રાજકોટ મેડિકલ કોલેજના PSM વિભાગના વડા ડૉ.શોભા મિશ્રાનો તેમના ઘરમાંથી જ મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.
PSM વિભાગના વડા ડો.શોભા મિશ્રાનો મળી આવ્યો મૃતદેહ
પ્રદ્યુમન નગર પોલીસે હાથ ધરી તપાસ
આજે પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ થશે સ્પષ્ટ
રાજકોટના રેસકોર્સ પાર્કમાં રહેતા અને મેડિકલ કોલેજના PSM વિભાગના વડા તરીકે ફરજ બજાવતા ડૉ.શોભા મિશ્રા તેમના ઘરે મૃત હાલતમાં મળી આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ ડોક્ટર શોભા મિશ્રાનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ નીપજ્યું હોય તેવું લાગી રહ્યું છે. જોકે, સાચું કારણ તો મૃતકનો PM રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે.
માતાએ ફોન ન રિસીવ કરાતા દીકરીએ પાડોશીને કર્યો ફોન
આ અંગે મળતી માહિતી અનુસાર, ડૉ. શોભા મિશ્રાને ગોધરા રહેતી દીકરીએ અનેક ફોન કરતા તેમણે ફોન રિસીવ કર્યો નહોતો. જેથી તેમની દીકરીએ પાડોશીને ફોન કર્યો હતો. જે બાદ પાડોશી તેમના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમના ઘરનો દરવાજો બંધ હોવાથી તેમણે દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. જેથી તેમને કંઇક અજુગતુ થયાની શંકા ઉઠતા તેમણે આસપાસમાં રહેતા અન્ય પાડોશીઓને પણ બોલાવ્યા હતા, તો આ અંગેની જાણ થતાં મેડિકલ કોલેજનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો.
મેડિકલ કોલેજના સ્ટાફે દરવાજો તોડ્યો
જે બાદ સ્ટાફે દરવાજો તોડી ઘરમાં જઈને તપાસ કરી ત્યારે ડોક્ટર આશા મિશ્રા તેમના બેડ પર મૃત હાલતમાં મળી આવ્યા હતા. મેડિકલ કોલેજના સ્ટાફ દ્વારા જરૂરી પમ્પિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી. જોકે. કોઈપણ પ્રયત્નો કામ લાગ્યા નહોતા. આ અંગેની જાણ કરાતા પ્રદ્યુમનનગર પોલીસની ટીમ પણ બનાવ સ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
PM રિપોર્ટ આવ્યા બાદ સાચુ કારણ સામે આવશે
આ મામલે પોલીસે જણાવ્યું કે, ડો.શોભાના પતિ વડોદરા મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે, જ્યારે તેમની દીકરી ગોધરા ખાતે ઇન્ટર્ન ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. તમામ પરિવારજનોના આવ્યા બાદ પોસ્ટમોર્ટમ કરાવામાં આવશે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે.