સાત સીઇટીપી બંધ થાય તો તેમની સાથે જોડાયેલા 1100થી વધુ યુનિટ બંધ થશે, તંત્રના પાપે 5 લાખથી વધુ લોકોની રોજગારી છીનવાઇ શકે છે.
પ્રદૂષણ મામલે કેમ નિષ્ક્રિતા ?
7 CETPએ પાણીની ટ્રિટમેન્ટ માટે કરોડો ખર્ચ્યા
1100થી વધુ યુનિટ બંધ થશે, દાણીલીમડાના યુનિટો કેમ રહેમનજર ?
સાબરમતી પ્રદૂષણને લઇને હાઇકોર્ટના આકરા વલણ બાદ GPCBએ અમદાવાદના સાત કોમન એફ્લુઅન્ટ ટ્રિટમેન્ટ પ્લાન્ટને નોટિસ આપી છે. 30 દિવસમાં નિર્ધારિત નોર્મ્સ ન આવે તો ક્લોઝર આપવામાં આવશે તેમ જણાવ્યું છે. વટવા, નારોલ, નરોડા, ઓઢવ સહિતની તમામ CETPને નોટિસ ફટકારવામાં આવી છે. નિર્ધારિત પરિણામો પ્રાપ્ત કરવા માટે નોટિસ આપવામાં આવી છે. જો નિર્ધારિત પરિણામ પ્રાપ્ત નહીં કરવામાં આવશે તો ક્લોઝરની ચેતવણી પણ આપવામાં આવી. ત્યારે ઉદ્યોગોએ જણાવ્યું છે કે આ નોટિસ બિનજરૂરી રીતે આપવામાં આવી છે.
સાત સીઇટીપીએ પાણીની ટ્રિટમેન્ટ અને ટેક્નોલોજી માટે કરોડો ખર્ચ્યા
સમગ્ર મામલે રાજ્ય સરકારે પણ દરમિયાનગીરી કરવી જોઇએ એવી માંગ હવે ઉદ્યોગો કરી રહ્યાં છે. ગુજરાત ચેમ્બરના પૂર્વ પ્રમુખ શૈલેષ પટવારીએ જણાવ્યું હતું કે છેલ્લાં દાયકામાં પ્રદૂષણ ઘટાડવા માટે તમામ CETP એ કરોડોનો ખર્ચ કર્યો છે, પરંતુ જે યુનિટો કોઇ પ્રકારની ટ્રિટમેન્ટ વગર પ્રદૂષિત પાણી સાબરમતીમાં છોડે છે તેમની સામે AMC દ્વારા પગલાં લેવામાં આવતા નથી. સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સિસ્ટમની ઝાટકણી કાઢી છે.
AMC સંપૂર્ણપણે નિષ્ફળ ગઇ છેઃ શૈલેષ પટવારી
સાત સીઇટીપી બંધ થાય તો તેમની સાથે જોડાયેલા 1100થી વધુ યુનિટ બંધ થશે. કેમિકલ્સ, ટેક્સ્ટાઇલ્સ, ફાર્મા યુનિટો સીઇટીપી પર નિર્ભર છે અને તે કુલ 11,000થી વધુ યુનિટો 5 લાખથી વધુને રોજગારી આપે છે. ત્યારે હવે ક્લોઝર આપવામાં આવશે તો લાખોની સંખ્યામાં રોજગારી છીનવી શકે છે. ત્યારે પૂર્વ પ્રમુખ શૈલેષ પટવારીએ સમગ્ર મામલે એએમસી સંપૂર્ણપણે નિષ્ફળ ગઇ હોવાનો આરોપ લગાવ્યો છે. સાથે સવાલ કર્યા છે કે સુરત ટ્રેડ એફ્લુઅન્ટ ટ્રિટ કરી શકે છે તો એએમસી કેમ નિષ્ફળ રહી? દાણીલીમડાના યુનિટો પાસે ટ્રિટમેન્ટની વ્યવસ્થા જ નથી પણ તેના પર રહેમનજર કેમ? જેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.