કેરળ હાઈકોર્ટે એક આદેશ આપતા એવું જણાવ્યું કે અવિવાહિત અને રેપ પીડિતાના બાળકો પણ બીજા બાળકોની જેમ મૌલિક અધિકારો ધરાવે છે.
કેરળ હાઈકોર્ટમાં ચાલ્યો અવિવાહિત વ્યક્તિનો કેસ
હાઈકોર્ટે તમામ પ્રમાણપત્રમાં ફક્ત માતાનું નામ લખવાની આપી મંજૂરી
હાઈકોર્ટે કહ્યું- અવિવાહિત અને રેપ પીડિતાના બાળકોને તમામ મૌલિક અધિકારો
સમાજમાં અવિવાહિત અને રેપ પીડિતાના માતાના બાળકો હડધૂત થતા હોય છે અને લોકો તેમની સાથે સન્માનજનક વ્યવહાર કરતા નથી. લોકો તેમને નકામા ગણતા હોય છે પરંતુ તાજેતરના એક ચુકાદામાં કેરળ હાઈકોર્ટે અવિવાહિત અને રેપ પીડિતાના બાળકોને એક મોટી રાહત આપતો ઓર્ડર જારી કર્યો છે. હાઈકોર્ટની ખંડપીઠે કહ્યું કે આવા તમામ બાળકો બીજા બાળકોની જેવા જ અધિકારો ધરાવે છે. મહાભારત'ના મુખ્ય પાત્ર કર્ણની માનસિક વેદનાને ટાંકીને કેરળ હાઇકોર્ટે એક વ્યક્તિને જન્મ પ્રમાણપત્ર, ઓળખ પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજોમાં માત્ર તેની માતાનું નામ સામેલ કરવાની મંજૂરી આપી છે.
અવિવાહિત માતાઓ અને બળાત્કાર પીડિતોના બાળકો દેશના નાગરિકો
જસ્ટિસ પી વી કુન્હિકૃષ્ણને જારી કરેલા એક આદેશમાં કહ્યું હતું કે, અવિવાહિત માતાઓ અને બળાત્કાર પીડિતોના બાળકો ગોપનીયતા, સ્વતંત્રતા અને ગૌરવના મૂળભૂત અધિકારો સાથે આ દેશમાં રહી શકે છે. તેઓ આ દેશના નાગરિક પણ છે અને બંધારણ હેઠળ આપવામાં આવેલા તેમના મૂળભૂત અધિકારોનો ભંગ ન થઈ શકે.
મહાભારતના કર્ણ જેવું પાત્ર નથી ઈચ્છતા- જસ્ટિસ
કોર્ટે એમ પણ કહ્યું હતું કે રાજ્યએ તમામ પ્રકારના નાગરિકોની ઓળખ અને ગોપનીયતા જાહેર કર્યા વિના અન્ય નાગરિકોની જેમ તેમનું રક્ષણ કરવું જોઈએ. "નહીંતર, તેઓ અકલ્પનીય માનસિક વેદનાઓનો સામનો કરશે. જસ્ટિસે કહ્યું કે અમે એવો સમાજ ઇચ્છીએ છીએ કે જેમાં 'કર્ણ' જેવા કોઈ પાત્રને સ્થાન ન હોય જે માતાપિતાની છત્રછાયા વગર આખી જિંદગી અપમાનિત અવસ્થામાં કાઢે. આપણે અસલી બહાદુર 'કર્ણ' જોઈએ છે. જસ્ટિસ કુન્હીકૃષ્ણને કહ્યું કે, આપણું બંધારણ અને બંધારણીય અદાલતો આ તમામનું રક્ષણ કરશે અને નવા યુગના 'કર્ણ' અન્ય કોઈ પણ નાગરિકની જેમ ગૌરવ સાથે જીવી શકે છે.
પિતાનું નહીં ફક્ત માતાનું નામ રાખો દસ્તાવેજોમાં
હાઈકોર્ટે શિક્ષણ વિભાગ, ઉચ્ચસ્તર માધ્યમિક બોર્ડ, યુનિક ઓથોરિટી, આવકવેરા વિભાગ, પાસપોર્ટ અધિકારી, ચૂંટણી પંચને પણ અરજદારનું નામ સત્તાવાર રેકોર્ડ પરથી કાઢીને ફક્ત તેની માતાનું નામ રાખવાનો મોટો આદેશ આપ્યો હતો.