ગૂજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર ડૉ. રાજેન્દ્ર ખીમાણીએ UGCના નિર્ણય સામે હાઈકોર્ટમાં રિટ કરી હતી. જે મામલે હાઇકોર્ટે તેઓની અરજીને ફગાવી દીધી છે.
હાઇકોર્ટે રાજેન્દ્ર ખીમાણીની UGC વિરૂદ્ધની અરજી ફગાવી દીધી
ગૂજરાત વિદ્યાપીઠ 8 સપ્તાહમાં UGCના નિર્દેશનું પાલન કરે : HC
ગૂજરાત વિદ્યાપીઠને UGCના નિર્દેશોનું પાલન કરવા HCનો આદેશ
ગૂજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર (Vice Chancellor) એટલે કે ઉપ કુલપતિ ડૉ. રાજેન્દ્ર ખીમાણીને ગત વર્ષે નવેમ્બર માસમાં તેમના પદ પરથી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા હટાવવામાં આવ્યા હતાં. ત્યારે UGCના આ નિર્ણય સામે રાજેન્દ્ર ખીમાણીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે રાજેન્દ્ર ખીમાણીની આ અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી છે.
ગૂજરાત વિદ્યાપીઠ 8 સપ્તાહમાં UGCના નિર્દેશનું પાલન કરે: HC
હાઇકોર્ટે ગૂજરાત વિદ્યાપીઠને UGCના નિર્દેશોનું પાલન કરવા આદેશ આપ્યો છે. હાઇકોર્ટે જણાવ્યું કે, 'ગૂજરાત વિદ્યાપીઠ 8 સપ્તાહમાં UGCના નિર્દેશનું પાલન કરે.' મહત્વનું છે કે, UGCએ ખિમાણીને પદ પરથી હટાવવાનો નિર્દેશ કર્યો હતો. આથી, ઉપ કુલપતિ ડૉ. રાજેન્દ્ર ખીમાણીએ UGCના નિર્ણય સામે હાઈકોર્ટમાં રિટ કરી હતી. પરંતુ હાઇકોર્ટે તેઓની અરજી ફગાવી દેતા વિદ્યાપીઠને UGCના નિર્દેશોનું પાલન કરવાનો આદેશ આપી દીધો.
UGC ગ્રાન્ટ પર રોક લગાવવાની ફરજ પાડી શકે
ઉલ્લેખનીય છે કે, યુજીસીના નિયમ મુજબ કોઈ વ્યક્તિ વાઇસ ચાન્સલેરની લાયકાત ધરાવતા ન હોય તો તેને યુજીસી હટાવી શકે છે. આથી ગૂજરાત વિદ્યાપીઠને નિર્દેશ આપેલો કે રાજેન્દ્ર ખીમાણીને હટાવવામાં આવે. જો કે આ નિર્દેશનું પાલન વિદ્યાપીઠ દ્વારા કરવામાં નથી આવ્યું. આથી જો આ નિર્દેશનું પાલન નહીં કરવામાં આવે તો ગૂજરાત વિદ્યાપીઠને મળતી ગ્રાન્ટ પર રોક લગાવવાની ફરજ પાડવામાં આવશે.
ડૉ. રાજેન્દ્ર ખીમાણી વતી વકીલે કરેલી દલીલો
આ સમગ્ર મામલે ડૉ. રાજેન્દ્ર ખીમાણીના વકીલની રજૂઆત એવી હતી કે, વાઇસ ચાન્સેલર તરીકે તેઓ યોગ્ય લાયકાત ધરાવે છે. UGC તેમને રજૂઆતની તક આપ્યા વગર જ એકતરફી નિર્ણય લીધેલો છે અને યુજીસીનો આ નિર્ણય અયોગ્ય છે આથી તેને રદ કરવામાં આવે. જ્યારે બીજી બાજુ ગૂજરાત વિદ્યાપીઠના વકીલની એ પણ રજૂઆત હતી કે ગૂજરાત વિદ્યાપીઠ એ ડીમ્ડ યુનિવર્સિટી છે. આથી UGC પાસે વાઈસ ચાન્સેલરને હટાવવાની સત્તા નથી. આ તમામ પ્રક્રિયા બાદ જ અરજદારની વાઈસ ચાન્સેલર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
જોકે આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટે સુનાવણી સાંભળ્યા બાદ ડૉ. રાજેન્દ્ર ખીમાણીએ કરેલી અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી. ઉલટાનું હાઇકોર્ટે ગૂજરાત વિદ્યાપીઠને એવો આદેશ કર્યો કે, ગૂજરાત વિદ્યાપીઠ UGCએ આપેલા નિર્દેશનું 8 સપ્તાહમાં પાલન કરવામાં આવે. આ સાથે હાઇકોર્ટનું આ બાબતે મહત્વનું અવલોકન રહ્યું છે કે યુજીસીએ તમામ પ્રક્રિયાનું પાલન કરીને જે નિર્ણય લીધેલો છે તે યોગ્ય છે.