હેડ ક્લાર્કનું પેપર લીક થવાનો આરોપ લગાવનાર યુવરાજસિંહે ગૌણ સેવાના સચિવની શંકાસ્પદ ભૂમિકા હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કેટલાક મોટા પુરાવા આપ્યા છે અને હજુ પણ પુરાવા હોવાનું જણાવ્યું છે.
હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીકનો મામલો ગરમાયો
રવિવારે લેવાયેલી પરીક્ષાનું પેપર ફુટી ગયાનો દાવો
ગૌણ સેવા પસંદગી મંડળે હજુ સુધી નથી કરી નક્કર કાર્યવાહી
ગૌણ સેવા પસંદગીની લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થયું હોવાના આરોપો બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કેટલાક પુરાવા જાહેર કર્યા હતા. જોકે ગૌણ સેવાના આસિત વોરા દ્વારા જણાવાયું હતું કે અમને કોઇ નક્કર પુરાવા નથી મળ્યા. ત્યારે આ અંગે યુવરાજસિંહે ફરી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કેટલાક વધુ પુરાવાઓ આપ્યા છે અને આસિત વોરાને તપાસમાંથી દૂર કરવાની માંગ કરી છે. તો તેમણે ગૃહ રાજ્યમંત્રાલયની બે દિવસમાં બેઠક યોજાય તેવી માંગ કરી છે. જો બેઠક નહીં યોજવામાં આવે તો આંદોલનની પણ ચિમકી ઉચ્ચારી છે.
પેપર ફૂટવા મામલે યુવરાજસિંહનો મોટો આરોપ
પેપર ફૂટવા મામલે યુવરાજસિંહે મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, એચ એસ ચૌધરી હાઇસ્કુલમાં એક વિદ્યાર્થીએ કોપી સાથે પેપર આપ્યું છે. આ વિદ્યાર્થીને પાસેથી વચેટિયાએ નાણા લેવાના હતા. નાણા મળ્યા એટલે વિદ્યાર્થીને પરીક્ષામાંથી જવા દીધો હતો. વિદ્યાર્થીના પિતા નાણા લઇને આવ્યા પછી જવા દીધો હતો. હાઇસ્કુલના સીસીટીવી તપાસમાં આવે તો ઘણું નિકળશે. જે મોબાઇલ નંબરથી વાત થઇ છે તે નંબર પણ અમારી પાસે છે. વીડિયો રેકોર્ડિંગ પણ ઉપલબ્ધ છે. પરંતુ આ અમે વિશ્વાસુને જ આપવા માંગીએ છીએ. ઓડિયો ફાઇલ તમામ મીડિયા મિત્રોને આપું છું. મેં પુરાવા આપ્યા છે, તે જણાવવા માટે પણ મારે પુરાવા આપવા પડે છે.
અસિત વોરાની શંકાસ્પદ ભૂમિકા, તેમને તપાસમાંથી દૂર કરવામાં આવેઃ યુવરાજસિંહ
હેડ ક્લાર્ક પેપર લીક આક્ષેપ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમે ગૌણ સેવાના સચિવને પુરાવા આપ્યા હતા. 2 વાગ્યે પેપર ફૂંટ્યા અંગે જાણ કરી હતી. પરંતુ તેમણે કહ્યું કે ઓથેન્ટિંગ પુરાવા આપો. હવે તેઓ કયા પુરાવાને ઓથેન્ટિંગ માને છે તે અમને નથી ખબર. આ પેપર લીકની તપાસમાં GSSSBના ચેરમેનની શંકાસ્પદ ભૂમિકા છે, તેથી તપાસમાંથી અસિત વોરા ને દૂર કરવામાં આવે એવી માંગ છે. અમે અસિત વોરાને તપાસથી દુર કરીને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. અસિત વોરા અધ્યક્ષ હતા ત્યારે અનેક કૌભાંડ થયા છે. અસિત વોરાને અધ્યક્ષ પદેથી દુર કરવામાં આવે.
