દેશમાં વધુ એક નિર્ભયાકાંડ સર્જાયો છે. દેશની વધુ એક દીકરી ગેંગ રેપનો શિકાર બની છે. સમગ્ર દેશ સ્તબ્ધ છે, પરંતુ ઉત્તર પ્રદેશની રાઉડી પોલીસ મૌન છે.
ઉત્તરપ્રદેશના હાથરસ ગેંગરેપ કાંડમાં પીડિતાનાં મોત બાદ તેના પરિવારની મરજી વિરુદ્ધ પીડિતાનાં અંતિમ સંસ્કાર બળજબરીપૂર્વક રાત્રે અઢી વાગ્યે કરવામાં આવતાં સમગ્ર દેશમાં ભારે રોષ અને આક્રોશ ભડકી ઊઠયો છે. એટલે સુધી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાથરસ ગેંગ રેપકાંડ પર તાત્કાલિક મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે વાત કરવી પડી હતી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને એવી માહિતી આપી છે કે PM નરેન્દ્ર મોદીએ હાથરસની ઘટના પર મારી સાથે વાત કરી છે અને અપરાધીઓ વિરુદ્ધ સૌથી કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે.
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी ने हाथरस की घटना पर वार्ता की है और कहा है कि दोषियों के विरुद्ध कठोरतम कार्रवाई की जाए।
વડાપ્રધાન મોદીના ફોન કોલ બાદ એકાએક સફાળા જાગી ઊઠેલા ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તાબડતોબ આ સમગ્ર ગેંગ રેપકાંડમાં તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી દીધી છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે હાથરસમાં પીડિતા સાથે ઘટિત દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કોઇ પણ આરોપીઓને છોડવામાં આવશે નહીં. આ ટીમ આગામી સાત દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે. તેમણે એવી પણ ખાતરી આપી છે કે ગેંગ રેપપીડિતા સાથે ન્યાય સુનિશ્ચિત કરવા આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે.
શું બની હતી ઘટના?
નિર્ભયા કેસની યાદ અપાવે ને આપણું માથું શરમથી ઝૂકી જાય એવી ઘટના ઉત્તરપ્રદેશમાં પંદર દિવસ પહેલાં બની હતી ને આ ઘટનામાં પણ ભોગ બનનાર માસૂમ યુવતી મંગળવારે મોતને ભેટી. UPના હાથરસ પાસેના ગામમાં ૧૪ સપ્ટેમ્બરે અનુસૂચિત જાતિની આ યુવતી ખેતરમાં ઘાસ કાપી રહી હતી ત્યારે ચાર હવસખોરોએ પાછળથી આવીને તેનું મોં દબાવી દીધું ને પછી દુપટ્ટાથી મોં બાંધી દઈ તેને ઢસડીને દૂર લઈ ગયા. આ હેવાનોએ એક પછી એક બળાત્કાર ગુજાર્યો ને એવા અત્યાચાર ગુજાર્યા કે તેની કરોડરજ્જુ તૂટી ગઈ હતી તથા ગળા પાસે સંખ્યાબંધ ફ્રેક્ચર થઈ ગયાં હતાં. હેવાનોને આ અત્યાચારોથી સંતોષ ના થયો એટલે છોકરીની જીભ પણ કાપી નાખી હતી. લાંબા સમય સુધી યુવતી પાછી ના ફરતાં તેની માતા શોધતી શોધતી આવી એટલે હવસખોરો ભાગ્યા, બાકી યુવતી પર બીજા કેટલા અત્યાચાર કર્યા હોત એ તો રામ જાણે.
UP પોલીસ હજુ પણ ઇનકાર કરી રહી છે
જો કે ઉત્તરપ્રદેશ પોલીસ તો હજુ પણ આ બાબતમાં નનૈયો ભણી રહી છે. UP પોલીસે જણાવ્યું છે કે પીડિતાની જીભ કપાઇ નથી અને કરોડરજ્જુ પણ તૂટી નથી. એક અહેવાલ અનુસાર તો UP પોલીસ તો હજુ પણ એવો દાવો કરી રહી છે કે હાથરસમાં આ પીડિતા પર ગેંગરેપ થયો હોવાના અહેવાલને સમર્થન મળ્યું નથી.
રાત્રે ચુપચાપ અંતિમ સંસ્કાર કરી દેવાયા
દરમિયાન દિગ્ગજ લેખક અને શાયર જાવેદ અખ્તરે આ બાબતે ઉગ્ર પ્રતિક્રિયા આપતી ટ્વિટ કરીને ઉત્તરપ્રદેશ સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે લખ્યું છે કે ઉત્તરપ્રદેશ પોલીસે પરિવારની પરવાનગી વગર અને તેમની હાજરીમાં રાત્રે અઢી વાગ્યે હાથરસ રેપ પીડિતાનાં શબના અંતિમ સંસ્કાર કરી દીધા એ ઘટના એક વેધક સવાલ ઊભો કરે છે. કઇ બાબતથી તેમને એટલો કોન્ફિડન્સ મળ્યો છે કે તેઓ આટલા આત્મવિશ્વાસ સાથે આ કામ કર્યા બાદ પણ બચી જશે? આ ઘટના બાદ અભિષેક બચ્ચન, રિતેશ દેશમુખ, રિચા ચઢ્ઢા, સ્વરા ભાસ્કર, ફરહાન અખ્તર, યામી ગૌતમ, અક્ષયકુમાર જેવી બોલિવૂડની હસ્તીઓએ ટ્વિટ કરીને આક્રોશ વ્યકત કર્યો હતો.
ઉત્તરપ્રદેશ પોલીસનો અમાનવીય અને અસંવેદનશીલ ચહેરો સામે આવ્યો
આમ આ સમગ્ર ઘટનામાં ઉત્તરપ્રદેશ પોલીસનો અમાનવીય અને અસંવેદનશીલ ચહેરો સામે આવી રહ્યો છે. UP સરકાર પણ આ કેસમાં ભીનું સંકેલવાની કોશિશ કરી રહી હોય તેવા નિર્દેશો મળી રહ્યા છે. સૌ પ્રથમ તો આ કેસમાં પોલીસે ધરપકડ કરતાં પાંચ દિવસ કેમ લીધા? આવા અનેક વેધક સવાલો ઊભા થઇ રહ્યા છે.