેળ વગેરેમાં ઉપરથી નાખીને પણ ખાઈ શકાય છે. જો તમને ડર છે કે આ ખાવાથી મોઢામાં વાસ આવશે તો તમે બ્રશ કરી લો.
કેન્સર
ડુંગળીમાં સલ્ફર વધુ પ્રમાણમાં હોય છે. જે કેન્સર સેલ્સને વધતાં રોકે છે અને કેન્સરનો ખતરો ઘટાડે છે. તે પેટ, ફેફસા અને પ્રોસ્ટેટ કેન્સરથી બચાવે છે.
શરદી-ખાંસી
જો તમને શરદી, કફ અથવા ગળામાં ખરાશની સમસ્યા રહેતી હોય તો કાચી ડુંગળી ખાશો તો આ સમસ્યામાંથી રાહત મળશે.
કબજિયાત
આમાં ફાયબર હોય છે. જે કબજિયાતની સમસ્યાથી રાહત આપવામાં મદદ કરે છે.
કોલેસ્ટ્રોલ
આમાં અમિનો એસિડ અને મિથાઈલ સલ્ફાઈડ હોય છે. જે ગુડ કોલેસ્ટ્રોલને વધારીને બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. તે હાર્ટની બીમારીઓથી પણ બચાવે છે.
બ્લડપ્રેશર
કાચી ડુંગળી ખાવાથી મિથાઈલ સલ્ફાઈડ અને અમિનો એસિડ બીપી કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જેનાથી બીપીની સમસ્યા થતી નથી.
ડાયાબિટીસ
કાચી ડુંગળી ખાવાથી બોડીમાં ઈન્સ્યૂલિનની માત્રા વધે છે. જે ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.
કઈ રીતે છે ફાયદાકારક
ડુંગળીમાં સલ્ફર, કેલિસિન, આયર્ન, કેલ્શિયમ, વિટામિન B6, B અને C ભરપૂર માત્રામાં હોય છે. જેથી તે નેચરલ એન્ટીબાયોટિકની જેમ કામ કરે છે.