આવતીકાલે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા ATSએ ઝડપેલા આરોપીઓ પણ આપી શકશે. હસમુખ પટેલે જણાવ્યું કે, ATSએ ઝડપેલા આરોપીઓ સામે નવો કાયદો લાગુ નહીં થાય.
રવિવારે યોજાશે જુનિયર ક્લાર્કની પરીક્ષા
પરીક્ષા માટે તંત્ર અને પોલીસ તૈયાર
પરીક્ષા આદર્શ રીતે લેવાશે તેની મને ખાતરી છે: હસમુખ પટેલ
ગુજરાતમાં પેપરલીકના વિરોધમાં કાયદો બન્યા બાદ આગામી 9 એપ્રિલના રોજ રવિવારે સૌપ્રથમ અને સૌથી મોટી સ્પર્ધાત્મક પરીક્ષા યોજાવા જઇ રહી છે. આવતીકાલે ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં રાજ્યના 9 લાખ 58 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યના 3 હજાર કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાના એક દિવસ પહેલા પરીક્ષાને લઈ પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે મહત્વની જાણકારી આપી છે.
જૂનમાં જાહેર થઈ જશે પરિણામ
હસમુખ પટેલે જણાવ્યું કે, આવતીકાલે યોજાનારી પરીક્ષાનું પરિણામ જૂનમાં જાહેર થશે. દરેક પરીક્ષાખંડમાં CCTV કેમેરા લગાવાયા છે. ST વિભાગે વધારાની બસો પણ મુકી છે. વિદ્યાર્થીઓ માટે બસમાં ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ પોલીસને ખાસ સૂચનો કરાયા છે. પરીક્ષા માટે તંત્ર અને પોલીસ તૈયાર છે. પરીક્ષા માટે અધિકારીઓને પણ ટ્રેનિંગ આપવામાં આવી છે.
લોકરક્ષકની જેમ આ પરીક્ષા પણ યોગ્ય રીતે લેવાશેઃ હસમુખ પટેલ
પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું કે, ઉમેદવારોને તકલીફ ન પડે તે માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે. ડમી ઉમેદવારોને હવે આસાનીથી પકડી શકાશે. પરીક્ષા આદર્શ રીતે લેવાય તે માટેની વ્યવસ્થા કરાઈ છે. પરીક્ષા દરમિયાન વીડિયોગ્રાફી પણ કરાશે. લોકરક્ષકની જેમ આ પરીક્ષા પણ યોગ્ય રીતે લેવાશે. પરીક્ષા આદર્શ રીતે લેવાશે તેની મને ખાતરી છે.
આરોપીઓએ પરીક્ષા આપી શકશેઃ પટેલ
પેપર લીક કાંડ સાથે સંકળાયેલા આરોપીઓને લઈને હસમુખ પટેલે જણાવ્યું છે કે, ATSએ ઝડપેલા આરોપીઓએ પરીક્ષા આપવી હશે તો આપી શકશે. ઝડપાયેલા આરોપી ઉમેદવારોને આગળ ગેરલાયક ઠેરવી શકાશે. લોકરક્ષકની જેમ આ પરીક્ષા પણ યોગ્ય રીતે લેવાશે. ATSએ ઝડપેલા આરોપીઓ સામે નવો કાયદો લાગુ નહીં થાય. આરોપીઓએ કાયદો લાગુ થયા અગાઉ ગુનો કર્યો છે.
મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ
તેમણે જણાવ્યું કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને 32 જિલ્લામાં 500થી વધુ સ્ક્વૉડ રાખવામાં આવશે. 11:45 કલાક સુધીમાં પરીક્ષાર્થીઓએ પરીક્ષાખંડમાં પહોંચવું પડશે. વર્ગખંડમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ રહેશે. મોડા પહોંચનારા ઉમેદવારોને પ્રવેશ મળશે નહીં. પરીક્ષા દરમિયાન પરીક્ષક પણ મોબાઈલનો ઉપયોગ નહીં કરી શકે. પરીક્ષાર્થી પેન, ઓળખકાર્ડ અને કોલલેટર જ લઈ જઈ શકશે. 3 હજારથી વધુ કેન્દ્રો, 32 હજાર ઓરડાનો ઉપયોગ થશે. બોડીવોર્ન કેમેરાથી સતત રેકોર્ડિંગ થશે. ઉમેદવારો પાસેથી રિક્ષાચાલકો વધુ ભાડું ન વસૂલે તે માટે બેઠકો કરવામાં આવી છે. સાથે જ એસ.ટી તંત્ર અને પોલીસ તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. GPSSB ચેરમેન હસમુખ પટેલે પેપરલીક કરનારાઓને ચીમકી આપી છે કે, આ વખતે જો કોઇ પેપરલીક કરશે તો તેને બક્ષવામાં નહીં આવે.
9.58 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા
અત્રે ઉલ્લેખનીય છે કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં રાજ્યના 9 લાખ 58 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યના 3 હજાર કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષામાં કોઇ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા કેન્દ્રો જાણી જોઇને દૂર રાખવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.