નેતાઓના વિવાદીત નિવેદનો સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. સુપ્રીમે એક મોટો ચુકાદો આપતા વિવાદીત નિવેદનો આપનાર નેતાઓની સામે કાર્યવાહી કરવાની વાત કરી છે.
બફાટીયા નેતાઓને મોટો ઝટકો
વિવાદીત નિવેદનો સામે કાર્યવાહી કરવાનું કહ્યું
બોલવા પર પ્રતિબંધ નહીં પરંતુ વિવાદીત નહીં
રાજકીય નેતાઓ મનફાવે તેવું બોલીને વિવાદ ઊભો કરતા હોય છે અને આવું કરીને તેઓ અધિકારોનું ઉલ્લંઘન તો કરે જ છે સાથે સાથે કોઈની માનહાની થાય તેવું પણ બોલી નાખે છે. આને અટકાવવા માટે હવે સુપ્રીમ કોર્ટે એક મોટો ચુકાદો જાહેર કર્યો છે.
રાજકારણીઓના વિવાદિત નિવેદનોને રોકવા પર ચુકાદો
સુપ્રીમ કોર્ટ ક્રિમિનલ કેસોની તપાસમાં રાજકારણીઓના વિવાદિત નિવેદનોને રોકવા પર પોતાનો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ રામસુબ્રમણ્યમે કહ્યું કે, કોઈને પણ આ પ્રકારના નિવેદનો આપવા પર રોક લગાવી શકાય નહીં પરંતુ જો કોઈનું નિવેદન અધિકારોનું ઉલ્લંઘન કરે છે તો કાર્યવાહી થઈ શકે છે. જસ્ટિસ નાગરથનાએ બંધારણની કલમ 51એ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે નેતાઓને તેમની ફરજનું ભાન હોવું જોઈએ. તેમણે કહ્યું કે તેઓએ વિચારવું જોઈએ કે તેઓ નાગરિકો માટે કેવા પ્રકારના દાખલા બેસાડી રહ્યાં છે.
અયોગ્ય બાબત પરની ટીપ્પણી વ્યક્તિગત ગણાશે
ચુકાદો સંભળાવતા જસ્ટિસ વી રામસુબ્રમણ્યમે કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ પર બોલવા પર એ જ પ્રતિબંધો લાગુ પડશે, જે બંધારણમાં જણાવ્યા હોય. જો કે, લોકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું એ સરકારોની ફરજ છે. કોઈ પણ મંત્રી નિવેદન આપી શકે છે. તેમણે કહ્યું કે, જો મંત્રી કે નેતાનું નિવેદન સરકારના વલણ પર હોય તો તેના માટે સરકાર જવાબદાર છે, પરંતુ જો કોઈ અયોગ્ય બાબત હોય તો તેને માત્ર વ્યક્તિગત ટિપ્પણી જ ગણવી જોઇએ.