"2 લોકો દ્વારા 200 પ્રશ્નો સોલ્વ કરાવ્યાનો આક્ષેપ"
ગુજરાતમાં પેપર લીક કૌભાંડ. ભરતીઓ રદ્દ થવી. લાખો યુવાઓની મહેનત પર પાણી ફરી જવું.આ બધું હવે સામાન્ય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, પારદર્શિતા સાથે ગુજરાતમાં ભરતી થાય તો ઈતિહાસ રચાઈ જાય. કારણ કે, ફરી એક વખત ગૌણ સેવા પસંદગી દ્વારા લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થયાના આક્ષેપો થયા છે. જેના કેટલાક પુરાવાઓ પણ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે.
પેપર લીક મુદ્દે નિષ્પક્ષ તપાસ ક્યારે?
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી લેખિત પરીક્ષાઓમાં અવારનવાર પેપર લીક થવાની ફરિયાદો ઉભી થતી રહી છે. ત્યારે ફરી એકવાર યુવરાજસિંહ જાડેજા નામના શખ્સે રવિવારે લેવાયેલ હેડક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું હોવાના આક્ષેપ લગાવ્યા છે. એટલું જ નહીં આ મુદ્દે સચિવને જાણ કરી હોવાના પણ દાવા કરાઈ રહ્યા છે. યુવરાજસિંહ જાડેજાએ દાવો કહ્યો છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે લેવામા આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર હિંમતનગરથી શનિવારે જ લીક થઈ ગયું હતું. અને પેપર 10 થી 12 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યું હતું. અને આ પેપર અંદાજીત 72 જેટલા ઉમેદવારો પાસે પહોંચ્યું હોવાનો પણ દાવો કરાયો છે. સૌથી ખાસ વાત તો એ છે કે, હેડક્લાર્કની લેખિત પરીક્ષાનું પેપર લીક થયાની હાર્ડ કોપીના પુરાવા પણ યુવરાજસિંહ જાડેજા દ્વારા રજૂ કરાયા છે. અને એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, પ્રાંતિજના ઊંછા સ્થિત ફાર્મ હાઉસમાં 16 વિદ્યાર્થીઓ હાજર હતા. તેમને પેપર આપ્યુ હતું અને બે જણાંએ 200 પ્રશ્નો ચોપડીમાંથી સોલ્વ કરાવ્યા હતા. જોકે બીજી તરફ કોબા ખાતે આવેલ મધુરી મનસુખ વસા સંસ્થાના એક વિદ્યાર્થીને પરીક્ષા પછી સ્કૂલની બહાર એક ચબરખી મળી આવી હતી. જેમાં જવાબ લખેલા હતા. આ બંને વસ્તુઓ હાલ ખુબ વાયરલ થઈ રહી છે. જોકે જે ફાર્મ હાઉસની વાત થઈ રહી છે. તે ફાર્મ હાઉસ સુધી પણ વીટીવી ખરાઈ માટે પહોંચ્યું હતું. અને તેના માલિક સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો.
કેટ કેટલી ભરતીમાં થયા કૌભાંડ
ગુજરાતમાં ભરતી કૌભાંડ કોઈ નવી વાત નથી. કારણ કે, આ પહેલા બિન સચિવાલ, એલઆરડી, તલાટીકમ મંત્રી, સહિતની પરીક્ષાઓના પેપર લીક થઈ ચૂક્યા છે. અને ત્યાર બાદ લાખો યુવાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. કારણ કે, દર વખતે સરકારને ભરતી રદ્દ કરવી પડી છે. જોકે આ પેપર લીક થયાના આક્ષેપો મુદ્દે કાયદામંત્રી એવું કહી રહ્યા છે કે, પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે. અને ભ્રષ્ટાચારીઓને નહીં બક્ષવામાં આવે. જ્યારે વિપક્ષો એવા આક્ષેપ લગાવી રહ્યા છે કે, ભાજપ માત્ર આરએસએસના લોકોને જ નોકરી આપવા માગે છે.
પેપર લીક નહીં સિસ્ટમ લીક
અહીં રાજનીતિ છોડી દો તેમ છતાં સવાલ એ થાય છે કે, 2 લાખ યુવાનોની મહેનત પર કોણ પાણી ફેરવી રહ્યું છે.? કેમ વારંવાર ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં જ ગેરરીતિ થાય છે? કેમ ગુજરાતમાં વારંવાર દરેક ભરતીઓમાં પેપર ફૂટી જાય છે? ક્યાં ગઈ ગુજરાત સરકારની પારદર્શિતા સાથે ભરતીની વાતો? શું ભરતીઓ માત્ર પૈસાની લૂંટ માટે જ થાય છે? જો પેપર ફૂટ્યું નથી તો આક્ષેપો સાથે પુરાવા ક્યાંથી આવી રહ્યા છે? આ પેપર ફૂટ્યું છે તો નિષ્પક્ષ તપાસ ક્યારે થશે? વિદ્યાર્થીઓની મહેનત સામે કોણ સિસ્ટમ ફેઈલ કરે છે? છેલ્લા ત્રણ-ચાર વર્ષેથી બસ આ એક જ ઘટના ક્રમ ઘટે છે. પરિક્ષા પહેલા પેપર ફૂટે છે. અને લાખો યુવાનોની મહેનત પર પાણી ફરી વળે છે. તેવામાં આ મુદ્દે નિષ્પક્ષ તપાસ થાય છે કે નહીં તે જોવું રહ્યું.