ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને હાલ બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એ ટીકાકારોને જવાબ આપ્યો છે, જેઓએ સૌરવે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરને સલાહ આપવા સામે સવાલો ઉઠાવ્યા હતા.
મારી પાસે ૫૦૦ જેટલી આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો અનુભવ છે : ગાંગુલી
ઐયર હોય કે કોહલી, હું તેમની પાસે જઈને વાત કરી શકું છું : ગાંગુલી
IPLની એક મેચ બાદ વિવાદ સર્જાયો હતો જેના પર ગાંગુલીએ આપ્યો જવાબ
ટીકાકારોને ગાંગુલીએ આપ્યો જવાબ
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને હાલ બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એ ટીકાકારોને જવાબ આપ્યો છે, જેઓએ સૌરવે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરને સલાહ આપવા સામે સવાલો ઉઠાવ્યા હતા. ગાંગુલીએ સ્પષ્ટ કહ્યું કે, ''મારી પાસે ૫૦૦ જેટલી આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો અનુભવ છે અને એ મને એ વાતનો હકઆપે છે કે કોઈ પણ ખેલાડી- પછી એ ઐયર હોય કે કોહલી, હું તેમની પાસે જઈને વાત કરી શકું છું.''
શ્રેયસની કોમેન્ટ બાદ લોકોએ હિતોના ટકરાવનો મામલો ઉઠાવ્યો
આઇપીએલની 13મી સિઝનની એક મેચ બાદ એ અંગે વિવાદ સર્જાયો હતો કે બીસીસીઆઇના અધ્યક્ષ હોવાને કારણે સૌરવ ગાંગુલી દિલ્હી કેપિટલ્સની ટીમના કેપ્ટનને સલાહ કેવી રીતે આપી શકે? પ્રથમ મેચ બાદ દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે કહ્યું હતું કે મુખ્ય કોચ રિકી પોન્ટિંગ અને સૌરવ ગાંગુલીની સલાહને કારણે જ તે આટલો સારો કેપ્ટન અને ખેલાડી બની શક્યો છે. શ્રેયસની આ કોમેન્ટ બાદ લોકોએ હિતોના ટકરાવનો મામલો ઉઠાવ્યો હતો.
હું કોઈ પણ યુવા ખેલાડી સાથે વાત કરી શકું છું : ગાંગુલી
ગાંગુલીએ સવાલ ઉઠાવનારાઓ પર વળતો હુમલો કરતા કહ્યું, ''મેં ગત વર્ષે ઐયરની મદદ કરી હતી. હું ભલે બોર્ડનો અધ્યક્ષ હોઉં, પરંતુ એ વાત ક્યારેય ના ભૂલો કે હું ભારત તરફથી ૫૦૦ જેટલી મેચ રમ્યો છું અને એ જ કારણ છે કે હું કોઈ પણ યુવા ખેલાડી સાથે વાત કરી શકું છું અને તેમની મદદ કરવાનો મને હક છે. પછી એ શ્રેયસ ઐયર હોય કે વિરાટ કોહલી. જો તેઓ ઇચ્છે તો હું જરૂર તેમની મદદ કરીશ.'' ઉલ્લેખનીય છે કે ૨૦૧૯માં સૌરવ ગાંગુલી દિલ્હી કેપિટલ્સનો મેન્ટર હતો.
શ્રેયસ ઐયર પણ ગાંગુલી સાથે વાત કર્યા બાદ સર્જાયેલા વિવાદને ખતમ કરવાના ઇરાદા સાથે સામે આવ્યો હતો. તેણે ટ્વિટ કરતાં સ્પષ્ટ કર્યું હતું કે એક યુવા કેપ્ટન હોવાને કારણે હું રિકી પોન્ટિંગ અને દાદાનો આભાર માનું છું કે તેઓ મારા એક ખેલાડી અને કેપ્ટન તરીકેની આ સફરમાં મારી સાથે રહ્યા. મારું નિવેદન ફક્ત એ વાત પર જ હતું કે એ બંનેએ મને વધુ સારાે કેપ્ટન બનવામાં મદદ કરી છે.
માહીને વિદાય મેચ મળશે?
કોલકાતામાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે ધોનીને વિદાય મેચ આપવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે સૌરવે જણાવ્યું, ''મેં તેની (ધોની) સાથે નિવૃત્તિના દિવસે વાત કરી હતી. આઇપીએલ દરમિયાન હું તેને મળી શક્યો નહીં, કારણ કે બાયો-બબલમાં છે. જોકે મેં માહી સાથે વિદાય મેચ અંગે કોઈ વાત કરી નથી.''