ઉછા ફાર્મ ખાતે પહોંચેલી ગાડીઓના નંબર યુવરાજસિંહે જાહેર કર્યા
યુવરાજસિંહે 4 કારના શંકાસ્પદ નંબરો જાહેર કર્યા છે. યુવરાજસિંહે જણાવ્યું કે, મારી પાસે બીજા આધાર પુરાવા છે. જેમાં ઉંછા ફાર્મ હાઉસમાં જે ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ગાડીનો નંબર છે. GJ 01 KW 1487, GJ 05 RB 8103, GJ 01 HR 9005, JG 09 BJ 2416. આ નંબર તે ગાડીના છે જે પેપર કાંડમાં ઉપયોગમાં લેવાઇ હતી.
વધુ પુરાવા અમે વિશ્વાસુને જ આપીશુંઃ યુવરાજસિંહ
યુવરાજસિંહે કહ્યું કે, અમારી પાસે પેપર લીક માટે વાત થયેલ મોબાઇલ નંબર છે. હમીરગઢ ગામના શખ્સો પેપર લીક સાથે સંકળાયેલા છે. તેમના નામ અને નંબર વિશ્વાસુ વ્યક્તિને આપીશું. માણસાની એચ.એસ.ચૌધરી સ્કૂલમાં પેપર મોકલાયા હતા.
પેઇન ડ્રાઇવ, ફોટો અને ઓડિયો સાથે પુરાવા આપીશું- યુવરાજ
યુવરાજસિંહે કહ્યું કે,અગાઉ અમે ટેલિફોનિક રજૂઆત કરી હતી. અમારી પાસે આધારભૂત પુરાવા માગવામાં આવ્યા હતા. આવતીકાલે 10 વાગ્યે અમે આધાર પુરાવા સાથે GSSSBને રજૂ કરીશુ. પેઇન ડ્રાઇવમાં વીડિયો અને ઓડિયો ક્લીપ આપીશું.
2 દિવસમાં ગૃહરાજ્યમંત્રી બેઠક કરે, જો બેઠક નહીં થાય તો આંદોલન થશે
યુવરાજસિંહે કહ્યું કે,ગાંધીનગર PIને પણ જાણ કરવા ફોન કર્યો હતો. હાલ અમને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર જ અમને ભરોસો છે. ગૃહ રાજ્યમંત્રીએ આ અંગે બેઠક કરવી જોઇએ. બે દિવસમાં ગૃહ રાજ્યમંત્રી આ મુદ્દે બેઠક બોલાવે તેવી માગ છે. જો બેઠક નહીં થાય તો ગુજરાતભરમાં આહ્વાન કરાશે. વિદ્યાર્થીઓ અને તેમના સમર્થકોને બોલાવી આંદોલન થશે. બે દિવસ પગલા ન લેવાય તો અમે ગાંધીનગરમાં આંદોલન કરીશું.
જો 72 કલાકમાં સરકાર ફરિયાદી નહીં બને તો અમે ફરિયાદી બનીશું
યુવરાજસિંહે કહ્યું કે, માણસાની સ્કૂલમાંથી પેપર ફોડનારને ચેક અપાયો હતો. સવારે 6.30 કલાકે વિદ્યાર્થીઓને ફાર્મ હાઉસથી રવાના કરાયા હતા. સોફ્ટ કોપી સવારે લીક થઇ હતી. પેપરની હાર્ડ કોપી બપોરે લીક થઇ છે. સરકારે સામે ચાલીને સુઓમોટો અરજી કરવી જોઈએ. મારી પાસે જે પુરાવા છે તેના પર મને સંપૂર્ણ ભરોસો છે. જો સરકાર ફરિયાદી નહીં બને તો અમે ફરિયાદી બનીશું. અમે 72 કલાકમાં પગલા નહી લેવાય તો ફરિયાદી બનીશું.
પેપર ફૂટવાના અમને કોઈ પૂરાવા મળ્યા નથી. પરીક્ષા શાંતિપૂર્ણ રીતેે સમાપ્ત થઈઃ અસિત વોરા
ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ આજે પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાનું નિવેદન સામે આવ્યું હતું. અસિત વોરાએ આજે પત્રકાર પરિષદ બોલાવીને માહિતી આપી હતી. અસિત વોરાએ જણાવ્યું હતું કે પેપર લીક થયું હોવાના નક્કર પુરાવા નથી મળ્યા. પેપર લીક થયાની કોઇપણ ઓફિસિયલ ફરિયાદ અમને મળી નથી. પરીક્ષા શરૂ થતાં પહેલા પેપર લીક થયા હોવાના પુરાવા હજુ નથી મળ્યાં. પુરાવા મળશે તો જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પેપર લીક થયું છે કે તેમ તે અંગેની તપાસ હજુ ચાલી રહી છે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા પણ પોલીસને પેપરલીક મામલે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પેપર લીક થવાના પુરાવા મળશે તો ફરિયાદ દાખલ કરવામાં આવશે.
