અમદાવાદમાં લાયસન્સ વિના ચાલતી મીટશોપ બંધ કરવા HCનો આદેશ
આજ સાંજથી AMCની ટીમ કાર્યવાહી કરશે: સરકાર
ગેરકાયદે ચાલતા કતલખાનાઓ મુદ્દે આજે ફરી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી જેમાં હાઇકોર્ટે અમદાવાદમાં લાયસન્સ વિના ચાલતી મીટશોપ બંધ કરવા માટે આદેશ આપ્યો છે. આ પહેલાની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે કે કેમિકલયુક્ત રેડ મીટ કેન્સરનું કારણ બને છે અને ગુજરાતમાં ગેરકાયદે માંસની દુકાનો અને ગેરકાયદેસર કતલખાનાઓ પણ ચાલી રહ્યા છે.
લાયસન્સ વિનાની તમામ મીટશોપ બંધ કરો- હાઈકોર્ટ
અમદાવાદમાં ચાલતા ગેરકાયદે કતલખાનાને બંધ કરવા માટે AMCની કાર્યવાહી સામે હાઈકોર્ટએ ટકોર કરતાં કહ્યું હતું કે, 'જે દુકાનોની ફરિયાદ આવી છે તેમાંથી અમૂક દુકાનો હજુ ચાલુ છે, લાયસન્સ વિનાની તમામ મીટશોપ બંધ થવી જોઈએ અને સીલિંગ કાર્યવાહી કરવાની જરૂર હોય તો એ માટે ટીમ બનાવો.' જણાવી દઈએ કે આ સુનાવણી સમયે ફૂડ સેફ્ટી કમિશનર પણ ત્યાં હાજર રહ્યાં હતા.
હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારનો જવાબ
અમદાવાદમાં લાયસન્સ વિના ચાલતી મીટશોપ બંધ કરવા માટે HCની ટકોર પછી રાજ્ય સરકારે જવાબ આપતા કહ્યું હતું કે, 'આજ સાંજથી AMCની ટીમ અમદાવાદમાં લાયસન્સ વિના ચાલતી મીટશોપ બંધ કરાવવા માટે કાર્યવાહી કરશે.'
હાઈકોર્ટે સરકારને કર્યો હતો સવાલ
આ પહેલા પણ હાઈકોર્ટમાં દાખલ કરાયેલી પીઆઈએલની સુનાવણી કરતા મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમારે સરકારી વકીલને પૂછ્યું હતું કે વહીવટીતંત્ર ગેરકાયદે કતલખાનાઓ, ગેરકાયદે માંસની દુકાનો સામે કાર્યવાહી કરવાનું કેમ ટાળી રહ્યું છે. રેડ મીટમાં વપરાતા કેમિકલથી લોકોને થાય છે કેન્સર, શું સરકાર લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીર નથી.
અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં કરાઇ હતી અરજી
ગેરકાયદે ચાલતા કતલખાના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અગાઉ અરજી કરવામાં આવી હતી. રાજ્યમાં 354 જેટલા કતલખાના અને પોલ્ટ્રી હાઉસના ફૂડ સેફટી હાઉસના ફૂડ સેફટી એકટ અંતર્ગત લાઇસન્સ રજીસ્ટ્રેશન થયા હોવાની કોર્ટમાં મૂકવામાં આવી છે. સામે બાજીએ અત્યાર સુધીમાં માત્રને માત્ર 12 કતલખાનાને જ લાઇસન્સ અપાઈ હોવાનું સામે આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ રાજય સરકાર ગેરકાયદેસર કતલખાના સામે કાર્યવાહી કરતી ન હોવાનો અરજીમાં અરજદારે દાવો કર્યો હતો. આ અરજીમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા સહીતના જિલ્લામાં ગેરકાયદેસ ચાલતા કતલખાનાની જાહેરાત કરાઇ હતી.
કતલખાના સમિતિ પણ માર્ગદર્શિકાનું પાલન ન કરતી હોવાની કરાઇ હતી રજૂઆત
ઉલ્લેખનીય છે કે વર્ષ-૨૦૧૨માં સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યમાં કતલખાના સમિતિ બનાવવા નિર્દેશો આપ્યાં હતાં. જે ગેરકાયદે કતલખાના પર નજર રાખી તેને બંધ કરાવવાની આ સમિતિનું મુખ્યકાર્ય હોવાનો નિર્દેશ કરાયો હતો. આ દરમિયાન અરજદારના આક્ષેપ મુજબ ગુજરાતની કતલખાના સમિતિ દ્વારા પણ સુપ્રીમ કોર્ટના નિર્દેશો અને માર્ગદર્શિકાનું પાલન કરવામાં ન આવતું હોવાનું જણાવાયું હતું.