હાથરસ ગેંગરેપ કાંડમાં દર રોજ નવા ખુલાસા અને દાવા થઈ રહ્યા છે. એસઆઈટીની તપાસથી જાણવા મળ્યું છે કે સંદીપના ફોનમાંથી પીડિતાના ભાઈના ફોન પર છેલ્લા 6 મહિનામાં 104 વાર વાતચીત થઈ હતી. આ ખુલાસા પર પીડિતાના પરિવારે સફાઈ આપી હતી. પીડિતાના ભાઈએ કહ્યું કે તમામ આરોપ જૂઠા છે.
ફોનના ખુલાસા પર પીડિતાના પરિવારે સફાઈ આપી હતી
પીડિતાના ભાઈએ કહ્યું કે તમામ આરોપ જૂઠા છે
છેલ્લા 6 મહિનામાં 104 વાર વાતચીત થઈ હતી
મીડિયા સાથે વાત કરતા પીડિતાના ભાઈએ કહ્યું કે જે મોબાઈલ નંબરની વાત કરવામાં આવી રહી છે તે અમારો જ છે. અમે તેને અનેક વર્ષોથી વાપરી રહ્યા છીએ અને આ નંબર ઘરે રહે છે. તેમણે દાવો કર્યો છે કે ફોન રેકોર્ડના આધારે લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે. અમે આ મામલામાં એસઆઈટીની સામે જવાબ આપીશું.
પીડિતાના ભાઈએ કહ્યું કે તેમની (આરોપી) સાથે વાત કેમ કરુ? તે અમારી જાતિના પણ નથી. અમારા સંબંધીઓ પણ નથી. અમે કેમ વાત કરીએ? અમે વાત નથી કરી. ત્યારે પિતાએ કહ્યું કે અમારા પરિવારમાંથી કોઈએ પણ આરોપીઓ સાથે વાત નથી કરી. નંબર અમારો છે. રિકોર્ડિંગ બતાવો તો અમને ખબર પડે. વધુ એક ભાઈએ પણ કહ્યું કે અમારા પરિવારમાં ફક્ત એક જ ફોન છે.
પરિવારે કહ્યું કે અમને એસઆઈટીની સમય વધારવા સાથે કોઈ લેવાદેવા નથી. અમે ઈચ્છીએ છીએ કે અમને ન્યાય મળે. હકિકતમાં એસઆઈટીની તપાસમાં જાણવા મળ્યુ કે 62 કોલ પીડિતા ના પરિવાર દ્વારા કરવામાં આવેલા છે, જ્યારે 42 કોલ આરોપી સંદીપ દ્વારા કરવામાં આવ્યા છે. યુપી પોલીસ એ તેની તપાસમાં શોધી કાઢ્યું કે પીડિતા ના પરિવાર અને આરોપી સંદીપ વચ્ચે સમયાંતરે વાતચીત થઈ હતી. પીડિતા ના ભાઈ તરફથી આરોપી સંદીપ ને કોલ કરવામાં આવ્યો હતો. આ કોલ ઓક્ટોબર 2019થી માર્ચ 2020 દરમિયાન કરવામાં આવ્યા છે.