ઉત્તરપ્રદેશમાં હાથરસ દુષ્કર્મ કેસમાં મામલે યોગી સરકારે સૌપ્રથમ મોટી કાર્યવાહી કરી છે. યોગી સરકારે હાથરસના SP, DSP સહિત 7 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. સાથે યોગીએ દોષિતોને જલ્દીથી જલ્દી ભવિષ્ય માટે ઉદાહરણ પ્રસ્તુત કરનાર દંડ આપવાની વાત કહી છે.
ઉત્તરપ્રદેશમાં હાથરસ દુષ્કર્મ કેસ
યોગી સરકારની સૌપ્રથમ મોટી કાર્યવાહી
SP, DSP સહિતના 7 કર્મીઓને સસ્પેન્ડ કર્યા
હાથરસ તંત્રની ગુંડાગીરીને જોતા યોગી સરકારે હાથરસના SP, DSP અને ઇન્સ્પેક્ટર પર કાર્યવાહી કરી છે. જેમાં જિલ્લાના SP વિક્રાંત વીર, DSP, CO અને ઇન્સ્પેક્ટરને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય કેટલાક અન્ય પોલીસ કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હજુ DM પ્રવીણ કુમાર લક્ષકાર પર કાર્યવાહીની લટકતી તલવાર છે. મળતી માહિતી અનુસાર DMને પણ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.
મહત્વનું છે કે, જે પ્રકારે હાથરસ તંત્રએ સમગ્ર મામલાને હેન્ડલ કર્યો છે તેનાથી મુખ્યમંત્રી યોગી ખુબ જ નારાજ હોવાથી તાત્કાલિક કાર્યવાહી કરી છે. તમામ આરોપીઓનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. સાથે પીડિત પરિવાર અને પોલીસનો પણ નાર્કો ટેસ્ટ કરાશે.
ન્યાય માટે દેશમાં ભારે વિરોધ પ્રદર્શન
શુક્રવારે સાંજે ગેંગરેપના વિરોધમાં અને પીડિતાને ન્યાય મળે તે માટે મોટી સંખ્યામાં દિલ્હીના જંતર મંતર પર લોકો પહોંચ્યા હતા. અહીં આદમી પાર્ટીના સૌરભ ભારદ્વાજ, અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ગુજરાતથી દલિત નેતા જીગ્નેશ મેવાણી જંતર-મંતર પહોંચ્યા હતા. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. ત્યાર બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતાં. જ્યાં તેમણે હાથરસ ગેંગરેપના આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી.
દિલ્હીમાં ભોગ બનેલી યુવતીની પ્રાર્થના સભા યોજાઇ હતી
દિલ્હીના વાલ્મીકી મંદિરમાં હાથરસ ગેંગરેપ કેસનો ભોગ બનેલી યુવતીની પ્રાર્થના સભા યોજાઇ હતી. જ્યાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ વાલ્મિકી મંદિર પહોંચ્યાં હતાં અને ત્યાં યોજાનારી પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. પ્રાર્થના સભા દરમિયાન પ્રિયંકાએ કહ્યું કે અમે અન્યાય સામે લડીશું. આપણે આ લોકો સામે રાજકીય લડતને તીવ્ર બનાવવી પડશે. પ્રાર્થના સભા દરમિયાન પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે કોંગ્રેસના અન્ય નેતાઓએ હાથરસ ની દીકરી માટે 2 મિનિટનું મૌન ધારણ કર્યું હતું.
ભાજપ અને સાથીપક્ષના નેતાએ પણ કરી અપીલ
આ મુદ્દે હવે ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ પણ નિવેદન આપ્યું છે. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે જો હું હાલ કોરોના સંક્રમિત ન હોત તો હું પીડિતા ના પરિવારની સાથે હોત. તેમણે યુપ્ગી આદિત્યનાથ ને કહ્યું હતું કે આપણે દેશમાં રામરાજ્ય લાવવાનું છે. પોલીસની શંકાસ્પદ કાર્યવાહીને લઈને યુપી સરકારની ઈમેજ ખરડાઈ હોવાની વાત તેમણે કહી હતી.નેતાઓ મીડિયાને પરિવાર જોડે મળવા દેવાની યોગી સરકારને અપીલ પણ કરી હતી.
કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલે એ પણ જ્યાં આરોપીઓને ફાંસીની માંગણી કરી ચૂક્યા છે, ત્યારે આ મુદ્દે કેન્દ્રીય પ્રધાન સાધ્વી નિરંજન જ્યોતિ એ પીડિતાના મૃતદેહને પરિવારને સોંપાવો જોઈતો હતો તેમ કહ્યું હતું.