થોડા દિવસ પહેલા જ યુપીમાં પણ પેપરલીક કેસ સામે આવ્યો હતો, જેમા મુખ્યમંત્રીએ બુલડોઝર ચડાવી દેવાની ધમકી આપી હતી.
ગુજરાતમાં હેડકલાર્ક પેપરલીક થયાની આશંકા
યુપીમાં થોડા દિવસ પહેલા જ લીક થયું હતું પેપર
આરોપીઓ પર ગેંગસ્ટર એક્ટ લગાવાયો, સંપત્તિઓ કુર્ક કરવાની કાર્યવાહી
ગુજરાત રાજ્યમાં ફરીવાર પેપરલીક કાંડ સામે આવતા રાજ્ય આખામાં સરકારી ભરતી માટે તૈયારીઓ કરતાં યુવાનોના મનમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવારનોની અપેક્ષા હતી કે તાત્કાલિક પ્રાથમિક ધોરણ કોઈ કડક પગલાં તો ભરશે, કારણ કે નવા નવા ગૃહરાજ્યમંત્રી આવ્યા ત્યારથી જોશ બતાવી રહ્યા હતા. જોકે ગઇકાલ સુધી સરકારે કહ્યું કે અમને કોઈ પુરાવા નથી મળ્યા અને આજે તો શિક્ષણ મંત્રીએ અસિત વોરાને ક્લીનચિટ આપી સ્પષ્ટ કર્યું કે વોરાનું રાજીનામું નહીં થાય. જોકે અઠવાડિયુ-દસ દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશમાં પણ પેપરલીક ઘટના થઈ હતી, ત્યાં પણ ભાજપની જ સરકાર છે પરંતુ કાર્યવાહી બંને સરકારની તદ્દન ઊંધી છે.
ઉત્તર પ્રદેશમાં 28 નવેમ્બરે UPTETની પરીક્ષા હતી જેમા 21 લાખ ઉમેદવારો હતા, જોકે પરીક્ષા શરૂ થઈ તેની થોડી જ મિનિટમાં જાહેરાત કરવામાં આવી કે પરીક્ષા રદ્દ કરવામાં આવે છે કારણ કે પેપરલીક થઈ ગયું હતું.
ઉત્તર પ્રદેશમાં કેવી કડક કાર્યવાહી કરાઇ
જોકે તે બાદ તરત જ મુખ્યમંત્રી સહિત આખી સરકાર એક્શનમાં આવી ગઈ. CM યોગીએ કહ્યું કે કોઈ ગમે તેટલું મોટું હશે, બુલડોઝર ચડાવી દઇશ તે નક્કી છે. યોગીએ આરોપીઓ પર ગેંગસ્ટર એક્ટ દાખલ કરવાના આદેશ આપ્યા. આટલું જ નહીં પેપરલીક કરનારાઓની સંપત્તિ જપ્ત કરીને NSA એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.
આટલું જ નહીં પરીક્ષાનું આયોજન કરવાની જેના શિરે જવાબદારી હતી તે સચિવ સંજય ઉપાધ્યાયને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
આ સિવાય પોલીસે પણ તાબડતોબ કાર્યવાહી કરી અને ગણતરીનાં કલાકોમાં માસ્ટરમાઇન્ડ સહિત 24 જેટલા લોકોને ઉઠાવી લીધા હતા.
આ સિવાય પરીક્ષા આપનારા ઉમેદવારોને આઈ કાર્ડ બતાવીને બસોમાં મફત મુસાફરી માટેની સુવિધા પણ કરી આપવામાં આવી હતી. યોગીએ એલાન કર્યું હતું કે આવી પ્રવુત્તિ સાંખી નહીં લેવાય, યુવાઓના કરિયર સાથે રમત રમનારા સામે દાખલો બેસે એવી કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાતમાં અત્યાર સુધી શું કાર્યવાહી થઈ
પહેલા મૌન પછી કહ્યું પુરાવા નથી
પેપરલીક મામલે રાજ્યની મીડિયામા ભારે હોબાલા બાદ ગૃહરાજ્યમંત્રીએ બેઠક બોલાવી ત્યાં સુધી ગૌણ સેવા પસંદગી મંડળનાં ચેરમેન અસિત વોરા મૌન રહ્યા
મીટિંગ બાદ સામે આવ્યા તો કહ્યું, અમારી પાસે કોઈ એવા નક્કર પુરાવા નથી કે પેપરલીક થયું છે. કોઈએ અમને ફરિયાદ જ નથી કરી
બાદમાં બીજા દિવસે શિક્ષણમંત્રીએ અસિત વોરાના વખાણ કરતાં કહ્યું તેમના સમયમાં ખૂબ સારી રીતે પરીક્ષાઓ લેવાઈ છે
ગૃહરાજ્યમંત્રી સંઘવીએ ફરી અધિકારીઓને બેઠક માટે બોલાવ્યા
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પુરાવાઓ લઈને ગૃહરાજ્યમંત્રી સંઘવી પાસે પહોંચ્યા