દેશભરમાં કોરોના વાયરસના નવા કેસો સતત વધી રહ્યા છે. વિવિધ રાજ્યોમાં કોરોનાને કારણે પરિસ્થિતિ વધુ વણસવા માંડી છે,
કોરોનાના કેસોને લઇને વધી રહ્યો છે ખતરો
હરિયાણાની ભાજપ સરકારે લીધો મોટો નિર્ણય
સોમવાર રાત્રેથી રાજ્યમાં 9 થી સવારના 5 સુધી નાઈટ કર્ફ્યૂ
હરિયાણામાં પણ કોરોનાના કેસોને લઈને પરિસ્થિતિ વધુને વધુ વણસી રહી છે, જેના કારણે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાની ફરજ પડી છે. હરિયાણાની મનોહર લાલ ખટ્ટર સરકારે સોમવારથી નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે. હરિયાણામાં રાત્રિના 9થી સવારના 5 સુધી નાઇટ કર્ફ્યુ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
છેલ્લા અમુક દિવસોમાં ઘણા રાજ્યોએ પ્રતિબંધો લાગૂ કર્યા છે
છેલ્લા કેટલાક અઠવાડિયામાં, વિવિધ રાજ્યોએ નાઇટ કર્ફ્યુ સહિતના પ્રતિબંધો જાહેર કર્યા છે. કોરોના કેસોમાં વધારાને કારણે ઉત્તર પ્રદેશ, ગુજરાત, દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોએ વિવિધ પ્રતિબંધો લાગુ કર્યા છે. યુપીમાં લખનઉ, મુરાદાબાદ સહિતના વિવિધ શહેરોમાં નાઇટ કર્ફ્યુ લાગુ છે. સીએમ યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે, જે જિલ્લાઓમાં દરરોજ 100 થી વધુ કોરોના કેસ મળી રહ્યા છે અથવા જ્યાં સક્રિય કેસની સંખ્યા 500 થી વધુ છે, ત્યાં કોરોના કર્ફ્યુ રાત્રિના 9 થી સવારે 6 વાગ્યા સુધી લાગુ કરવામાં આવશે. તે જ સમયે, ગયા શનિવારથી કર્ણાટકના બેંગલુરુ, મૈસુરુ, મંગલુરૂ, કાલબૂર્બી સહિતના ઘણા શહેરોમાં પણ નાઇટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે.
રવિવારે હરિયાણામાં કોરોનાને કારણે 16 વધુ દર્દીઓ મોતને ભેટતા કુલ મૃત્યુની સંખ્યા વધીને 3,268 થઈ ગઈ છે, જ્યારે રાજ્યમાં સંક્રમણના 3,440 નવા કેસો વધીને કુલ આંકડો 3,16,881 કેસ સુધી પહોંચી ગયો છે. જિંદમાં ત્રણ મૃત્યુ થયા છે, જ્યારે પાણીપત, યમુનાનગર, ભિવાની, કરનાલ, અંબાલામાં અને ગુડગાંવ, હિસાર અને સિરસા જિલ્લામાં એક-એકનું મોત થયું છે.
હરિયાણામાં હાલ એક્ટિવ કેસનો આંકડો વધીને 20 હજારને પાર છે
હરિયાણામાં છેલ્લે સૌથી વધુ દૈનિક કેસ 20 નવેમ્બર, 2020 ના રોજ આવ્યા હતા, જ્યારે રાજ્યમાં 3,104 કેસ નોંધાયા હતા. રાજ્યમાં હાલમાં 20,981 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જ્યારે દર્દીઓનો રિકવરી રેટ 92.35 ટકા છે. માહિતી પ્રમાણે સંક્રમણમાંથી અત્યાર સુધીમાં કુલ 2,92,632 લોકો સાજા થયા છે. હરિયાણાના આરોગ્ય વિભાગે 1,627 કોવિડ -19 રસીકરણ કેન્દ્રો ચાલુ કર્યા છે, જ્યાં રવિવારે રાજ્યમાં લાભાર્થીઓને 1,13,917 રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 24,69,233 રસી આપવામાં આવી છે.