હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે સોમવારે મતદાન થયું હતું. હવે દરેક વ્યક્તિ ૨૪ ઓક્ટોબરે જાહેર થનારાં પરિણામની રાહ જોઈ રહી છે. પરંતુ તે પહેલાં આજતક-એક્સિસ માય ઈન્ડિયાનો એક્ઝિટ પોલ સામે આવ્યો છે. એક્ઝિટ પોલમાં કોઈ પણ પક્ષને બહુમતી મળતી દેખાતી નથી. અહીં ત્રિશંકુ વિધાનસભાના સંકેતો મળી રહ્યા છે.
એક્ઝિટ પોલમાં કોઈ પણ પક્ષને બહુમતી
હરિયાણામાં ત્રિશંકુ વિધાનસભાના સંકેત
ચૂંટણીના પરિણામોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર મુકાબલો
વોટ શેરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બહુ મોટુ અંતર નહીં
ભાજપને ૩૨થી૪૪ બેઠકો, કોંગ્રેસને ૩૦થી ૪૨ બેઠકો મળી શકે છે. વોટ શેરની વાત કરીએ તો, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બહુ મોટું અંતર નથી. ભાજપને ૩૩ ટકા મત મળી રહ્યા છે, જ્યારે કોંગ્રેસને ૩૨ ટકા મત મળી રહ્યા છે.
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર મુકાબલો
હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર મુકાબલો નજરે પડી રહ્યો છે. ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા એક્ઝિટ પોલના આ અનુમાન અનેક અટકળોથી વિપરીત સામે આવ્યા છે. એક્ઝિટ પોલ અનુસાર, ૨૧ઓક્ટોબરે યોજાયેલા મતદાનમાં કોંગ્રેસને નોંધપાત્ર ફાયદો થવાની સંભાવના છે.
એક્ઝિટ પોલમાં કોંગ્રેસને થઇ રહ્યો છે ફાયદો
૯૦ સભ્યોની વિધાનસભામાં ભાજપને ૩૨-૪૪ બેઠકો મળવાનું અનુમાન છે, જ્યારે કોંગ્રેસને ફાયદો થતો દેખાઈ રહ્યો છે. એક્ઝિટ પોલ મુજબ, રાજ્યમાં કોંગ્રેસને ૩૦-૪૨ બેઠકો અને જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ને ૬-૧૦ બેઠકો મળી રહી છે. જો એક્ઝિટ પોલના આંકડા વાસ્તવિકતામાં ફેરવાય તો હરિયાણા વિધાનસભા ત્રિશંકુ હશે તે નક્કી છે.
જેજેપી સરકાર રચવામાં મહત્વની ભૂમિકા જોવા મળે તેવી શક્યતા
એક્ઝિટ પોલનાં અનુમાનો અંગે જેજેપીના નેતા દુષ્યંત ચૌટાલાએ કહ્યું હતું કે, હું પહેલા દિવસથી કહી રહ્યો છું કે હરિયાણામાં જેજેપી સરકાર રચવામાં મહત્વની ભૂમિકા ભજવશે. જો ત્રિશંકુ વિધાનસભા બનશે તો તેવા સંજોગોમાં પક્ષનું નેતૃત્વ નક્કી કરશે કે પરિણામો જાહેર થયા બાદ કોને ટેકો આપવો.
મનોહરલાલ ખટ્ટર અને ભૂપેન્દ્રસિંહ હુડ્ડા વચ્ચે સીધો મુકાબલો
હરિયાણામાં ૯૦ સભ્યોની વિધાનસભા ચૂંટણી માટે ભાજપ તરફથી મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર અને કોંગ્રેસ તરફથી ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડા વચ્ચે સીધો મુકાબલો હતો. ઉલ્લેખનીય છે કે, પાંચ વર્ષ પહેલા યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે માત્ર ૧૫ બેઠકો જીતી હતી.
એક્ઝિટ પોલ મુજબ, કોઈ પણ પક્ષને બહુમતી ન મળવાની સ્થિતિમાં જેજેપી કિંગમેકરની ભૂમિકા નિભાવતી જોવા મળી શકે છે. હિસાર, રોહતક અને કરનાલમાં મજબૂત પકડ હોવાને કારણે ચૌટાલા અને જાટ મતો જેજેપી તરફ જતા જોવા મળી રહ્યા છે. આ જ કારણે જેજેપી ૧૦ બેઠકો મેળવે તેવું અનુમાન છે. એક્ઝિટ પોલના આંકડા મુજબ, જેજેપીને ૩૧ ટકા જાટ મતો મળી રહ્યા છે.