સામાન્ય રીતે એટીએમનું નામ સાંભળીએ એટલે મની ટ્રાન્ઝેકશન માટેનું મશીનની યાદ આવે. પરંતુ રાજ્યમાં એક સરકારી હોસ્પિટલમાં મૂકાયેલા મશીને આ ધારણા બદલી નાખી છે. ગુજરાતના પાલિતાણા તાબાના ઘેટી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રોગના નિદાન માટેનું એટીએમ મુકાયું છે. તો કેવું છે આ મશીને અને દર્દીઓને કેવી રીતે બને છે લાભદાયી તે જાણી થશે આશ્ચર્ય.
નિદાન માટેનું એટીએમ
20 મિનિટમાં 41 રોગનું નિદાન
નાનકડા ગામમાં વર્લ્ડ ક્લાસ સુવિધા
નાગરિકો માટે આરોગ્ય, શિક્ષણ અને અને આવાસની સુવિધા પૂરી પાડવાની જવાબદારી સરકારની છે અને આ સુવિધા પૂરી પાડવામાં ટેકનોલોજી પણ ઉપકારક બની રહી છે. ટેકનોલોજીના સહારે ગુજરાત સરકારની આરોગ્ય સુવિધામાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે. ભાવનગરના જિલ્લાના ઘેટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અનેક રોગના નિદાન માટે એક એટીએમ મુકવામાં આવ્યું છે.
20 મિનિટમાં 41 પ્રકારના રોગનું કરી શકે છે નિદાન
આ મશીનનું ટેકનિકલ નામ ઓલો હેલ્થ છે. જે 20 મિનિટમાં 41 પ્રકારના રોગોનું નિદાન કરવા સક્ષમ છે. આ મશીનને ઈન્ટરનેટથી પણ કનેક્ટ કરવામાં આવ્યું છે. જેનાથી દર્દીના રોગના લક્ષણો તપાસવા માટે દૂરની મોટી હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરોને પણ તાત્કાલિક મોકલી શકાય છે. આધુનિક સુવિધાથી સજ્જ એવા આ ઓલો હેલ્થ મશીન દ્વારા ડાયાબિટીશ, મેલેરિયા, બ્લડનું નિદાન,યૂરિન ટેસ્ટ તેમજ આંખના નંબર આવા 41 રોગોનું નિદાન કરી શકાય છે.
હેલ્થ ATM મશીન
રાજ્યમાં પ્રથમવાર ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા આ ઓલો હેલ્થ એટીએમ મશીન વસાવવામાં આવ્યું છે. રોગના નિદાન માટે આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓને મશીનની સામે ઉભા રાખવામાં આવે છે. પછી કોન્ટેક્ટ માટે જરૂરી પ્રોસેસ કરવામાં આવે છે. દર્દી સાથે સંપર્ક સ્થાપિત થયાની થોડી સેકન્ડોમાં જરૂર મુજબ એમ 41 જેટલા રોગના રિપોર્ટ થઈ શકે છે. પુણેની કંપની દ્વારા આ મશીન વિકસાવવામાં આવ્યું છે અને સ્ટાર્ટઅપ યોજના હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે.
મશીનની કિંમત 11 લાખ રૂપિયા
મેડિકલ અને એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓના સહિયારા પ્રયાસો દ્વારા આ મશીને વિકસાવામાં આવ્યું છે. આ એક મશીનની કિંમત 11 લાખ રૂપિયા છે. હજુ આગામી દિવસોમાં આવા 6 મશીન ભાવનગરના અલગ અલગ પી એચ સી સેન્ટરમાં મુકવામાં આવનાર છે. જો કે હાલતો આ એક મશીનથી જ અનેક દર્દીઓના નિદાનમાં રાહત ઊભી થઈ છે.
રાજ્યના એક નાનકડા એવા ઘેટી ગામમાં આ પ્રકારનું હેલ્થ એ ટી એમ મુકવામાં આવતાં. આસપાસના 25 જેટલા ગામના લોકોને ટેકનોલોજીના મીઠા ફળ ચાખવા મળી રહ્યા છે. અનેક પ્રકારના રોગોનું નિદાન ઘર આંગણે અને એમાં પણ થોડી સેકન્ડોમાં જ મળતા દર્દીઓને રાહત મળી છે.