ભારતીય ટીમના યુવા બોલર અર્શદીપ સિંહ ઘણા મોંઘા સાબિત થયા
ભારતના પૂર્વ બેટીંગ કોચ સંજય બાંગરે અર્શદીપ પર કાઢી ભડાસ
ભારતીય ટીમના યુવા બોલર અર્શદીપ સિંહને ટીકાનો સામનો કરવો પડ્યો
અર્શદીપે પહેલી મેચમાં એક વિકેટ પ્રાપ્ત કરી, પરંતુ ન્યુઝીલેન્ડની ઈનિંગની છેલ્લી ઓવરમાં તેમણે 27 રન આપ્યાં. ત્યારબાદ તેમને ક્રિકેટ પ્રેમીઓ અને ક્રિકેટ દિગ્ગજોની ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતના પૂર્વ બેટીંગ કોચ સંજય બાંગરે અર્શદીપ પર ભડાસ કાઢતા નિવેદન આપ્યું છે.
ન્યુઝીલેન્ડની ઈનિંગની છેલ્લી ઓવરમાં અત્યંત કંગાળ પ્રદર્શન
અર્શદીપ સિંહે ન્યુઝીલેન્ડની ઈનિંગની છેલ્લી ઓવરમાં અત્યંત કંગાળ પ્રદર્શન કર્યુ. આ ઓવરમાં ડેરિલ મિશેલે તાબડતોડ બેટીંગ કરીને ઓવરના પ્રારંભિક ત્રણ બોલમાં બેક-ટુ-બેક છગ્ગા માર્યા અને ચોથા બોલમાં એક ચોગ્ગો ફટકાર્યો. આ સાથે છેલ્લી ઓવરમાં અર્શદીપ સિંહે કુલ 27 રન આપ્યાં અને પોતાની સાથે ટી20માં આમ કરવાનો શરમજનક રેકોર્ડ પણ બનાવ્યો.
સંજય બાંગરે અર્શદીપ પર કાઢી ભડાસ
અર્શદીપના આ પ્રદર્શન પર પૂર્વ ભારતીય બેટર સંજય બાંગરે નિવેદન આપ્યું છે. સંજયે કહ્યું, પહેલી ટી20માં પણ અર્શદીપે ખૂબ નિરાશાજનક બોલિંગ કરી. તમામ લોકો જાણે છે કે અર્શદીપ વાઈડ યોર્કર ખૂબ સારી રીતે નાખે છે પરંતુ આજે તેમણે આ રીતે બોલિંગ કરી નહીં. મને લાગે છે કે તેમણે પોતાની બોલિંગને લઇને થોડુ ઘણુ વિચારવુ જોઈએ અને યોગ્ય નિર્ણય લેવો જોઈએ.
તમારા કૌશલનુ પરીક્ષણ કરવામાં આવશે: સંજય બાંગર
આ સાથે તેમણે વધુમાં કહ્યું કે, "આ એક પ્રવાસ છે. ભલે તમે સારી શરૂઆત કરી હોય પરંતુ અમુક એવી રમત પણ હશે જ્યાં તમારા કૌશલનુ પરીક્ષણ કરવામાં આવશે. તમારે ઘણી બધી બાબતો અંગે વિચારવુ પડશે અને ત્યારે તમે સારી બોલિંગ કરી શકો છો."