અન્ય એજન્સીઓની પરીક્ષા સારી રીતે લેવાય છેઃ ઉમેદવાર
હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના આક્ષેપ થઇ રહ્યા છે. ગૌણસેવા પસંદગી મંડળથી વડોદરાના ઉમેદવારોમાં નારાજગી જોવા મળી રહી છે. ઉમેદવારોએ જણાવ્યું કે, અન્ય એજન્સીઓની પરીક્ષા સારી રીતે લેવાય છે. ગૌણસેવા પસંદગી મંડળમાં જ ગેરરીતિ કેમ? યુવરાજસિંહ જાડેજાએ પુરાવા આપ્યા છે. પુરાવા છતાં અસિત વોરા ઇનકાર કરી શું સાબિત કરવા માગે છે. ગૌણસેવા પસંદગી મંડળ પરીક્ષાઓ લેવામાં નિષ્ફળ છે.
દિનેશ બાંભણિયાએ ઝડપી કાર્યવાહી કરવા માગ કરી
પેપર લીક મામલે PASSના પૂર્વ કન્વીનર દિનેશ બાંભણિયાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી ગુનેગારો સામે કાર્યવાહી કરવા માગ કરી છે. રજૂ કરવામાં આવેલ પુરાવાને આધારે તપાસ પંચ બનાવી તાત્કાલિક કાર્યવાહી કરવા માગ કરાઇ છે.
આક્ષેપ નથી હકિકત છે કે પેપર ફૂટ્યું છેઃ કોંગ્રેસ
હેડ ક્લાર્ક પેપર લીક મામલે હવે કોંગ્રેસ આક્રામક થઇ છે...આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ જણાવ્યું કે ગુજરાતમાં જાહેર પરીક્ષાની વિશ્વસનીયતા પર હવે ભરોસો નથી રહ્યો...ગુજરાત ગૌણ સેવા પસંદગી સેવા મંડળનું નામ બદલીને ગમતા પસંદગી મંડળ કરવાનું પણ મનીષ દોષીએ સૂચન કર્યુ હતું...આ સાથે સરકાર દરેક પેપર લીકની ઘટના બાદ એક જ પ્રકારનું નિવેદન કરતી હોવાનું પણ મનીષ દોશીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, ગુજરાતમાં જાહેર પરીક્ષાની વિશ્વસનિયતા પર હવે ભરોસો નથી. ગુજરાત ગૌણ સેવા પસંદગી સેવા મંડળનું નામ બદલી ગમતા પસંદગી મંડળ કરવું જોઈએ. અગાઉ પણ સરકાર એવું કહેતી હતી કે ગેરરીતિ નથી થઈ અને ત્યાર બાદ તમામ પેપરલીકની ઘટના સામે આવી અને હકીકત પણ. સરકારે દોઢ લાખ પરિવારને ચિંતામાં મુક્યાં છે. આક્ષેપ નથી હકીકત છે કે પેપર ફૂટ્યું છે. જાહેર પરીક્ષાની વ્યવસ્થામાં ખામી છે. ભરતી જાહેર થાય એની સાથે એના ભાવ પણ જાહેર થયા છે, સરકારમાં દાળમાં કાળું નથી દાળ જ કાળી છે. ભાજપ ભ્રષ્ટચાર અને ભરતી સાથે ચાલે છેલીપા થોપી નીતિ ન કરવી જોઈએ. આમ તો સરકાર સામે સોશિયલ મીડિયામાં કમેન્ટ કરે તો ધરપકડ 24 કલાકમાં કરે છે. તો આમ સરકાર કેમ ફરિયાદી નથી બનતી ? ગેરરીતિ કરનાર સામે કેમ પગલાં નથી લેતી સરકાર.