યુવરાજસિંહે અસિત વોરા પર નિશાન સાઘતા કહ્યું છે કે ગૌણ સેવાએ પુરાવા માન્ય ન રાખ્યા, મીડિયાએ રાખ્યા તેનો આભાર
ખાનગી પ્રેસને કેમ પેપર છાપવા અપાય છે તે એક સવાલ-યુવરાજસિંહ
સરકારી પ્રેસ હોવા છતા ખાનગી પ્રેસને પેપર છાપવા આપવાનું કારણ શું-યુવરાજસિંહ
ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરા પર પણ શંકાની સોય-યુવરાજસિંહ
પેપર લીક કાંડમાં થયેલા મોટા ખુલાસાઓ બાદ આજે ગુજરાત સરકાર તરફથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે હેડ ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે જે હવે માર્ચ મહિનામાં લેવામાં આવશે. તો બીજી તરફ સમગ્ર મુદ્દાને પુરાવા સાથે રજૂ કરનાર આંદોલનકારી અને AAP નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે પરીક્ષા રદ કરવાના સરકારના નિર્ણય આવકારું છું સાથે જ વેધક સવાલ કરતાં કહ્યું કે સરકારી પ્રેસ હોવા છતા ખાનગી પ્રેસને પેપર છાપવા આપવાનું કારણ શું? તેની પણ તપાસ થવી જોઈએ.
ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરા પર પણ શંકાની સોય-યુવરાજસિંહ
પરીક્ષા રદ કરવાની જાહેરાત થતા જ યુવરાજસિંહએ મીડિયાને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે ખાનગી પ્રેસને કેમ પેપર છાપવા અપાય છે તે એક મોટો સવાલ છે. ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરા પર પણ શંકાની સોય ઘેરાયેલી છે. ગૌણ સેવા પસંદગીના અધ્યક્ષ,સચિવ કે અધિકારી જેની સંડોવણી હોય તેમને સજા મળે તેવી માંગ કરતાં કહ્યું છે કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય તે જરૂરી છે. માટે `હવે વિશ્વસનિયતા જળવાય તે જરૂરી છે તેને લઈને તપાસ પાસે SITની રચના કરવામાં આવે. સાથે આ પહેલા લેવાયેલી સબ ઓડિટરની પરીક્ષા પર પણ શંકા છે તેની પણ તપાસ થાય તેવી માંગ યુવરાજસિંહે કરી છે.88 હજાર વિદ્યાર્થીઓના ટ્રાવેલિંગ ખર્ચ અંગે પણ સરકારને વિચાર કરવા રજૂઆત કરશે તેવી વાત મૂકી હતી.
હેડ ક્લાર્ક પરીક્ષા રદ્દ
પત્રકાર પરિષદને સંબોધન કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પેપરલીક થયાં બાદ તાત્કાલિક અસરથી પોલીસ અને રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી અને યુદ્ધના ધોરણે તપાસના આદેશ આપ્યા હતા. જેમાં ગણતરીના દિવસોમાં જ પેપરલીક કરનાર લોકો સામે ફરિયાદ નોંધાઈ અને 14 લોકોની ધકપકડ કરવામાં આવી છે. હર્ષ સંઘવીએ પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરતાં કહ્યું હતું કે રાજ્યમાં લાયક યુવા ઉમેદવારોની મહત્વકાંક્ષા પર આંચ ન આવે અને તેમનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે આ લેખિત પરીક્ષા રદ્દ કરવામાં આવે છે.
માર્ચ મહિનામાં યોજાશે પરીક્ષા
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે આજે ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠક બાદ પરીક્ષા તાત્કાલિક અસરથી રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના 88 હજાર પરિવારોને ન્યાય મળે અને ખરેખર તનતોડ મહેનત કરનાર ઉમેદવારોના ભવિષ્યને ધ્યાનમાં લેતા હવે આ પરીક્ષા આગામી માર્ચ મહિનામાં યોજાશે.
પેપર ખરીદનારા 70 ઉમેદવારો પરીક્ષા આપી શકશે નહીં
આ સાથે જ તેમણે મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જે 70 વિદ્યાથીઓએ પેપર ખરીદ્યા છે તેઓ આગામી પરીક્ષા આપી શકશે નહીં. બાકી જેમણે ફોર્મ ભર્યા છે તે પરીક્ષામાં લાયક ગણાશે.
હેડ કલાર્ક પેપર લીક કેસમાં પોલીસને મહત્વની સફળતા
મહત્વનું છે કે સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદમાં જયેશ આરોપી નંબર-1 છે અને તેના પર લાખો રૂપિયામાં દીપક પટેલ પાસેથી પેપર ખરીદવાનો આરોપ લગાવાયો છે. જયેશ પટેલે પેપર ખરીદ્યા બાદ અલગ અલગ બે ગ્રુપને પેપર વેચ્યું હતું. તેમ જ તેના સંબંધીના ઘરે જ લીક પેપર સોલ્વ થયું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.પેપર લીક કાંડના મુખ્ય આરોપી જયેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે.. સાબરકાંઠા જિલ્લા પોલીસે જયેશ પટેલને ઝડપી લીધો છે. જયેશ પટેલની ધરપકડ બાદ હવે પોલીસ પૂછપરછમાં પેપર લીક કાંડ સાથે જોડાયેલા અનેક ખુલાસાઓ પણ થઈ શકે છે.